વડોદરા-અમદાવાદ-રાજકોટમાં બળાત્કારની ઘટનાઓ, રાજ્યભરમાં રોષ

વડોદરાઃ તેલંગાણામાં થયેલા બળાત્કાર મામલે આખા દેશમાં રોષ વ્યાપ્ત છે. ત્યારે ગુજરાતમાં પણ કદાચ બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં સગીરાના દુષ્કર્મની શાહી સૂકાઈ નથી, ત્યાં વાઘોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે વડોદરા પોલીસે આ ઘટનામાં UP થી આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ આરોપીનું હાથ મેડિકલ ચેકઅપ પણ હાથ ધરાયું છે. પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.(પ્રતિકાત્મક તસવીર)

તો બીજી તરફ રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાને PSI બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ત્યારે મહિલાએ આ મામલે પોલીસનો દરવાજો ખખટાવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

તો અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ શખ્સે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું છે. આ તાંત્રિક 2008થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બને બહેનો પાસેથી તેણે 24 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.