મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘લાડકી બહિન’ યોજનામાં લગભગ 68 લાખ લાભાર્થીઓના ખાતાં અનિવાર્ય e-KYC પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ ન કરવા બદલ બંધ કરવામાં આવ્યાં છે. તેને કારણે સક્રિય ખાતાઓની સંખ્યા ઘટીને લગભગ 1.75 કરોડ રહી ગઈ છે. e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ સુધી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે નવી સમયમર્યાદા પછી બંધ થયેલા ખાતાઓની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે કુલ 2.43 કરોડ ખાતાઓમાંથી લગભગ 68 લાખ ખાતાઓ અનિવાર્ય e-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતાં બંધ કરવામાં આવ્યાં છે. અનેક ફરિયાદો બાદ રાજ્ય સરકારે આ ચકાસણી પ્રક્રિયા શરૂ કરી હતી.
આ ફરિયાદોમાં જણાવાયું હતું કે પુરુષ સભ્યો અને સરકારી કર્મચારીઓ સહિતના અપાત્ર લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. નવેમ્બર, 2025થી e-KYC પ્રક્રિયાની સમયમર્યાદા અનેક વખત વધારવામાં આવી હતી.
સરકાર દર મહિને લાભાર્થીઓને લગભગ 3700 કરોડ રૂપિયા વિતરણ કરે છે, જેમાં દરેક પાત્ર મહિલાને 1500 રૂપિયા મળે છે. સક્રિય ખાતાઓની સંખ્યા ઘટતા યોજનાના ખર્ચમાં ફેરફાર થવાની શક્યતા છે. 2026-27ના બજેટમાં આ યોજના માટે 26,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 2025-26માં તે 36,000 કરોડ રૂપિયા હતી.
‘લાડકી બહિન યોજના’ મહાયુતિ સરકાર દ્વારા 2024ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મરાઠીમાં પુછાયેલા એક પ્રશ્નનો ખોટો જવાબ મળવાને કારણે 24 લાખથી વધુ લાભાર્થીઓને શરૂઆતમાં સરકારી કર્મચારી તરીકે ઓળખવામાં આવ્યા હતા.




