કબીરવાણી: કાલ પર ટાળેલું કાર્ય ક્યારેય પૂર્ણ થતું નથી

કાલ કરૈ સૌ આજ કર, સબહિ સાજ તુવ સાથ,

કાલ કાલ તૂ કયા કૌં, કાલ કાલ કે હાથ.

 

સૌરાષ્ટ્રમાં લોકોક્તિ છે કે, “પથારી કરવામાં રાત પૂરી થાય તો સૂવું કેમ ?” સંગીતની મહેફિલ શરૂ થતાં પહેલાં દરેક સાજિંદો પોતાના સાજને મઠારી સ્પંદનોને ચકાસી લે છે. આમાં ઘણી વખત ખૂબ લાંબો સમય વ્યતિત થાય છે. શ્રોતાઓ કંટાળી જાય છે. સદ્કાર્ય ટાળવાની આપણી વૃત્તિને અડચણરૂપ માનતા કબીરજી કહે છે કે, કોઈ કામ કાલ કરીશ એના બદલે આજ કરી જ લેવું તેવી ટેવ ઉપકારક છે.

કાલ શબ્દના વિવિધ અર્થને ગૂંથીને કબીરજી કહે છે કે, આવતી કાલ આપણા હાથમાં નથી. મહાકાળરૂપી સમય કોઈના બંધનમાં થોડો છે ? ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ? તે ન્યાયે માણસે ફરજ બજાવવામાં વિલંબ ન કરવો જોઈએ. આધુનિક મૅનેજમેન્ટમાં પણ સમયનું આયોજન અને ઉપયોગ એક મહત્ત્વનું પાસું છે.

સમયને આપણે કાલ, આજ, કાલ, મિનિટ, ઘડી, કલાક, અઠવાડિયું, માસ, વર્ષ એમ માપીએ છીએ. કાળ તો અનંત છે પણ તેનો એવો અર્થ ન કરીએ કે સમાજમાં વિલંબ, પ્રમાદ અને કામચોરીને પ્રોત્સાહન મળે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)