આપવાનો આનંદ એટલે દિન દિન દિવાળી…

આગામી દિવસોમાં રોજ રમા એકાદશીથી દિવાળીનો પ્રારંભ થશે, ભારત જ નહીં, જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં દિવાળીની ઉજવણી થશે. હિંદુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. મહિનામાં બે વખત એકાદશી આવતી હોય છે. એકાદશ (અગિયારસ)ના દિવસે ભક્તજનો પૂરી શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને દીનદુખિયાને યથાશક્તિ દાન આપે છે.

જીવનમાં કેટલાક શબ્દો એવા હોય છે, જે બોલતાં જ અજાણી ઊર્જા અનુભવાય છે. દાન આવો શબ્દ છે. એ આપણી અંદરની માનવતાને જાગ્રત કરે છે. દાન એ માત્ર સંપત્તિ આપવાનું કૃત્ય નથી; એ તો હૃદયની સમૃદ્ધિનો પ્રસાર છે. જ્યારે આપણે ભૂખ્યા જનને જમાડીએ છીએ, ત્યારે એની ભૂખ તો મટે છે, સાથે આપણા મનનાં સંકોચ, સ્વાર્થ અને અહં ઓગળી જાય છે. દાન એ હકીકતનો સ્વીકાર છે કે મારું છે એ બધું મારું નથી.

-અને સાચું દાન એ છે, જ્યાં હાથ આપે, પણ હૃદય અહંકાર-રહિત હોય. આ જ દાનનો મહિમા છેઃ આપીને મેળવવાનો આનંદ.

સન 1892નો આ પ્રસંગ જુઓઃ આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની સ્થિતિ એવી કે યુનિવર્સિટીની ફી ભરવાના વાંધા હતા. ફીના પૈસા કાઢવા બન્નેએ મળીને અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઈગ્નેસી પેડરેસ્ટીના એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું. તે સમયે પેડરેસ્ટી આવા એક લાઈવ કન્સર્ટ માટે 2000 ડોલર ચાર્જ કરતા. પેલા બન્ને વિદ્યાર્થીએ વિચાર્યું કે પેડરેસ્ટીને 2000 ડોલર આપ્યા પછી પણ ટિકિટના વેચાણમાંથી તો કમાણી થવાની જ છે. એમાંથી ફી ભરી શકાશે, પરંતુ જીવનમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ઘણી વાર આપણે ધારીએ કંઈક અને થાય કંઈક અલગ. આ બંને વિદ્યાર્થીઓ સાથે પણ કંઈ એવું જ બન્યું. આખા ઈવેન્ટના અંતે બંનેને માત્ર 1600 ડોલર જ મળ્યા. સામે આપવાના હતા 2000 ડોલર, પિયાનોવાદકની ફી. બંને મૂંઝાતાં મૂંઝાતાં પેડરેસ્કી પાસે ગયા અને કહ્યું, ‘અમારે તમને 2000 ડોલર આપવાના હતા, પણ માફ કરજો, અમે આ કન્સર્ટમાંથી માત્ર 1600 ડોલર જ ભેગા કરી શક્યા છીએ, પણ તમે ચિંતા નહીં કરતા. અમે ભણવાનું છોડી દઈશું, નોકરી કરીશું ને તમારા બાકીના 400 ડોલર આપી દઈશું.’

ઈગ્નેસી પેડરેસ્કીએ બન્ને યુવા સ્ટુડન્ટ્સની વાત સાંભળી 1600 ડૉલર પાછા આપતાં કહ્યું, ‘તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી નથી જોઈતી. બન્ને વિદ્યાર્થીઓએ પેડરેસ્ટ્રીનો ખૂબ આભાર માન્યો.

કાળાંતરે મશહૂર પિયાનોવાદક ઈગ્નસી પેડરેસ્કી પોલેન્ડના વડા પ્રધાન બન્યા. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલેન્ડની હતી. ત્યાંની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફ્સાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડા પ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી. જો કે તે સમય ખૂબ કપરો હતો. વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. એટલે કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરીકે પેડરેસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનને મદદ માટે વિનંતી કરી. તે સમયે “યુ.એસ. ફૂડ એડમિનિસ્ટ્રેશન”ના પ્રમુખ હર્બટ હૂવર હતા. હર્બટ હૂવરે પોલેન્ડ અને વડા પ્રધાન ઈગ્નસી પેડરેસ્કીને અકલ્પનીય કહેવાય એવી અને એટલી સહાય કરીને પોલેન્ડની પ્રજાને ભૂખમરાથી બચાવી લીધી.

પ્રાઈમ મિનિસ્ટર ઈગ્નેસી પેડરેસ્ટી ખાસ આ દરિયાદિલીનો આભાર માનવા અમેરિકા ગયા. એ હર્બટને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટે કહ્યું, “મિ.પ્રાઈમ મિનિસ્ટર… આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892માં તમે આર્થિક મુશ્કેલીમાં આવેલા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને એમનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો, તે બે વિદ્યાર્થી પૈકીનો એક, હું છું.” આગળ જતાં (1929) હર્બર્ટ હૂવર અમેરિકાના 31મા પ્રેસિડન્ટ બન્યા.

ખરેખર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ફેંકાયેલું બૂમરેંગ જેમ હંમેશાં આપણી તરફ પાછું ફરે છે તેમ નિઃસ્વાર્થભાવે કરેલી મદદ હંમેશાં એક યા બીજા સ્વરૂપે પરત ફરે જ છે. લેવાની તો બધાને મજા આવે, પરંતુ ક્યારેક આપવાનો આનંદ પણ લેવા જેવો છે. સ્વાર્થ માટે તો બધા બધું કરે, થોડું બીજા માટે પણ કરી લઈએ.

આજે પણ વિશ્વના માંધાતા, ઉમરાવો, મોટા-મોટા ઓફ્સિરોથી લઈને નાના ગામડાનો સામાન્ય માનવી પ્રમુખસ્વામીજીને યાદ કરે છે, કારણ કે આ મહાન સંતે કરેલી મદદ આજે પણ લાખો લોકોનાં હૃદયમાં જાગ્રત છે. આવા પરોપકારી સંતના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આ દિવાળીએ, અરે દિવાળી જ શું કામ? રોજ રાતે સૂતા સમયે જાતને પ્રશ્ન પૂછીએઃ આજે મેં કોઈને નિઃસ્વાર્થભાવે મદદ કરી?

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)