શું ખરેખર દુખી માણસોએ જ વાસ્તુની સલાહ લેવી જોઈએ?

સામાન્ય રીતે એવી માન્યતા છે કે દુખી માણસો જ વાસ્તુ માટે સલાહ લે. હું આપની સલાહ લઉં તો લોકો એવું માની લે કે મને કૈક તકલીફ હશે. મારા પિતાજી નાનપણમાં ગુજરી ગયા. માં એ ઘરનો વ્યવસાય સંભાળી લીધો. કોઈ જ તકલીફ ન હતી. પેલી પરીકથાની રાજકુમારી જેવું જ જીવન હતું. હું જે માંગું તેનાથી વધારે સારું મળતું. મારો ઉછેર પણ સારી રીતે થયો. મુક્ત વિચારોના લીધે મારી કોલેજના સારામાં સારા છોકરાને હું ગમવા લાગી. સમય જતા અમારી વચ્ચે આત્મીયતા વધી. મને ડર હતો કે મારી માં આ લગ્ન માટે તૈયાર નહિ થાય. મેં ડરતા ડરતા એને વાત કરી. માં એ પરિવારને મળી અને મને કહ્યું કે હું બે દિવસ પછી જણાવીશ. મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો. પણ માએ હા પાડી અને લગ્ન પણ થઇ ગયા.

બંને પરિવારની જીવનશૈલી જુદી હતી. સવારે વહેલા ઉઠી અને હું ચા બનાવતી હતી ત્યાં મારા સાસુમા આવ્યા અને મારો હાથ પકડીને મને રસોડાની બહાર લઇ ગયા. મને લાગ્યું કે હવે નવી સમસ્યા આવશે. તેમણે કહ્યું કે હજુ તો તારા હાથની મહેંદી પણ નથી ઉતરી. મારાથી તને કામ ન સોંપાય. અમારા નવા જીવનની શરૂઆત ખુબજ સારી રહી. બે બાળકો થયા. બંને સારું ભણ્યા. ગયા વરસે મારા સાસુ ધામમાં ગયા. મારી જેમ મારા પતિના પિતાજી પણ વહેલા ગુજરી ગયા હતા. ઘરનો વ્યવસાય મારા સાસુએ જ સંભાળ્યો હતો. હવે હું સંભાળું છુ. નવું ઘર બનાવું છુ. સૂચનો આપવા વિનતી જેનાથી મારું સુખ સચવાઈ રહે.

બહેન શ્રી. તમારી વાત વાંચીને ખુબજ સારું લાગ્યું. વાસ્તુમાં સુખી થવાના નિયમો છે. પણ માત્ર દુઃખમાં જ વાસ્તુ નિયમોને યાદ કરાય તે ખોટો વિચાર છે.તમારા બંને ઘરના દ્વાર એક સમાન હોવાથી નારી પ્રધાન ઘર બન્યું. ઉત્તર અને પશ્ચિમ ના અક્ષથી બનતો ત્રિકોણ સકારાત્મક હોવાના કારણે નાણાકીય તકલીફો ન આવી. તમેલગ્ન પહેલા અગ્નિમાં રહેતા હતા તેથી તમારો સ્વભાવ પ્રભાવશાળી રહ્યો. તમારા બંને ઘરની વાયવ્યની અને અગ્નિની રચનાએ તમને ભેગા કર્યા. તમે પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યા.જયારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય ત્યારે પરિવારના સદસ્યોમાં એકસુત્રતા હોય. જે આપના પરિવારમાં છે. એક બીજાનું સન્માન સચવાયેલું રહે. એ પણ તમે જણાવ્યું છે. સાસુ એ પણ એક માતા જ છે. મોટા ભાગે માણસને તેનો ખોટો ભય જ દુખી કરે છે. આપના સાસુએ જયારે આપણે રસોઈ કરવાની ના પાડી ત્યારે આપને પણ ડર લાગ્યો હતો. પણ થોડાજ સમયમાં એમનો અલગ પ્રતિભાવ મળ્યો. આપના મનમાં જે કાલ્પનિક ભય છે તે કાઢવો જરૂરી છે. એના માટે આપ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, સરસવ, પાણી થી અભિષેક કરો. અને ત્યાર બાદ બીલીપત્ર ચડાવી દો. મહામૃત્યુંન્જયના મંત્ર પણ આપને મદદરૂપ થશે. આપના ભયનું કારણ આપના દાદરની શરૂઆતનું સ્થાન છે.

આપના બાળકો સુખી છે તેનું કારણ તેમને યોગ્ય રૂમની ફાળવણી થઇ છે અને ઘરમાં વાયવ્ય સકારાત્મક છે. ઇશાનમાં દેવસ્થાન યોગ્ય રીતે છે તેથી ઘરનું વાતાવરણ સારું છે. તમને આ જે વિચાર આવ્યો તેનું એક કારણ ઈશાનની સકારાત્મકતા હોઈ શકે. હવે વાત કરીએ આપના નવા ઘરના પ્લાનની. સર્વ પ્રથમ તો આપના પ્લોટની ઉર્જા તપાસી લેવી જોઈએ. આપના જણાવ્યા મુજબ પ્લોટ લેવાથી માંડીને અત્યાર સુધી ખુબજ સમય ગયો છે. ત્રણેક આર્કિટેક્ટ બદલાઈ ગયા. એજ દર્શાવે છે કે ક્યાંક રુકાવટ આવી રહી છે. પ્લોટ સકારાત્મક ન હોય તો આવું બને. મકાન ઇશાન તરફ બની રહ્યું છે અને બાકીનો પ્લોટ ખાલી છે. હકીકતમાં ઇશાન ખુલ્લો હોવો જોઈએ. ઘર નૈરુત્ય તરફ બનાવો. એક સારી વાત એ છે કે પ્લોટની ત્રણ બાજુ પરથી રોડ જાય છે અને એક બાજુ ખુલ્લી જગ્યા છે. આપનું ઘર પ્લોટના ઇશાન તરફ બનતું હોવાથી ઉત્તર અને પૂર્વની કમ્પાઉન્ડ વોલ ઉંચી બને છે. અને નૈરુત્ય દક્ષિણમાં મુખ્ય દ્વાર છે. આ યોગ્ય નથી. મકાન નૈરુત્યમાં બનાવવાથી દક્ષીણ અને પશ્ચિમની દીવાલો ઉંચી થશે અને પૂર્વના સાચા પદમાંથી દ્વાર લઇ શકાશે. આમ પણ આપને આ ડીઝાઇન ગમી નથી. તો નવી ડીઝાઇન બનાવતી વખતે આ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે. દાદરો બ્રહ્મમાં ન લેવાની સલાહ છે. ઘરનું મુખ્ય દ્વાર, દેવ સ્થાન, બધાના બેડરૂમ, પાણીની ટાંકી અને પાર્કિંગ એ બધુજ બદલવું જરૂરી છે.