નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. પોતાના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ દખલ ન કરતાં તો આ સંઘર્ષ ન્યુક્લિયર વોરમાં ફેરવાઈ શક્યો હોત. 3.5 કરોડ લોકો કહી રહ્યા હતા કે જો તેમણે દખલ ન કરી હોત તો પાકિસ્તાનના વડા પ્રધાન માર્યા ગયા હોત, એમ તેમણે કહ્યું હતું.
અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશ અને વિદેશમાં અમેરિકનોની સુરક્ષા પુનઃસ્થાપિત કરવા પર અમને ગર્વ છે. મારા પહેલા દસ મહિનામાં મેં આઠ યુદ્ધો ખતમ કર્યાં છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુદ્ધ શરૂ થઈ શકતું હતું. ટ્રમ્પે જેમના સંઘર્ષો ઉકેલ્યાનો દાવો કર્યો તેમાં ઇઝરાયલ-હમાસ, ઇઝરાયલ-ઇરાન, ઇજિપ્ત-ઇથિયોપિયા, ભારત-પાકિસ્તાન, સર્બિયા-કોસોવો, રવાંડા-કોંગો લોકતંત્રિક પ્રજાસત્તાક, આર્મેનિયા-અઝરબૈજાન અને કમ્બોડિયા-થાઈલેન્ડનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે તેમનું પ્રશાસન રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા માટે પણ સખત પ્રયત્ન કરી રહ્યું છે.
ટ્રમ્પના દાવાનું ભારતે કર્યું ખંડન
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે વ્હાઇટ હાઉસમાં પોતાના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં તેમણે આઠ યુદ્ધો ખતમ કર્યાં. તેમણે ગયા વર્ષે 10 મે પછીથી ભારત-પાકિસ્તાન સંઘર્ષ સમાપ્ત કરવાનું શ્રેય 80 કરતાં વધુ વખત લીધો છે. જોકે મે 2025 દરમિયાન થયેલા સંઘર્ષ દરમિયાન ભારતે કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા હતા. ભારતે જણાવ્યું હતું કે સંઘર્ષ ખતમ કરવાની સહમતી બંને દેશોની સેનાના DGMO વચ્ચે થયેલી સીધી વાતચીત બાદ બની હતી.
ભારતનું ઓપરેશન સિંદૂર
એપ્રિલ, 2024માં પહેલગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. તેના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી માળખાઓ પર ચોક્કસ સ્થાનો પર હુમલા કર્યા હતા.




