Home Blog Page 804

World UFO Day: શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

દર વર્ષે અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ પહેલા 2 જુલાઈના રોજ વિશ્વ UFO (unidentified Flying Object) દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ UFO એટલે કે અજાણ્યા ઉડતા પદાર્થો વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. તે જ સમયે, જો આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો, UFO ને ઉડતી રકાબી પણ કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે UFO વિશે વાત કરીએ છીએ, ત્યારે તે લોકોને ખૂબ આકર્ષિત કરે છે. એવું કહેવાય છે કે આ દિવસ જુલાઈ 1947 માં ન્યૂ મેક્સિકોમાં રોઝવેલ ઘટના પછી શરૂ થયો હતો. 2022 માં પણ UFO સમાચારમાં રહ્યા.

UFO દિવસનો ઇતિહાસ શું છે?

આ દિવસ પહેલા 24 જૂને ઉજવવામાં આવતો હતો અને આ દિવસની શરૂઆત સૌપ્રથમ 2001 માં કરવામાં આવી હતી. તેનો હેતુ લોકોને UFO વિશે જાગૃત કરવાનો હતો. લોકો માટે એ જાણવું મહત્વપૂર્ણ બની ગયું હતું કે તેમની વચ્ચે કોઈ અજાણી વસ્તુ અસ્તિત્વમાં છે, જેના વિશે તેઓ ભાગ્યે જ જાણતા હોય છે. આ પછી કોઈ કારણોસર આ દિવસ બદલીને 2 જુલાઈ કરવામાં આવ્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 જુલાઈએ UFO દિવસ ઉજવવામાં આવવા લાગ્યો.

વિશ્વ UFO દિવસ એ લોકો માટે મહત્વપૂર્ણ છે જેમને નવી વસ્તુઓ જોવા અને જાણવામાં રસ છે. બધાએ UFO વિશે સાંભળ્યું છે, પરંતુ બહુ ઓછા લોકોએ તે જોયું છે. તેથી, આજના સમયમાં દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. આ વિષય પર ઘણી ચર્ચાઓ થઈ છે. કેટલાક લોકો તેના સમર્થનમાં છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક દંતકથા છે. આવી સ્થિતિમાં, લોકોમાં શું સાચું છે અને શું ખોટું છે તે અંગે ઉત્સુકતા વધુ વધી જાય છે. તેથી, ઘણા લોકો આ દિવસને ખાસ રસ સાથે ઉજવે છે.

અવકાશ અને તેને લગતી બાબતોમાં રસ ધરાવતા લોકો આ દિવસની ઉજવણી કરવા માટે ટેલિસ્કોપ દ્વારા અવકાશમાં તારાઓનું અવલોકન કરે છે. વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ UFO પરિષદોનું આયોજન કરે છે. આ સાથે, તેઓ લોકોને જાગૃત પણ કરે છે કે તેઓએ નવી વસ્તુઓ અને ટેકનોલોજી વિશે સતર્ક અને જાગૃત રહેવું જોઈએ. આ સાથે, UFO સંબંધિત ફિલ્મો અથવા દસ્તાવેજી ફિલ્મો પણ જોવામાં આવે છે, જેથી લોકોને વિશ્વભરમાં બની રહેલી આ વિચિત્ર ઘટનાઓ વિશે ખબર પડે.

 

 

શું કોરોનાની વેક્સિનને કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક?

નવી દિલ્હીઃ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે, લગ્ન દરમિયાન, જિમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે કે ડમ્બલ ઉઠાવતા લોકોને હાર્ટ એટેક આવવો અને તરત જ તેમનું મોત થવું – આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. તાજેતરમાં કર્ણાટકના હાસન જિલ્લામાં 40 દિવસમાં 20થી વધુ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. આ હાર્ટએટેક માટે કર્ણાટક સરકારે કોરોનાની વેક્સિનને જવાબદાર ઠેરવી છે.

હવે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન આવ્યું છે અને રિસર્ચને આધાર પર વેક્સિનને કારણે હાર્ટ એટેક આવવાના દાવાઓને ખંડન કર્યું છે.

