સ્વદેશી વિમાનવાહક જહાજ ‘આઈએનએસ વિક્રાંત’ મુંબઈની મુલાકાતે

સ્વદેશી ટેક્નોલોજી વડે ભારતમાં પહેલી જ વાર નિર્માણ કરાયેલું વિમાનવાહક જહાજ ‘આઈએનએસ વિક્રાંત’ પહેલી જ વાર મુંબઈ બંદરની મુલાકાતે આવ્યું છે. મુંબઈનાં મિડિયાકર્મીઓ માટે આ જહાજની ખાસ મુલાકાતનું ભારતીય નૌકાદળ દ્વારા 10 માર્ચ, શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું.

આઈએનએસ વિક્રાંત જહાજ ટૂંક સમયમાં જ કોમ્બેટ માટે સજ્જ થઈ જશે. વિમાન કેરિયર પર યુદ્ધવિમાનોને તૈનાત કરવાની કામગીરી આ વર્ષના મે મહિના સુધીમાં પૂરી થઈ જશે.

2017ના માર્ચમાં આઈએનએસ વિરાટ જહાજને ડીકમિશન કરાયા બાદ ભારતીય નૌકાદળ એકલા આઈએનએસ વિક્રમાદિત્ય જહાજને સંચાલિત કરતું હતું. તે જહાજને પણ રીહોલ માટે રશિયા મોકલવું પડ્યું હતું. એટલે નૌકાદળને એક વધુ વિમાનવાહક જહાજની તાત્કાલિક આવશ્યક્તા હતી, જેથી એને પશ્ચિમી અને પૂર્વીય સમુદ્રકાંઠાઓ પર તૈનાત કરી શકાય.

સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતે 2021ના મધ્યમાં તેનું સાગરી પરીક્ષણ કાર્ય શરૂ કર્યું હતું.

કોમોડોર વિદ્યાધર હરકે, જેમને ‘આઈએનએસ વિક્રાંત’ જહાજના કમાન્ડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

આઈએનએસ વિક્રાંત જહાજનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડે કર્યું છે. 2022ની 2 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાવ્યું હતું.

45,000 ટન વજનના આઈએનએસ વિક્રાંત જહાજને સમુદ્ર પર ચાલતું એક હવાઈ મથક કહી શકાય. એમાં 1,600 જવાન તૈનાત છે. આશરે 2,200 કમ્પાર્ટમેન્ટ છે.

આ જહાજ પર નૌકાદળના પાઈલટોએ પહેલી જ વાર લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ નેવીનું સફળ લેન્ડિંગ કર્યું હતું.

(તસવીરો અને વિડિયોઃ દીપક ધુરી)