
કાંદિવલીમાં ઓર્ગન ડોનેશન અંગે જાગ્રતિ માર્ગદર્શક સેમિનાર યોજાયો
આપણે ચક્ષુદાન, ત્વચા દાન અને દેહદાન વિશે સાંભળ્યું છે, કિંતુ અંગ દાન (ઓર્ગન ડોનેશન) વિશે આપણને પર્યાપ્ત જાણકારી નથી. આ એક એવું મહાદાન છે, જે ઘણાં બધાંની જીંદગીમાં નવું ચેતન અને ઉર્જા લાવી શકે છે. આ વિશે સમાજમાં જોઈએ તેટલી જાગ્રતિ નહી હોવાથી આ વિશે લોકોમાં સાચું માર્ગદર્શન આપવાના આશય સાથે મુંબઈના કાંદિવલી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ.

કાંદિવલી સ્થિત પાંચેક સંસ્થાઓ, એસીઆઇ (એઈડઝ કોમ્બેટ ઈન્ટરનેશનલ) , મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રગતિ મિત્ર મંડળ, કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ)એ સંયુકત સ્વરૂપે 28 જુનના શનિવારે સાંજે પાંચ થી સાત કાંદિવલીમાં એક માર્ગદર્શક પરિસંવાદનું આયોજન થયુ. આ પરિસંવાદના મુખ્ય વકતા નિલેશ માંડલેવાલા હતાં. જેઓ છેલ્લા અઢી દાયકાથી આ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
સુરતની નિલેશ માંડલેવાલા સ્થાપિત સંસ્થા ડોનેટ લાઈફ ઓર્ગન ડોનેશનનું કાર્ય દેશભરમાં એક યજ્ઞની જેમ કરી રહી છે. ઓર્ગન ડોનેશન બ્રેઈનડેડ વ્યકિતનું થઈ શકે છે, જેમાં કિડની, લીવર, હાર્ટ, પેન્ક્રિયાઝ, ફેફસા, આંતરડા, હાથ, વગેરે સહિત વિવિધ અંગોનું દાન જરૂરતમંદ લોકોને થઈ શકે છે. આ સંસ્થાએ અનેક લોકોને નવું જીવન આપ્યું છે.
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ એસીઆઇના સ્થાપક ડો. ગીરિશ ત્રિવેદીએ સાથે નિલેશભાઇ માંડેલવાલાનો પરિચય આપ્યો. નિલેશભાઈ દ્વારા વિવિધ કિસ્સાઓ સાથે ઓર્ગન ડોનેશનનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યુ. આ સાથે વિષય સંબંધિત જાણીતા ગાયકો દ્રારા સંગીત અને ગીતોની પ્રસ્તુતિ પણ થઈ. અંતમાં શ્રોતાઓ સાથે પ્રશ્ર્નોત્તરી સત્ર યોજાયું. આ પ્રસંગે રકતદાન અને ઓર્ગન ડોનેશન સહિતની અનેક સામાજીક સેવાની પ્રવૃતિઓમાં અગ્રેસર એવા સન્ડે ફ્રેન્ડસ ગ્રુપ સહિત વિવિધ અન્ય સામાજીક સંસ્થાઓ પણ હાજર રહી. આ પરિસંવાદનો ઉદેશ ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ ફેલાવવાનો છે.
શાહરુખ એકલતા અનુભવે છે, કિંગ ખાન વિશે જેકી શ્રોફે ઈન્ટરવ્યુમાં કર્યો આવો ખુલાસો
શાહરૂખ ખાન સિનેમાની દુનિયામાં રાજ કરે છે. કિંગ ખાનના દેશ અને દુનિયામાં કરોડો ચાહકો છે. તે હજુ પણ તેની અભિનય કુશળતાને કારણે ઉદ્યોગમાં ટોચ પર છે. જોકે, સ્ટારડમની સાથે તેના જીવનમાં એકલતા પણ આવી ગઈ છે, એમ જેકી શ્રોફે જણાવ્યું હતું. જેકી શ્રોફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને સેટ પર એકલા બેઠેલા જોયા હતા. જેકીએ કહ્યું હતું કે તેના સુપરસ્ટારડમને કારણે તે ટોચ પર એકલતા અનુભવે છે.

અભિનેતા જેકી શ્રોફ અને શાહરૂખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેકી શ્રોફે તાજેતરમાં વિકી લાલવાણી સાથેના ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાન સાથેની તેમની મિત્રતા વિશે વાત કરી હતી. બંનેએ ‘દેવદાસ’ અને ‘કિંગ અંકલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફે આ સમય દરમિયાન કહ્યું હતું કે શાહરૂખ ખાન શૂટિંગ દરમિયાન સેટ પર એકલા બેસતા હતા, જ્યારે તેઓ આદરણીય છે. છતાં કિંગ ખાન દૂર રહેતા હતા.
