જો તમે એકલા જતા હો અને કોઈ પ્રહાર કરે તો તમે શું કરશો? જો તમારો જવાબ પોલીસની મદદ લેશો એ હોય તો વિચારવા જેવું છે. સહુથી પહેલા તો પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરવો પડે. કોઈ પણ એપ ગમે તેટલી પાવરફુલ હોય પણ વ્યક્તિને તમારા સુધી પહોંચવામાં સમય તો લાગે જ. આજના જમાનામાં સુરક્ષા ખુબ જ જરૂરી છે. પણ શું આપણે એ વિષયને એટલો મન પર લઈએ છીએ? કોઈ મવાલી ઘરના દરવાજા સુધી પહોંચી જાય અને સોસાયટીના ગાર્ડને પગાર આપવા માટે તમે મેઈન્ટેનન્સ આપો છો તો એની જવાબદારી સોસાયટીની જ કહેવાય. પછી બિચારી એજન્સી પાસે માણસો નથી એવું કહીને બેસી જઈએ તો પછી જે કાઈ થાય એ જવાબદારી વ્યક્તિગત જ ગણાય. બેજવાબદાર એજન્સીને રાખવા બદલ સોસાયટીને જ જવાબદાર ગણી શકાય. જો પોઈન્ટ ખાલી જ રહેતા હોય તો પછી પગાર આપીને મુર્ખ તો ન જ બનાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ જો કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: જો યુદ્ધ થાય અને કોઈ આંતર વિદ્રોહ થયો તો એના માટે સેનાને તો ન જ બોલાવી શકાય. પણ શું આપણે એ પરિસ્થિતિને સીરીયસલી લઈએ છીએ ખરા? આતંકવાદીને દેશમાં ન આવવા દેવા એ માત્ર સરકારની જ જવાબદારી છે? અમારી સોસાયટીમાં એક ભાઈ એની કંપનીના ડીલીવરી બોયને સાથે રાખીને ભાડે રહે છે. વીસેક માણસો જેના વિષે કોઈને કશી જ ખબર નથી એ ટાણે બે ટાણે આવે છે. એમનું કોઈ આધાર કાર્ડ કે માહિતી સોસાયટીની ઓફિસમાં નથી. એ લોકો બેગમાં કોઈ વસ્તુની ડીલીવરી કરવા જાય છે. વળી એ લોકો કોઈ વિદેશી ભાષા પણ બોલે છે. આ અંગે સોસાયટીમાં જાણ કર્યા બાદ એમણે અમારા બિલ્ડીંગમાં ગાર્ડ મુકવાનું જ બંધ કરી દીધું છે. વળી કોઈ પણ અજાણ્યા માણસો અમારા દરવાજા સુધી આવીને ખાલી ખાલી હેરાન કરે છે. સોસાયટી મેનેજર કહે છે કે ન ફાવે તો ઘર વેંચી દો. અને ચેરમેન તો પેલા ભાઈ વિષે વાત કરતાની સાથે જ મારી નાખવાની ધમકીઓ આપે છે. તો શું એ પણ આ ષડ્યંત્રનો ભાગ હશે? વળી મોટા ભાગે સિક્યોરીટી ગાર્ડ ઓછા જ હોય છે. પણ સોસાયટી પગાર પૂરો આપે છે. બધા ચેરમેનના ત્રાસથી ડરે છે. થોડા દિવસ પહેલા કોઈ ચોરની પાછળ પોલીસ પડી હતી ત્યારે અમારી સોસાયટીમાં સંતાઈ ગયા હતા. અને ચાર કલાકની શોધાશોધ પછી મળ્યા હતા.
