ગયા મહિને 12 એપ્રિલે, સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એની સ્થાપનાની પંચોતેરમી તિથિ મુંબઈમાં ધામધૂમથી ઊજવી. આ અવસરે પ્રકાશિત થયેલા વિશેષાંકમાં જયંતીલાલ ગડાએ એક વિચારપ્રેરક વાત કરી કે “દેશની કુલ વસતીના માંડ બે-ત્રણ ટકા લોકો જ થિએટરમાં ફિલ્મ જોવા જાય છે.” ગયા અઠવાડિયે આમીર ખાને જયંતીભાઈની વાત દોહરાવતાં કહ્યું કે “આપણી મોટામાં મોટી હિટ ફિલ્મ જોવા દેશની માત્ર 2 ટકા જનતા જ જાય છે… તો બાકીના 98 ટકા ક્યાં છે? નિર્માતાઓ જ પ્રેક્ષકોને કહે છે કે થિયેટર સુધી લાંબા થવાની જરૂર નથી… થિયેટરમાં રિલીઝ થયાના થોડા જ દિવસોમાં એ OTT પર આવી જશે. હું તમને કહું કે તમે કાર ખરીદો… ઓકે, ન ખરીદો તો કાંઈ નહીં, ચારેક અઠવાડિયાંમાં તમારા ઘરે ડિલિવર કરી દઈશ. તમે કહેશો, ઠીક છે- ઘરે પહોંચાડી દેજો.”
જયંતીલાલ ગડા અને આમીર ખાનને યાદ કરવાની વજહ આ છેઃ ‘સ્ત્રી 2’, ‘છાવા’, ‘મુંજ્યા’ જેવી ફિલ્મોના નિર્માતા, મેડોક ફિલ્મ્સના દિનેશ વિજને એમની નવીનક્કોર કૉમેડી ‘ભૂલ ચૂક માફ’ની રિલીઝની પૂર્વસંધ્યાએ જાહેરાત કરી કે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને ચમકાવતી આ ફિલ્મ હવે થિયેટરને બદલે સીધી પ્રાઈમ વિડિયો પર 16 મેના રોજ રિલીઝ થશે. નિર્માતાઓ તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો એ કંઈ આવો છેઃ
“દેશની સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં લેતાં અમે નક્કી કર્યું કે ‘ભૂલ ચૂક માફ‘ને હવે સીધી તમારા ઘરે પહોંચાડીશું- 16 મેએ આ ફિલ્મ પ્રાઈમ વિડિયો પર વિશ્વભરમાં સ્ટ્રીમ થશે… ઍક્ચ્યુલી, અમે તમારી સાથે થિએટરમાં ફિલ્મનો ઉત્સવ ઊજવવા આતુર હતા, પણ દેશની ભાવના પ્રથમ છે. જય હિન્દ.”
નિર્માતાઓની આ જાહેરાતથી થિએટરમાલિકો રોષે ભરાયા છે. એમનું કહેવું છે કે કોવિડ-19ના અંધાધૂંધીવાળા વાતાવારણમાં આમ બન્યું હોત તો સમજી શકાત, પણ અત્યારે આવું કરવાની શું જરૂર છે? ફિલ્મ બિઝનેસના ખેરખાંઓના જણાવ્યા મુજબ, ‘ભૂલચૂક માફ’ને ત્રણેક કરોડ રૂપિયાનું ઓપનિંગ મળવાનો અંદાજ હતો. શુક્ર-શનિમાં પ્રેક્ષકોને ફિલ્મ ગમી ગઈ હોત તો માઉથ પબ્લિસિટીથી રવિવાર, 11 મે સુધી 15 કરોડ રૂપિયાની કમાણી થઈ હોત. આમેય 6 જૂન સુધી કોઈ મોટા બજેટની ફિલ્મ હતી નહીં.