જેકી શ્રોફે આગળ કહ્યું, ‘એકલતા, દરેક અભિનેતાને એકલતાનો અનુભવ થવો જ જોઈએ. આવું કોઈએ કહ્યું હતું’. જેકીએ આગળ કહ્યું, ‘તો મેં તેને (શાહરુખ ખાન) ત્યાં એકલો બેઠો જોયો. તે મારા નાના ભાઈની ભૂમિકા ભજવી રહ્યો હતો. તે આદરણીય હતો, તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો અને તે પ્રભાવશાળી અને મોહક હતો. પણ એકલો. જેમ હું એકલો હતો, તેમ તે પણ એકલો હતો. મને તે વાઇબ્સ ગમ્યા’.
જેકી શ્રોફે કહ્યું કે ફિલ્મ ‘દેવદાસ’ પહેલા, તેમણે ‘વન 2 કા 4’ જેવી અન્ય ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જોકે, સંજય લીલા ભણસાલીની ફિલ્મના સેટ પર આ એક સામાન્ય બાબત હતી. તેમણે કહ્યું કે ‘દેવદાસ’ના પાત્રો એવા હતા કે એકલા બેસવું સ્વાભાવિક હતું. જેકી શ્રોફે કહ્યું કે જ્યારે તમે સફળતાના દુર્ગમ સ્તરે પહોંચો છો, ત્યારે તમને એકલતા અનુભવવાનું શરૂ થાય છે. અભિનેતાએ કહ્યું, ‘મને લાગે છે કે જો તમે એવરેસ્ટની ટોચ પર જાઓ છો, તો તમારી પાસે ફક્ત તમારો પડછાયો હશે અથવા ત્યાં ફક્ત એકલતા હશે. જેકી શ્રોફે કહ્યું કે કિંગ ખાનના કિસ્સામાં તેમને બિલકુલ એવું જ લાગ્યું.
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાત પર હાલ 1.5 કિલોમીટરની ઊંચાઈનાં વાદળો સક્રિય છે, જેને કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેને પગલે ઓલઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં કચ્છના માંડવીમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
PM મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી
PM મોદીએ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ગયેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાત કરી છે. આ માહિતી પીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે.
PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd
— PMO India (@PMOIndia) June 28, 2025
શુભાંશુ શુક્લા 41 વર્ષ બાદ અંતરિક્ષમાં પહોંચનાર બીજા ભારતીય છે. તેમના પહેલાં રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય હતા. નાસાએ શુભાંશુ શુક્લાના સ્પેસક્રાફ્ટની ડોકિંગની સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ પણ કર્યું છે.
ઇલિયાના ડી’ક્રુઝ બીજી વખત માતા બની, પ્રિયંકાએ અભિનંદન આપ્યા
અભિનેત્રી ઇલિયાના ડી’ક્રુઝ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. જોકે, તે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. ઇલિયાના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને અહીં તેના જીવન સાથે સંબંધિત અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં, ઇલિયાનાએ તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે.

ઇલિયાના ડી’ક્રુઝ બીજી વખત માતા બની છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. અભિનેત્રીએ પોસ્ટમાં તેના બાળકની ઝલક બતાવી છે. સોશિયલ મીડિયા પર તેના બાળકની તસવીર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું ‘મારું હૃદય ભરાઈ ગયું છે’. ઇલિયાનાએ તેના બીજા બાળકનું નામ પણ જાહેર કર્યું છે. ઘણા યુઝર્સ આ પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાએ ઇલિયાનાની પોસ્ટ પર ટિપ્પણી કરી છે. તેણે લખ્યું છે, ‘સુંદર છોકરી, તને શુભકામનાઓ.’ અભિનેત્રી સોફી ચૌધરીએ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી છે, ‘ડાર્લિંગ, તને શુભકામનાઓ. તને અને આ બાળકીને ખૂબ ખૂબ પ્રેમ.’ અભિનેત્રી વિદ્યા બાલને ટિપ્પણી કરી છે, ‘શુભેચ્છાઓ. ભગવાન તમારા બધાનું રક્ષણ કરે.’
View this post on Instagram
ઇલિયાનાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી મલાઇકા અરોરાએ પણ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેને અભિનંદન આપ્યા છે. અભિનેત્રી આથિયા શેટ્ટીએ પણ ઇલિયાનાની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેને અભિનંદન આપ્યા છે. રિદ્ધિમા તિવારીએ પણ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી છે.
