શીલવંત સુર જ્ઞાનમત, અતિ ઉદાર ચિત્ત હોય, લજ્જાવાન અતિ નિછલના, કોમલ હિરદા સોય. |
સેવાધર્મ પરમ ગહન છે. સૌથી મુશ્કેલ કાર્ય સેવક થવાનું છે. સામાજિક કાર્યકરનું વિઝિટિંગ કાર્ડ છપાવી લેવાથી સેવક થવાતું નથી. નેતાની લાયકાત, સંતના ગુણ, ભક્તની વિશેષતા અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે.
સેવક માટે કબીરજી ગુણોની યાદી લાંબી આપે છે. કબીરજી તો લાધવના નિષ્ણાત છે. ખૂબ અર્થસભર વાત સાવ થોડા શબ્દોમાં ચોટદાર રીતે કહી દે છે. તેમના મતે સેવક શીલવંત અને શૂરવીર હોવો જોઈએ. ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને વીરતા જરૂરી છે.
સેવક જ્ઞાની અને ઉદાર હોવો જોઈએ. મનની મોટાઈ અને તે પણ સેવકમાં હોવી જોઈએ તે ખ્યાલ ઉદાત્ત છે. લજ્જાવાન હોવું એટલે કાંઈ પણ ખોટું કરવામાં શરમ અનુભવવી.
બેશરમ હોવાથી માણસ દુષ્કૃત્ય કરતાં હીચકીચાટ અનુભવતો નથી. અતિ પવિત્ર હોવું પણ સેવક માટે આવશ્યક છે. તેનું હૃદય પણ કોમલ ભાવથી ભરેલું હોય. વિતંદય હોવું એટલે નમ્ર અને દયાળુ હોવું પણ સેવકના આદર્શ લક્ષણમાં ગણી લેવાનું કબીરજી કહે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
