દુર્ગા પૂજાની ઉજવણીઃ શ્રદ્ધાળુઓએ કર્યો પારંપારિક ધુનુચી નાચ

મુંબઈની પડોશના ભાયંદર (ઈસ્ટ) ઉપનગરમાં આવેલી બંગ સંઘ સંસ્થાના દુર્ગા પૂજા મંડપમાં બંગાળી સમુદાયનાં શ્રદ્ધાળુઓએ દુર્ગા પૂજા તહેવાર નિમિત્તે 13 ઓક્ટોબર, બુધવારે સાંજે પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે દુર્ગા અષ્ટમી-નવમીની ઉજવણી કરી હતી. શ્રદ્ધાળુઓએ ધુનુચી નાચ કર્યો હતો. ધુનુચી નાચ એ દુર્ગા પૂજાનો મહત્ત્વનો, પારંપારિક અને લોકપ્રિય રિવાજ છે. જેમાં શ્રદ્ધાળુઓ હાથમાં ધુનુચી (માટીનો ઘડો) લઈને નાચે છે. એ પાત્રમાં સૂકું નાળિયેર, સળગતો કોલસો, કપૂર અને થોડીક હવનની સામગ્રી રાખેલી હોય છે. આ માટીના ધુનુચીને હાથમાં પકડીને નૃત્ય કરવાની કળાને ધુનુચી નાચ કહે છે. ધુનુચીથી જ દુર્ગા માતાની આરતી ઉતારવામાં આવે છે. આ નૃત્ય દ્વારા દુર્ગામાતાનો આભાર માનવામાં આવે છે. આ નૃત્ય આસો સુદ સાતમથી શરૂ થઈને નોમ સુધી ચાલે છે. (તસવીરો, વિડિયો: દીપક ધુરી)