તમને જણાવી દઈએ કે ઇલિયાનાએ મે 2023 માં માઈકલ ડોલન સાથે લગ્ન કર્યા હતા. ઓગસ્ટ 2023 માં તેમના પહેલા બાળકનો જન્મ થયો હતો. ઇલિયાનાએ ઓક્ટોબર 2024 માં તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તાજેતરમાં, ઇલિયાનાએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે, ‘લોકોને અને ખાસ કરીને બાળકોને શીખવવું જોઈએ કે ક્રૂર, દુષ્ટ, નિર્દય અથવા સ્વાર્થી બનવું એ પ્રેમ કરવા યોગ્ય ગુણો નથી. પ્રેમને આદર અને ખુશીથી પ્રાપ્ત કરવો જોઈએ.’
કોલકાતાના ગેંગરેપ મામલે મમતા ‘દીદી’ના રાજીનામાની માગ
કોલકાતાઃ કોલકાતાની લો કોલેજમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગરેપના મામલે પોલીસે અત્યાર સુધીમાં સુરક્ષા ગાર્ડ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલાને લઈને ભાજપે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીના રાજીનામાની માગ કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મમતા સરકાર પર તીવ્ર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે જ્યાં એક મહિલા CM છે, ત્યાં મહિલાઓ સાથે આવી બર્બરતા કેમ થઈ રહી છે?
સંબિત પાત્રાએ શું કહ્યું?
સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલીક તસવીરો પણ દર્શાવી અને જઘન્ય ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન પર સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીની સરકારને લાગે છે કે તેમની કોઈ જવાબદારી નથી. પાત્રાએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ ઘટના અંગે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. આ સમિતિ તત્કાલ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પોતાનો તપાસ અહેવાલ જે.પી. નડ્ડાને રજૂ કરશે. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીએ તરત જ આ ઘટનાને લઈને માફી માગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.
BJP National President Shri @JPNadda strongly condemns the heinous incident of gangrape of a student at Kolkata Law College.
A committee has been formed by the BJP to investigate the matter. The four-member committee will submit its report to Shri Nadda. pic.twitter.com/Xn8W3hptTd
— BJP (@BJP4India) June 28, 2025
એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે આજે સવારે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી છે, કારણ કે તેના જવાબો અસ્પષ્ટ હતા. CCTV ફુટેજ મુજબ તે કોલેજમાં હાજર હોવાનું જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ગાર્ડ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
અધિકારીએ કહ્યું હતું કે ગાર્ડે આ સ્પષ્ટપણે નથી જણાવ્યું કે તેણે યોગ્ય પગલું કેમ ન લેવું અને ત્રણેય આરોપીઓને અપરાધ કરતા કેમ ન અટકાવ્યા.
ભારે કરી ! ટ્રેનનો ભાડામાં થશે વધારો
દેશમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા આ મુસાફરો માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું છે. અને આ પણ એક કારણ છે કે મોટાભાગના લોકો ફ્લાઇટ કરતાં ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ હવે ટ્રેન મુસાફરો માટે મુસાફરી કરવી થોડી મુશ્કેલ બની શકે છે.

કારણ કે ભારતીય રેલવેએ ટ્રેનમાં ભાડું વધારવાની જાહેરાત કરી છે. વધેલું ભાડું ૧ જુલાઈ, ૨૦૨૫ થી મુસાફરો માટે લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે તમારી મુસાફરી કેટલી મોંઘી થશે, રેલવે દ્વારા કઈ ટ્રેનો માટે ભાડું વધારવામાં આવ્યું છે.
1 જુલાઈથી ટ્રેન ભાડું વધશે
ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે. રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, 1 જુલાઈથી ટ્રેનનું ભાડું વધારવામાં આવશે. જો કોઈ એસી કોચમાં મુસાફરી કરે છે. તો દરેક કિલોમીટર માટે ભાડામાં બે પૈસા વધારાના ચૂકવવા પડશે. જો તમે નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે પ્રતિ કિલોમીટર એક પૈસા વધારાનો ચૂકવવો પડશે. જો તમે એસી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે પ્રતિ કિલોમીટર બે પૈસા વધારાનો ચૂકવવો પડશે.

આટલું વધારાનું ભાડું ચૂકવવું પડશે
એટલે કે, જો તમે 500 કિમી મુસાફરી કરી રહ્યા છો. અને તમે નોન એસી કોચમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારા વર્તમાન ભાડા મુજબ, તમારે 1 જુલાઈથી ભાડા પર 5 રૂપિયા વધારાના ચૂકવવા પડી શકે છે. બીજી તરફ, જો તમે એસીમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે 10 રૂપિયા વધારાના ચૂકવવા પડી શકે છે. જો તમારી મુસાફરી 1000 કિમીથી વધુ છે. તો તમારે નોન એસી મુસાફરી માટે 10 રૂપિયા વધારાના અને એસીમાં મુસાફરી માટે 20 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.
