MP ના ધારમાં મોટી હોનારત: પિકઅપ વાન પલટી જતા 12 ના મોત

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં તિરલા પાસે શ્રમિકોથી ભરેલી પિકઅપ ગાડી પલટી જતાં મોટી જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાડીમાં કુલ 35 થી 40 શ્રમિકો સવાર હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેટલાક શ્રમિકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે વાહન નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ધારની જિલ્લા હોસ્પિટલમાં હાલમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માતની ખબર મળતા જ શ્રમિકોના સ્વજનો હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને પોતાના પ્રિયજનોની શોધખોળ કરી રહ્યા છે. હોસ્પિટલ પરિસરમાં લોકોના રડવાના અવાજોથી વાતાવરણ ગમગીન બની ગયું છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સીએસપી સુજાવાલ જગ્ગા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનના પ્રભારીઓ હોસ્પિટલ અને ઘટનાસ્થળે તૈનાત છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ તમામ શ્રમિકો આખો દિવસ મજૂરીકામ કર્યા બાદ પિકઅપ ગાડીમાં સવાર થઈને પોતાના વતન તિરલા વિસ્તારમાં પરત જઈ રહ્યા હતા. રસ્તામાં ચાલતું વાહન અચાનક કેવી રીતે પલટી ગયું અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ વાહનમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર હોવાને કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

મૃતકોમાં 6 મહિલાઓ અને 2 માસૂમ બાળકો હોવાથી આ ઘટના વધુ કરુણ બની છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય શ્રમિકો પૈકી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતે ફરી એકવાર શ્રમિકોના પરિવહન માટે વપરાતા વાહનોની સુરક્ષા અને માર્ગ સલામતીના નિયમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.