સિદ્ધારમૈયા સરકારે વેક્સીનને જવાબદાર ઠેરવી

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે દાવો કર્યો હતો કે કોરોના વાયરસની વેક્સિનને કારણે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. જેના કારણે ફરીથી વેક્સીન અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એની ચર્ચા શરૂ થઈ.

કેન્દ્ર સરકારએ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસો અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી. મંત્રાલયે કહ્યું હતું કે ICMR દ્વારા કરાયેલા અભ્યાસોમાં આવા દાવાઓની કોઈ પુષ્ટિ થઈ નથી. તેથી વેક્સિનને લગતા બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને આધારવિહીન છે.

કાવડ યાત્રાઃ દુકાનો અને ઢાબાઓ માટે લાઈસન્સ, ID ફરજિયાત

નવી દિલ્હીઃ કાવડ યાત્રા પહેલાં ઉત્તરાખંડની સિંહ ધામી સરકાર દ્વારા ઢાબા, રેસ્ટોરાં અને ખાવા-પીવાની તમામ દુકાનો માટે નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના માલિકોએ લાઈસન્સથી લઈને પોતાનું નામ અને ઓળખપત્ર (ID) દુકાન પર સ્પષ્ટ રીતે લગાવવું ફરજિયાત રહેશે. સરકારનું કહેવું છે કે જો કોઈ આ આદેશનું પાલન નહીં કરે તો તે દુકાનો અને ઢાબાઓ બંધ કરી દેવામાં આવશે. એ સાથે જ બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.

CM પુષ્કર સિંહ ધામી અને આરોગ્ય મંત્રી ધનસિંહ રાવતે મંગળવારે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ લાખો શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સલામત ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાની દેખરેખ માટે વિશાળ દેખરેખ અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કાવડ યાત્રા 11 જુલાઈથી શરૂ થવાની છે. આ મામલે આરોગ્ય સચિવ અને ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વ્યવસ્થાપન કમિશનર ડો. આર. રાજેશ કુમારે જણાવ્યું હતું કે કાવડ યાત્રાના રૂટ પર આવેલા તમામ હોટેલ, ઢાબા, ફૂડ સ્ટોલ અને વેચાણકર્તાઓ માટે ફરજિયાત સૂચનાઓ જારી કરવામાં આવી છે.

સરકારી નિવેદન મુજબ દરેક ખાદ્ય વેચાણકર્તાએ પોતાના સ્થળ પર ગ્રાહકોને દેખાય એ રીતે લાઈસન્સ અથવા નોંધણી પ્રમાણપત્રની સ્વચ્છ નકલ સ્પષ્ટ રીતે મૂકવી ફરજિયાત છે. નાના વેચાણકર્તાઓ અને ફેરીવાળાઓએ ફોટો ઓળખપત્ર અને નોંધણી પ્રમાણપત્ર રાખવું અને તેને પણ બતાવવું પડશે.

વાહ ભાઈ વાહ! – ૦૨ જુલાઈ ૨૦૨૫

દહીં સેન્ડવિચ

આ સેન્ડવિચ નાસ્તા માટે સારી છે. પણ બાળકોને વેરાયટી જોઈતી હોય છે. તો દહીં સેન્ડવિચ ડિનરમાં પણ આપી શકો છો. કારણ કે, દહીં તેમજ વેજીટેબલ્સને કારણે તે ઘણી પૌષ્ટિક રહે છે!

સામગ્રીઃ

  • દહીં ½ કિલો
  • કાંદો 1
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • વટાણા 2 ટે.સ્પૂન
  • સમારેલી ફણસી 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • લીલા મરચાં 3-4
  • પિઝા સિઝનિંગ 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • બ્રેડ
  • માખણ

રીતઃ દહીંને એક મલમલના અથવા ચોખ્ખાં સુતરાઉ કપડામાં લઈને તેમાંનું પાણી નિતારી લો. હવે દહીંને આ કપડાંમાં બાંધીને સ્ટીલની ચાળણીમાં મૂકી દો. તેની ઉપર વજન મૂકીને આ ચાળણી એક બીજા વાસણમાં કોઈ સ્ટેન્ડ ઉપર મૂકી 4-5 કલાક માટે આ વાસણ ફ્રીજમાં રાખો. જેથી દહીંમાંનું પાણી નિતરી જાય અને ફ્રીજમાં રાખ્યું હોવાથી દહીં ખાટું પણ ન થાય.