રેલવેને આટલો નફો મળશે
તમને જણાવી દઈએ કે કરોડો મુસાફરો દરરોજ રેલવેમાં મુસાફરી કરે છે. જો દરેક મુસાફરના આધારે જોવામાં આવે તો ભાડામાં આ વધારો કદાચ વધારે ન લાગે. પરંતુ જો તમે તેને રેલવેની આવકના સંદર્ભમાં જુઓ. તો ફક્ત આ વધારા સાથે, રેલવેની આવક રૂ. 700 કરોડ સુધી પહોંચવાની ધારણા છે.
જામનગરમાં આવી રહી છે વધુ એક ઓઇલ રિફાઈનરી
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જીની બે મહાકાળી ઓઇલ રિફાઈનરીઓ પછી કેન્દ્ર સરકાર સંચાલિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ગ્રીનફિલ્ડ રિફાઈનરી જામનગર જિલ્લાના દરિયાકાંઠા ઉપર સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. ONGCની આ રિફાઈનરી માટે સંયુક્ત સાહસ કરવા માટે સાઉદી અરેબિયાની કંપની-સાઉદી અરામકો-જોડાય તેવી શક્યતા છે.
જાણવા મળી રહ્યું છે તે મુજબ દરિયાકાંઠાની આ રિફાઈનરી અંગે ONGC દ્વારા હાલ વિગતવાર શક્યતા અહેવાલ (ડી.એફ.આર.) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ, આ રિફાઈનરી પ્લાન્ટની ક્ષમતા, રોકાણ અને જગ્યા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મોટી જાહેરાત : ભારતમાં વધુ એક T20 લીગ શરૂ થશે
ભારતમાં ઘણા રાજ્યો છે જેમણે પોતાની સ્થાનિક T20 લીગ શરૂ કરી છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરવા જઈ રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન 2025-26 સીઝનમાં પોતાની T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. ઘણા ખેલાડીઓ એવા છે જે ભારતીય સ્થાનિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરે છે અને IPLમાં પણ પોતાની છાપ છોડતા જોવા મળ્યા છે. હવે ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાતના ખેલાડીઓ પણ તેમની ફ્રેન્ચાઇઝી લીગમાં મજબૂત ક્રિકેટ રમતા જોવા મળશે. આ વાતની પુષ્ટિ ખુદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સચિવ અનિલ પટેલે કરી છે.

ટીમો અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સચિવ અનિલ પટેલે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે નવી ફ્રેન્ચાઇઝી T20 ટુર્નામેન્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ સાથે, તેમણે બાકીની મહત્વપૂર્ણ માહિતી વિશે જણાવ્યું છે કે એસોસિએશન ટૂંક સમયમાં આ અંગે બેઠક કરશે અને પોતાનો નિર્ણય આપશે.
હંમેશા એવું જોવા મળ્યું છે કે ભારતીય રાજ્યોની ફ્રેન્ચાઇઝ લીગમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને IPL સીઝનમાં કોઈને કોઈ ટીમ ચોક્કસ ખરીદે છે. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં કેટલાક ખેલાડીઓને બેટિંગ કે બોલિંગ કરવાની પણ તક મળે છે. હવે ગુજરાતના ખેલાડીઓ પણ મજબૂત ક્રિકેટ રમતા જોવા મળશે. ગુજરાતના ઘણા ખેલાડીઓ એવા છે જેમણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
શું મોટા ખેલાડીઓ રમતા જોવા મળી શકે?
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. એટલું જ નહીં, રવિન્દ્ર જાડેજા, ભૂતપૂર્વ ખેલાડીઓ મુનાફ પટેલ અને અજય જાડેજાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. હવે ગુજરાતમાંથી ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળશે. જો આપણે કેટલાક રાજ્યોની વાત કરીએ તો, તમિલનાડુ પ્રીમિયર લીગ તમિલનાડુમાં રમાય છે, જ્યારે દિલ્હી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ થોડા સમય પહેલા દિલ્હીમાં શરૂ થઈ છે. ઉત્તર પ્રદેશમાં, ઉત્તર પ્રદેશ પ્રીમિયર લીગમાં ઘણા ખેલાડીઓ ઉત્તમ ક્રિકેટ રમતા જોવા મળ્યા છે. આ યાદી ઘણી લાંબી છે.