સોસાયટીના અમુક કેમેરા પણ હલકી બ્રાન્ડના હોવાથી બંધ હોય છે. આવા સંજોગોમાં કેવી રીતે રહેવાય? જો અન્ય લોકોને કહીએ તો એ લોકો કહે છે કે જો કોઈ હુમલો થશે તો એ તો સરકારનું ખરાબ દેખાશે. પોતાના જીવની જાણે કોઈને પડી જ નથી. અને માની લઈએ કે સરકાર જવાબદારી લઇ પણ લે પણ જો માણસ મરી જાય તો એનો જીવ પાછો આવશે ખરો? આતો ચોર સંતાવા આવ્યા હતા. કાલે કોઈ આતંકવાદી પણ આવી જાય તો કોને ખબર પડવાની છે? કાયમ કોઈ ખરાબ ઘટના થાય પછી જ જાગવાનું? અને ચેરમેન એમના મિત્રો અને પરિવાર સાથે આખો વખત સોસાયટીનું મફતનું એસી વાપરવા ત્યાં પડ્યા પાથર્યા રહે છે. એટલે કોઈ વાત કરવી હોય તો એમના ઘરના સભ્યો સોસાયટીના સોફા પર સુતા હોય. કોઈક જમતું હોય અને એંઠા વાસણ પડ્યા હોય. વળી ઉભા રહીને પણ વાત કરતા હોઈએ ત્યારે કોઈક લેડીઝને પાછુ એની ટીવી સીરીયલમાં ભંગ પડે. એટલે એ વચ્ચે ઝગડવા લાગે. સોસાયટી ઓફિસની જગ્યાએ સરકારી આવાસમાં હોઈએ એવી લાગણી થઇ જાય. પણ તોએ હિંમત રાખીને વાત પૂરી કરીએ તો ચેરમેનની જગ્યાએ એમના મમ્મી ધમકાવવા માંડે. આટલા સારા પ્રધાન મંત્રી છે તોએ તમને સિક્યોરીટી જોઈએ છે? એમ કહીને પછી સરકાર પર બધું ઢોળી દે. શું સરકારને આવા બધા કામ કરવાના છે? માણસને પોતાને ભ્રષ્ટાચાર કરવો છે. અને જવાબદારી આપણા વડીલ પર નાખી દેવાની? એના કરતા સારી સિક્યોરીટી એજન્સી શોધી લે તો?
શું આવી કમિટી અને આવા લેભાગુ લોકો વાસ્તુ દોષના લીધે આવતા હશે?
જવાબ: 1) આપણી સરકારે આપણને એટલી બધી સુરક્ષિત માનસિકતા આપી દીધી છે કે આપણે આપણી દરેક બાબતની જવાબદારી એમની જ છે એવી માનસિકતામાં આવી ગયા છીએ.
2) કોઈને જવાબદારી લેવી નથી એટલે જ નવરા લોકો હોય એ જ કમિટીમાં આવે છે. અને જેમની પાસે કોઈ કામ નથી એ તો જ્યાં જગ્યા મળે ત્યાં પડ્યા પાથર્યા રહેવાના છે. વળી જેમની પાસે કામ નથી એમના માટે તો સોસાયટી જ એમની આજીવિકાનું સાધન બની શકે. શું તમે સોસાયટીની ચૂંટણીમાં ઉભા રહેશો? તમારે જ તમારી જવાબદારી લેવી પડશે. પોતાના ઘરની અલગથી સિક્યોરીટી સીસ્ટમ નાખો.
3) તમારી વાત પરથી સમજાય છે કે કોઈને પોતાની સુરક્ષામાં રસ નથી. પ્રધાનમંત્રી દરેક સોસાયટીમાં દરેકની સુરક્ષા માટે વિચારે તો દેશમાં અગત્યના પ્રશ્નો માટે સમય જ ન રહે. આત્મ સુરક્ષા માટે સ્પ્રે સાથે રાખો. કોઈ અચાનક સામે આવી જાય તો જેટલી તાકાત હોય એનાથી મદદ માટે બુમો પાડો. જો કોઈ મદદ માટે ન આવે તો સ્પ્રે છાંટી એ જગ્યાએથી દુર ભાગી અને પોલીસની મદદ માંગો.
4) જે લોકો પોતાની સુરક્ષાનો વિચાર નથી કરતા એમના ભરોશે ન રહેવાય. કોઈ સારી સિક્યોરીટી વાળી જગ્યાએ ઘર પણ લઇ શકો.
5) આ માત્ર તમારી સોસાયટીનો પ્રશ્ન નથી. આજકાલ કોઈને પોતાના માટે સમય નથી. એટલે જે ચાલે છે એવું ચાલવા દે છે. એટલે કોઈના ભરોસે રહેવા કરતા માત્ર તમારી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો કમિટી વાળા ફરિયાદ કર્યા બાદ તમને ધમકાવતા હોય તો તમારે સમજીને નવી જગ્યાએ જતા રહેવું જોઈએ. ત્યાં બીજું શું શું ચાલતું હશે એ તમને ખબર નથી.
6) માત્ર વાસ્તુના લીધે આવું ન થાય. પણ હા, નૈરુત્ય અને ઇશાનને જોડતો અક્ષ નકારાત્મક હોય અને અગ્નિમાં કોઈ કમિટી મેમ્બર રહેતા હોય તો આવું થઇ શકે. દર બેસતા મહીને કીડીયારું પૂરો. ઘરમાં સુખડનો ધૂપ ફેરવો.
સુચન: સોસાયટીના બરાબર નૈરુત્યમાં જો નકારાત્મક વ્યક્તિ રહેતી હોય તો એની અસર અન્ય લોકો પર આવી શકે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
