મારી શાળાના સમયની મિત્રે હાલમાં મને વાતચીત દરમિયાન કહ્યું, “મને મારા કાકા-સસરા આંખે દીઠા ગમતા નથી.
એમના ભત્રીજાએ મારી સાથે આંતરજાતીય લગ્ન કર્યાં એ એમને ગમ્યું નહીં તેથી તેઓ અમારાં લગ્નમાં આવ્યા ન હતા.”
આ મિત્રના લગ્ન થયાને ત્રીસ વર્ષ થઈ ચૂક્યાં છે અને કાકા-સસરા પણ એ બધું ભૂલી ગયા છે, પરંતુ મારી મિત્ર જૂના ઘાને ભૂલવા તૈયાર નથી. ખરું પૂછો તો કાકા-સસરાનો સંપૂર્ણ પરિવાર ઘણો સારો છે. તેઓ બધા મારી મિત્રને સારી રીતે સાચવે છે. આથી મેં એને કહ્યું “બધા પરિવારજનો તને આટલું માન આપે છે, તો હવે શું વાંધો છે!” એ પણ કબૂલે છે કે હવે કાકા-સસરાનું પણ વર્તન બદલાઈ ગયું છે, છતાં એ પોતાનો રોષ ભૂલી શકતી નથી.
આ તો ફક્ત ઉદાહરણ છે. આપણે પોતે પણ જાણ્યે-અજાણ્યે ઘણી વાર આવા પૂર્વગ્રહ પાળતા હોઈએ છીએ. એ પૂર્વગ્રહ કોઈ વ્યક્તિ, જગ્યા, ખાવાની વસ્તુ, પરિસ્થિતિ કે બીજી કોઈ પણ બાબતે હોય છે. આપણે એકનો એક પૂર્વગ્રહ વારંવાર વર્તન અને વાણીમાં લાવ્યા કરીએ તો એને વિષ ઘોળ્યા સમાન કહી શકાય. મનમાં ઝેર ભરેલું હોય તો એનાથી આપણને જ નુકસાન થાય છે.

હવે બીજું ઉદાહરણ જોઈએ. મારા પરિચિત હંમેશાં પોતાની બિલ્ડિંગની મૅનેજિંગ કમિટીની ખોડ કાઢ્યા કરતા હોય છે. કમિટી બદલાયા કરે છે, પરંતુ એમનો પૂર્વગ્રહ એમનો એમ રહ્યો છે. તમે નહીં માનો, પણ છેલ્લાં 25 વર્ષથી તેઓ મૅનેજિંગ કમિટી પ્રત્યેના અણગમાનો રાગ આલાપ્યા કરે છે. ગયા વર્ષે કોરોનાને પગલે મહાનગરપાલિકાએ નક્કી કરેલી માર્ગદર્શિકાને કારણે સોસાયટીનું જિમ્નેશિયમ બંધ રાખવું પડ્યું હતું. આ પરિચિતને તો ભાવતું હતું ને મળી ગયું. પાલિકાના નિર્ણય માટે પણ તેઓ મૅનેજિંગ કમિટીને દોષ આપવા લાગ્યા. જિમ્નેશિયમ બંધ રહેવાને કારણે પોતાનું કોલેસ્ટરોલ અને સુગર વધી ગયાં એવી એમની દલીલ હતી. એમના મનનું ઝેર સતત વધતું જાય છે.
કોઈ વ્યક્તિ ખરજવું થાય ત્યારે એકની એક જગ્યાએ ખંજવાળ ખણ્યા કરે એના જેવી આ વાત છે. ખંજવાળ ખણવાથી નુકસાન થશે એવી ખબર હોવા છતાં થોડા સમય પૂરતું સારું લાગે એટલા ખાતર લોકો ખંજવાળ્યા કરતા હોય છે. વાસ્તવમાં જ્યાં સુધી ખરજવાને ખંજવાળવાનું બંધ થાય નહીં ત્યાં સુધી એ સારું થતું નથી. આ ખબર હોવા છતાં ખંજવાળવાનું ચાલુ જ રહે છે.
મનમાં જ્યારે ઝેર ઘોળાવા લાગે એ વખતે આપણે જાગૃત રહીએ તો આ સમસ્યાથી બચી શકાય છે. સમય જતાં મનનું ઝેર બોજારૂપ બની જાય છે. આપણે જ્યારે ચિંતન માટે અથવા આંખો બંધ કરીને શાંત ચિત્તે બેસવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ વિચારો મનમાં આવીને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડે છે.
આ લાગણીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવાને બદલે એમને પ્રેક્ષકની જેમ ફક્ત જોયા કરો. જ્યારે પણ આવા વિચારો મનને વિચલિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે ઈશ્વરના નામનું શરણ લઈને બીજી કોઈ પ્રવૃત્તિ કરવા લાગી જવું. જો એ શક્ય ન હોય તો પોતાના શોખના કોઈ વિષયનું કામ કરવા લાગી જવું. શ્વસન પર ધ્યાન આપવું એ પણ એક સારો ઉપાય છે.

પૂર્વગ્રહો આપણને હાનિ પહોંચાડે છે. બીજાઓમાં પરિવર્તન આવે એવું ઈચ્છવું નિરર્થક છે. કોઈકે સાચું જ કહ્યું છેઃ બીજાઓમાં પરિવર્તન આવશે એવું ઈચ્છવું એ સૂરજ પશ્ચિમમાં ઉગશે એવું વિચારવા સમાન છે.
વિશ્વ બદલાશે નહીં અને આપણે પણ વિશ્વની અવગણના કરી શકતા નથી. આથી આપણે એ વિચારોને દબાવી દેવાનો પ્રયાસ કરવાને બદલે વિચારોને ઓગાળી દેવા. દબાવી દીધેલા વિચારો વહેલા-મોડા પાછા આવ્યા વગર રહેતા નથી.
આપણાં શાસ્ત્રોએ વિચારોને ઓગાળી દેવા માટે અનેક રસ્તા બતાવ્યા છે. આ વિચારો અને લાગણીઓ જેટલાં જલદી ઓગળવા લાગશે એટલું જલદી આપણે આપણી સંપત્તિ અને આપણા જીવનનો આનંદ લેવાનું શરૂ કરી શકીશું. એ જ વખતે યોગિક વેલ્થ પ્રગટ થશે અને આપણને પ્રસન્નતા બક્ષશે. સંપત્તિ અને જીવનનો આનંદ લો. ફક્ત સંપત્તિ નહી, યોગિક વેલ્થ ભેગી થાય એવી ખેવના રાખો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


