સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26મી એપ્રિલે મતદાન

Gujarat Local Body Elections: Campaigning Ends as State Prepares for Voting on April 26

7
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગજવી રહેલા પ્રચારના પડઘમ આખરે શાંત થયા છે. રાજકીય પક્ષોની રણનીતિ હવે ‘ડોર-ટુ-ડોર’ સંપર્ક પર કેન્દ્રિત થઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોને રીઝવવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જો કે આ વખતે લોકોમાં નિરસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સૌની નજર 26મી એપ્રિલના મતદાન પર છે.ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત
ચૂંટણીના 48 કલાક પહેલાં, એટલે કે આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને AAPના  નેતાઓએ રાજ્યના ખૂણેખૂણે રેલીઓ, રોડ-શો અને જાહેર સભાઓ ગજવીને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી મતદારોના ઘર આંગણે જઈને વિકાસના વાયદાઓ અને પરિવર્તનની આશાઓ સાથે પ્રચાર કર્યો હતો.
હવે થશે ડોર ટુ ડોર પ્રચાર
15 મહાનગરપાલિકા, 76 નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતો માટે જાહેર પ્રચાર બંધ થયો છે. જેના સ્થાને હવે ઉમેદવારો ‘ડોર ટુ ડોર’ સંપર્ક પર ભાર મૂકશે. 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ, હવે બાકીની બેઠકો પર દરેક પક્ષો પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ચૂંટણી પંચના નિયમો અનુસાર, હવે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સભા, સરઘસ કે લાઉડસ્પીકર દ્વારા જાહેર પ્રચાર કરી શકશે નહીં. વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષોના બેનરો, પોસ્ટરો અને અન્ય પ્રચાર સામગ્રી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર લોકશાહીનું આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય..
26મી એપ્રિલે મતદાન 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26મી એપ્રિલે યોજાવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીનોની ફાળવણી અને મતદાન મથકો પરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રચારના પડઘમ શાંત થતા જ હવે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે અને કોને સત્તાના સૂત્રો સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે. દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.