
સૌરાષ્ટ્ર કચ્છ કે ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગામોમાં પ્રવેશતાં જ વીર રસથી ભરપૂર ઘોડે ચઢેલાં પાળિયા જોવા મળે છે. પહેલાના સમયમાં પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો એટલે પાળિયા. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાન પૂજાય છે. જમાનો બદલાયો એટલે શહેરી વિસ્તારોમાં શહીદના સ્મારકો અને ખાંભીઓ બંધાઇ. વિશ્વના યુરોપ, આફ્રિકા સહિતના દરેક ખંડમાં સંસ્કૃતિઓમાં આ પ્રથાઓ જુદી જુદી રીતે જોવા મળે છે. ભારતીય ઇતિહાસના મધ્યયુગમાં સ્મારકો તરીકે પાળિયા સ્થાપવાનો રિવાજ પ્રસર્યો હતો.પાળિયા અને ખાંભી એ વ્યાપક અર્થમાં મૃત્યુનાં સ્મારકો છે. પાળિયાની સૃષ્ટિ દ્વારા મૃતકો દ્વારા પણ મંગલ થવાની ભાવના ઋગ્વેદના દસમા મંડળના અઢારમા સૂક્તમાં મળે છે.
પાળિયા પણ માનવજીવનનું એક અંગ હોઈ પુરાતત્વની અભ્યાસ સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પાળિયા પુરાતત્વ અભ્યાસનું સબળ સાધન ગણાય છે. પાળિયા મુખ્યત્વે યોધ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, લોકસાહિત્ય, ક્ષેત્રપાળ, પ્રાણીઓના સ્વરૂપે જોવા મળે છે. કચ્છના વ્રજવાણીમાં 140 સ્ત્રીઓ અને એક ઢોલીનો પાળિયો આવેલા છે.
ગુજરાતમાં કચ્છમાં મહાપાષાણ સ્મારકો આવેલાં છે. આ મહાપાષાણ સ્મારકોના પ્રકારમાંથી ‘મેનહીર’ પ્રકાર સૌરાષ્ટ્રના પાળિયાનો પૂર્વજ હોઈ શકે. મહાપાષાણ સ્મારકોનો સમય ઈ. પૂ. 4000થી 1000 સુધીનો માનવામાં આવે છે. મૃત્યુ-સ્મારક તરીકે ઇજિપ્તના પિરામિડો હોય કે સાંચીનો સ્તૂપ હોય, બંનેમાં મૃતાત્માના અમરત્વનો ખ્યાલ સૂક્ષ્મ ભાવે રહેલો જણાય છે. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના અગ્નિસંસ્કારની સ્મૃતિ માટે પ્રભાસપાટણમાં ત્રિવેણી-સંગમ પર રચાયેલા તુલસીક્યારાથી માંડીને દિલ્હીમાં આવેલા મહાત્મા ગાંધીના રાજઘાટના સ્મૃતિસ્મારક સુધીનાં મૃત્યુસ્મારકોમાં ભારતની જીવંત સંસ્કૃતિનો ધબકાર વરતાય છે.
પાળિયાનું ભૌગોલિક સ્થાન એ જેમાંથી બનાવાયો હોય તે પદાર્થસામગ્રી, એને ઊભો કરવાનો હેતુ, લેખ અને એમાંની ભાષા અને લિપિ, ધાર્મિક ચિહનો, આકૃતિઓ, અંકિત માનવ-આકૃતિનાં પહેરવેશ, અલંકારો, આયુધો, ઉપકરણો અને તેની સાથેનાં પશુઓ, તેનો ઐતિહાસિક સમય, તેના અંગેની લોકકથા વગેરેનો અભ્યાસ કરી, તેનો અન્ય આધારભૂત ગ્રંથો સાથે સંબંધ-સંદર્ભ તપાસી, પાળિયાની પ્રમાણ નક્કી થાય છે. ગુજરાતનાં અંદાજે છેલ્લાં એક હજાર વર્ષનો ઇતિહાસ આ પાળિયાઓમાં જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