કાંદો, સિમલા મરચું ઝીણું સમારી લો. ફણસી સમારીને તે તેમજ વટાણાને બાફી લો. ગાજર ખમણી લો. લીલા મરચાં ઝીણાં સમારી લો.

ફ્રીજમાંથી દહીં કાઢી એક વાસણમાં લઈ તેમાં સમારેલાં, બાફેલા બધાં શાક તથા કોથમીર મેળવી દો. તેમજ સૂકા મસાલા પણ મેળવી દો.

બે બ્રેડ લઈ તેની એક સાઈડ તવા ઉપર ગેસની મધ્યમ આંચે શેકી લો.

શેક્યા વગરની બ્રેડની સાઈડ ઉપર દહીંનું મિશ્રણ લગાડી, તેની ઉપર બીજી બ્રેડ ઉંધી વાળી દો. આ બ્રેડને ગેસની મધ્યમ આંચે તવા ઉપર 1 ચમચી માખણ લગાડી શેકવા મૂકો. એક સાઈડ શેકાય એટલે બીજી બાજુ પણ માખણ લગાડી શેકી લો. આ જ રીતે બાકીની બ્રેડની પણ સેન્ડવિચ તૈયાર કરી લો.

3-4 મિનિટમાં બ્રેડ શેકાઈ જાય એટલે નીચે ઉતારી તેના ચપ્પૂ વડે ટુકડા કરીને ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે દહીં સેન્ડવિચ પીરસો.

૦૨ જુલાઈ ૨૦૨૫

આંતરિક શાંતિની શોધ

લાખો વર્ષો વીતી ગયા અને લાખો વીતી જશે. તેની સરખામણીમાં તમારું જીવન કેટલું છે: ફક્ત 60, 70 કે 100 વર્ષ? તે સમુદ્રમાં એક ટીપા જેટલું પણ નથી. ફક્ત લાબું જીવન જીવવું મહત્વપૂર્ણ નથી.

બ્રહ્માંડના સંદર્ભમાં, તમારું અસ્તિત્વ કંઈ જ નથી! આ સમજણ સાથે અહંકાર વિલીન થઈ જાય છે. અહંકાર એ તમારી વાસ્તવિકતા અને તમારા અસ્તિત્વ વિશેનું અજ્ઞાન છે. તમારી આંખો ખોલો અને પૂછો, “હું કોણ છું? હું આ પૃથ્વી પર કેવી રીતે આવ્યો? મારા જીવનનો સમયગાળો કેટલો છે?” આ મનમાં જિજ્ઞાસા લાવે છે અને તમે નાની નાની બાબતો વિશે ચિંતા કરવાનું બંધ કરો છો જેમ કે – “આ વ્યક્તિએ મને આવું કહ્યું અને તે વ્યક્તિએ મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો અને તે વ્યક્તિ સાથે આ બન્યું અને હું તેને આવું કહીશ…”

બધી ક્ષુદ્રતા દૂર થઈ જશે અને તમે તમારા જીવનની દરેક ક્ષણ જીવી શકશો. તમારું જીવન તમારા સંદર્ભની આસપાસ ફરે છે. તમારે જીવનમાં ખુશ રહેવું જોઈએ. અન્ય બધી પ્રવૃત્તિઓમાં ઉતાર-ચઢાવ આવે છે, જે સ્વાભાવિક છે.

જો કોઈ શરીર હોય, તો તેને શરદી, ખાંસી, તાવ કે બીજી કોઈ સમસ્યા હોઈ શકે છે અને એક દિવસ આ શરીર નાશ પામશે, પરંતુ એવું સુનિશ્ચિત કરો કે જેથી ખુશી તમારી અંદર કાયમ માટે સ્થાપિત રહે. એને જ પુરુષાર્થ કહ્યો છે.

