સુરક્ષાનો ઈજારો શું માત્ર સૈનિકોએ જ લીધો છે? જયારે યુદ્ધ થાય ત્યારે દેશના દરેક નાગરિકની જવાબદારી છે કે એ સભાનતા પૂર્વક વર્તે. આપણા દેશનું સહુથી મોટું દુર્ભાગ્ય એ છે કે આપણી વસ્તી સતત વધી રહી છે અને એમાં અસંખ્ય વિચારધારાઓ ધરાવતા લોકો છે. નકારાત્મકતા ધરાવતા દરેકને પોતાનો રોટલો શેકવો છે જેમાં અન્યને હોમી દેવામાં એમને શરમ નથી આવતી. જો દેશ આવા લોકોથી ખદબદતો હોય તો એમાં સરકાર અને સેના શું કરી શકે? શોભાના પુતળા જેવા માત્ર દેખાડા માટે બેસાડવામાં આવેલા સિક્યોરીટી ગાર્ડ અને દેશના સૈનીકમાં આસમાન જમીનનો ભેદ છે. જો દરેક સિક્યોરીટી એજન્સી એના ગાર્ડને જવાદારી શીખવે તો દેશની સુરક્ષા અલગ લેવલ પર પહોંચે. વળી જરૂર પડે એ લોકોને સરહદ પર પણ મોકલી શકાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ જો કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: તમે ગધેડા પર અંબાડી જોઈ છે? જોવી હોય તો અમારી સોસાયટીમાં આવો. એક માણસ જે કોઈ ચૂંટણી લડ્યો નથી એ ગુપ્તી લઈને ફર્યા કરે છે ને બધાને ડરાવી પૈસા પડાવે છે. સોસાયટીની ઓફિસમાં પણ બેસીને પૈસાનો વહીવટ કરે છે. રીતસરનો મવાલી જ છે. એ સિક્યોરીટી એજન્સી વાળા બહેનની મદદથી આતંક ફેલાવે છે. પેલી બહેન સારી લાગે છે. પણ આ માણસ એને પોતાની સારી મિત્ર ગણાવી લોકોને સમજાવે છે કે એ મારું કહ્યું જ માનશે. કોઈને જુએ એટલે પાંચસો છસો કરોડનો માલ કુરિયર કરવાના બણગા ફૂંકે છે. મોટા નેતાઓના નામ આપીને કહે છે કે એ બધા મારી પાર્ટીઓમાં ધક્કા ખાય છે અને મને પ્રણામ કરવા આવે છે. રેઇડ પડાવવાની ધમકી આપી પૈસા પડાવે છે. સુરક્ષા કર્મીઓ તો મારા ખિસ્સામાં છે એટલે ભૂલથી પણ ફરિયાદ ન કરશો એવી ધમકી આપે છે.
સોસાયટીમાં છોકરીઓ ભાડે રાખીને ખોટા કામ કરાવે છે. વચ્ચે દારૂ અને ડ્રગ પણ પકડાયા હતા. કોલ સેન્ટર પકડાયું હતું. જુગાર, સટ્ટો, રજીસ્ટર થયા વિનાના વિદેશી નાગરિકો જેવું ઘણું બધું આ સોસાયટીનો ભાગ છે. વળી સોસાયટી કમિટીના સભ્યો એમની મમ્મીઓને બગીચામાં એમનું માર્કેટિંગ કરવા મૂકી કે છે. કોઈ ફરવા નીકળે તો એમની પાછળ ફરીને બકબક કર્યા કરે છે.
કોવિડ પહેલા બધું સારું હતું. હવે જે લોકો પ્રોપર્ટી વેંચીને જાય છે એ બધા દેવાળિયા થઈને ગયા છે. ડર લાગે છે. પેલો માણસ એના ગાર્ડસની મદદથી સ્ત્રીઓ સાથે અસભ્ય વર્તન કરાવીને ડરાવે છે કે અમુક રકમ આપો બાકી આનાથી મોટું થશે. સહુથી મોટી તકલીફ એ છે કે સોસાયટીમાં બધા એનાથી દબાઈ ગયા છે. નજર સામે કોઈ સ્ત્રીને હેરાન કરે તો લોકો તમાસો જોતા હોય એ રીતે ઉભા રહે છે. કોઈ એક બીજાની મદદ કરતુ નથી. આ કયા વાસ્તુ દોષના લીધે થયું હશે? ઘર બદલવાની પ્રબળ ઈચ્છા થાય છે.