મુંબઈના એક થિએટરમાલિક સાથે ચિત્રલેખાએ વાત કરી તો એમના જણાવ્યા મુજબ, “ભૂલચૂક માફના ઍડવાન્સ બુકિંગમાં કોઈએ ખાસ રસ બતાવ્યો નહોતો. મારા થિએટરમાં (ઍડવાન્સમાં) એક પણ ટિકિટ વેચાઈ નહોતી. ટૂંકમાં ફિલ્મની ડિમાન્ડ જ નહોતી. ઍડવાન્સ બુકિંગ પ્રોત્સાહજનક હોત તો દિનેશ વિજન થિએટ્રિકલ-રિલીઝ મોકૂફ ન રાખત.”
એ કહે છે કે “મારી દષ્ટિએ આમાં નિર્માતાનો વાંક નથી. દેશમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે, લોકોનું ધ્યાન એની પર જ છે. આમાં થિએટરમાં ફિલ્મ જોવા કોણ જાય? જો કે નિર્માતા 9 મેના બદલે બીજી રિલીઝ-ડેટનો વિકલ્પ અજમાવી શક્યા હોત… સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય પ્રોપર નથી.”
રાજકુમાર રાવની છેલ્લી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’એ આશરે 35 કરોડ રૂપિયાનો બિઝનેસ કરેલો. માનો કે ભૂલચૂક માફ વીસેક કરોડ રૂપિયાનો ધંધો કરે તો એના કરતાં OTT પર રિલીઝ કરી દો. પ્રાઈમ વિડિયો કદાચ ડાયરેક્ટ OTT રિલીઝ માટે વધારે પૈસા આપ્યા હશે. વળી નિર્માતાઓએ વિચાર્યું હશે કે આવનારા થોડા દિવસ લોકો થિએટરમાં તો નહીં જ જાય એટલે લોકોને મનોરંજન ઘેર બેઠાં જ પહોંચાડો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે, ખાસ કરીને મલ્ટિપ્લેક્સવાળાઓ માટે, ‘ભૂલચૂક માફ’ને સીધી પર રિલીઝ કરવાના સમાચાર ખરાબ છે. એની અવેજીમાં એ લોકો બતાવશે શું? આનો ફાયદો ‘રેડ 2’ને થઈ શકે કેમ કે એ સારી ચાલી રહી છે.
ગુજરાતના એક ડિસ્ટ્રિબ્યુટરે કહ્યું કે “ઑપરેશન સિન્દૂર કે મૉક ડ્રીલ્સથી ફિલ્મબિઝનેસને કંઈ અસર થઈ નથી. મારો અનુભવ છે કે ગંભીર પરિસ્થિતિમાં લોકો મનોરંજન મેળવવા સિનેમા જોવા જાય છે. બહુ બહુ તો શહેરની બહાર નહીં જાય બાકી લંચ કે ડિનર લેવા રેસ્ટોરાંમાં જઈ જ રહ્યા છે. એવું તો નથી કે લોકો થિએટરમાં આવવાનું જ બંધ કરી દેશે.”
થિયેટરમાલિકોનો આક્રોશ સમજી શકાય છેઃ ડોશી મરે એનો ડર નથી, પણ જમડા ઘર ભાળી જશે એની ચિંતા છે. બીજા નિર્માતાઓને ફિલ્મો સીધી OTT પર રિલીઝ કરવાની પ્રેરણા મળી શકે. પૅન્ડેમિક દરમિયાન આમ જ થયું હતું.
દરમિયાન સુનીલ શેટ્ટી-વિવેક ઓબેરોય-સૂરજ પંચોલીને ચમકાવતી ઐતિહાસિક વિષય પર આધારિત ‘કેસરી વીરઃ લેજન્ડ ઓફ સોમનાથ’ના નિર્માતા કનુ ચૌહાણે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવાની જાહેરાત કરી છેઃ “16 મેના બદલે હવે 23 મેએ કરીશું, પણ કરીશું તો થિયેટરમાં જ.”
જેબ્બાત. ખરા વીર.
