ભક્તિ જુ સીઢી મુક્તિ કી, ચઢે ભકત હરપાય, ઔર ન કોઈ ચઢિ શકે, નિજ મન સમજો આય. |
ભારતીય દર્શનશાસ્ત્રમાં મોક્ષ એ માનવજીવનનો મૂળભૂત હેતુ માનવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં મોક્ષ, બૌદ્ધ ધર્મમાં નિર્વાણ અને જૈન ધર્મમાં કર્મ ખપાવવાની જે ભાવના છે તે દીર્ઘ સમયના ચિંતન અને અનુભવ આધારિત છે.
આ મોક્ષ ભક્તિથી જ પાપ્ત થાય તેવી માન્યતા મધ્યકાલીન યુગમાં વ્યાપક હતી. કબીરજી આના સમર્થનમાં કહે છે કે, ભક્ત આનંદપૂર્વક બીજી વસ્તુઓનો ત્યાગ કરીને, અન્ય તકો તરફ દૃષ્ટિ કર્યા વિના મોક્ષની સીડી ચડે છે. દરેક વ્યક્તિએ આ વિચાર સમજીને ગ્રહણ કરવો જોઈએ. માયાના આવરણને દૂર કરી સત્યરૂપી પરમાત્માનાં દર્શન માટે ભક્તિ એ એકમાત્ર સાચો માર્ગ છે.
ભક્તનાં લક્ષણો વિશેષ છે. ભગવદ્ગીતાના બારમા અધ્યાયમાં ભકતોના લક્ષણો ‘સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિના, નિઃસ્વાર્થી, દયાળુ, મમત્વ અને અહંકારરહિત, ક્ષમાશીલ અને સુખદુ:ખોમાં સમભાવ, મન-ઈન્દ્રિયો વશમાં રાખનાર, દેઢ નિયી અને જેના બુદ્ધિ-મન મને સમર્પિત છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી” વર્ણવ્યા છે. આવા ભક્તો માટે મોક્ષ સહજ છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