જવાબ: ચિંતા ન કરો આપની કોઈ પણ પ્રકારની માહિતી કોઈને નહિ આપવામાં આવે. મોટા ભાગે સોસાયટીની જાક જમાળ જોઇને લોકો પ્રોપર્ટી ખરીદતા હોય છે, ક્લબ હાઉસ, જીમ, સ્વીમીંગ પુલ, વોક વે, બગીચો જેવી વસ્તુઓ કરતા પણ વધારે અગત્યનું છે વાતાવરણ. આપણે ઘર ખરીદીએ ત્યારે જો આવા પ્રલોભનો જોવા જઈએ તો ક્યારેક આવી ગંદકીનો સામનો કરવો પડે. તમારી સોસાયટીમાં લોકો નમાલા થઇ ગયા છે. અને એટલે જ આવા મવાલી જેવા માણસો ગુપ્તી બતાવીને બ્લેકમેઈલ કરે છે. ગુપ્તી એ હથિયાર છે. અને હથિયાર રાખવું એ ગુનો છે. પાંચસો કરોડનો માલ કઈ કુરિયર સર્વિસ લઇ જાય છે? આ અશક્ય લાગે છે. બોલવામાં ક્યાં પૈસા લાગે છે? સહુથી પહેલા તો તમે નવી જગ્યા શોધવા લાગો. મન મારીને કોઈ જગ્યાએ ન રહેવાય. બીજું બહાર નીકળ્યા પછી હિંમત કરીને તમારો અનુભવ બધાને કહેવા લાગો.
કવિ કલાપીની કવિતા ગ્રામ માતામાં એક સરસ વાત કરી છે કે જયારે રાજાનું મન ફરે ત્યારે ધરતી રસાતાળ જાય. જે સોસાયટીમાં નારીનું અપમાન થાય ત્યારે પણ લોકો ચુપ રહેતા હોય તો ત્યાં તો લક્ષ્મી રૂઠે જ. વળી જે માણસનું કોઈ વજૂદ નથી એ માત્ર ગુપ્તીના જોરે સોસાયટીની ઓફિસમાં બેસીને નિર્ણય લઇ શકે એ જ બતાવે છે કે લોકો કેટલા નમાલા છે. કર્મની અને માણસોની ઉર્જા પણ માનવ જીવનને અસર કરે છે. કોવીડ પહેલા જે કમિટી હતી એ હવે નથી. જો કમિટી બદલાશે તો જ ઉદ્ધાર શક્ય છે. બાકી પતન નિશ્ચિત છે.
આગ લાગે ત્યારે લોકો જગ્યા છોડી દે છે. આ એક પ્રકારની નકારાત્મકતાની આગ જ છે. જેટલું જલ્દી શક્ય હોય એટલું જલ્દી બહાર નીકળો. નવી જગ્યા પુરતું વિચારીને લેશો. ચિંતા ન કરો. તમે સારા છો એટલે જ કુદરત તમને બહાર જવા પ્રેરી રહી છે. બની શકે તમારા ગયા બાદ આ જગ્યા કુદરતના નિયમોથી ઘેરાઈ જાય. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો બધું સારું જ થશે.
સવાલ: અમારે ત્યાં ટાઈલ્સનો રંગ બદલ્યો પછી ખુબ અથડામણો થાય છે. શું આવું થઇ શકે?
જવાબ: વાસ્તુ એટલે માત્ર નકશો નહિ. આપણી આસપાસના દરેક પદાર્થોની ઉર્જા આપણને અસર કરે છે. એક જગ્યાએ લીફ્ટ બદલી. એના માટે જરૂરી ફેરફાર કર્યા બાદ લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે.
સુચન: જો સોસાયટી પ્રમુખ ઈશાનમાં રહેતો હોય તો એની જીદના કારણે સોસાયટીમાં નકારાત્મકતા આવે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
