લગા રહે સત જ્ઞાન સો, સબહી બંધન તોડ, કહૈ કબીર વા દાસ સો, કાલ રહે હથ જોડ. |
સાધકમાં તિતિક્ષાનો ગુણ જરૂરી છે. સાતત્યપૂર્ણ વૈરાગ્ય દૃઢ નિશ્રય અને શિસ્તથી જ શક્ય બને છે. જીવનમાં અનેક આકર્ષણો છે, ઈચ્છાઓ છે, મનોરથ છે. તેના કારણે સાંસારિક સંબંધોની જાળ રચાય છે. કબીરજી કહે છે કે, આ સઘળાં બંધનો તોડવાં જરૂરી છે. ભક્તિમાર્ગમાં ત્યાગ, સેવા, પ્રેમ અને સદ્દગુણો પાયારૂપ છે.
આજના ભૌતિકવાદના યુગમાં ક્યારેય આવો ઉપદેશ વ્યવહારુ ન લાગે પરંતુ એ હકીકત છે કે જીવન ક્ષણભંગુર છે. તેનો હેતુ ભોગ-વિલાસ નહીં પણ પ્રભુએ જે બુદ્ધિ આપી છે તેના દ્વારા પરમાત્માની ઓળખ કરવાની છે.
આજની ભોગવૃત્તિનો ભક્તિમાર્ગમાં નિષેધ છે. આ સાખીમાં દાસ શબ્દનો ઉપયોગ કરી કબીરજી નમ્રતા, સમર્પણ અને વફાદારીના ગુણો તરફ સંકેત કરે છે. આવી જ્ઞાની, મુક્ત અને નમ્ર વ્યક્તિ માટે મોક્ષનો દરવાજો તો આપમેળે ખૂલી જાય છે. આવી વિભૂતિ આત્માનું અમરતત્ત્વ પિછાણે છે, તે કાલાતિત છે. સ્વયં કાળ તેની સામે હાથ જોડી તેને નમન કરે છે. કબીરજી ખુદ જ્ઞાની સદ્દગુરુ છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