આપણા પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસના મૂળ ખૂબ ઊંડા હોવા જોઈએ, બાકીનું બધું આપમેળે થવાનું શરૂ થાય છે. શું તમે તમારી સ્વભાવમાં રહી શકો છો? આ દુનિયામાં બધું જ સારું-સારું નથી. જો તમે શ્રદ્ધામાં દ્રઢ છો, તો તમે ચોક્કસ પ્રગતિ કરશો.

દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંત રાખો. તમારા જીવનના સંદર્ભની સમીક્ષા કરો, તેને સમજો અને દરેક દિવસ આનંદ, શાંતિ અને સંતોષ સાથે જીવવાનો પ્રયાસ કરો. આ જ જીવન જીવવાની સાચી કળા છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ યુએસ સેનેટમાં પસાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વાકાંક્ષી કર મુક્તિ અને ખર્ચ કાપ બિલ સોમવારે સેનેટમાં ટૂંકા અંતરથી પસાર થયું. બિલની તરફેણમાં અને વિરુદ્ધમાં 50-50 મત પડ્યા. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પોતાનો મત આપ્યો અને તેને મંજૂરી આપી. બિલનો વિરોધ કરનારા ત્રણ રિપબ્લિકન સાંસદોમાં થોમ થિલિસ, સુઝાન કોલિન્સ અને કેન્ટુકીના રેન્ડ પોલનો સમાવેશ થાય છે. સોમવારે મોડી રાત સુધી ટ્રમ્પના કર મુક્તિ અને ખર્ચ કાપ બિલ પર સેનેટમાં ગરમાગરમ ચર્ચા ચાલી. હંગામાભર્યા સત્ર દરમિયાન, રિપબ્લિકન સાંસદો આ બિલ માટે સમર્થન એકત્રિત કરતા જોવા મળ્યા. વિપક્ષ ડેમોક્રેટ સભ્યો તેને હરાવવા માટે રજૂ કરાયેલા સુધારાઓ પસાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

રિપબ્લિકન સેનેટર બિલનો વિરોધ કરતા જોવા મળ્યા

સાઉથ ડાકોટાના રિપબ્લિકન સેનેટર જોન થુન તેમના પક્ષના તે સભ્યો વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા જેમને ચિંતા હતી કે ‘મેડિકેડ’માં પ્રસ્તાવિત કાપ લાખો લોકોને આરોગ્ય વીમાથી વંચિત રાખશે. કેટલાક સભ્યોએ કહ્યું કે વધતી જતી રાજકોષીય ખાધ ઘટાડવા માટે કરમાં વધુ ઘટાડો કરવાની જરૂર છે. હવે આ બિલને મંજૂરી માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાછું મોકલવામાં આવશે.

પંચાંગ 02/07/2025

હિમાચલમાં 3 સ્થળોએ વાદળ ફાટ્યા, IMDનું અનેક રાજ્યોમાં એલર્ટ

થોડા દિવસો પહેલા લોકો ભીષણ ગરમીથી પરેશાન હતા, પરંતુ હવે મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. વાદળ ફાટ્યા બાદ હિમાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંડીમાં ઘણા ઘરો અચાનક પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તરાખંડ, યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હિમાચલમાં પરિસ્થિતિ કેવી છે?

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ચાલુ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મંડી જિલ્લામાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા છે. આના કારણે ઘણા લોકો ગુમ પણ થયા છે. મંડીમાં ઘણા ઘરો અચાનક પૂરની ઝપેટમાં આવી ગયા છે. વહીવટીતંત્રે મંડી, હમીરપુર અને કાંગડામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. તે જ સમયે, ગુમ થયેલા લોકોને શોધવા માટે કાર્ય તેજ કરવામાં આવ્યું છે. દાવડામાં મંડી કુલ્લુ ચાર-માર્ગીય હાઇવે પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.

મંડી-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાત્રે 12 વાગ્યા પછી સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જામને કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનો જામમાં ફસાઈ ગયા છે. કેટલાક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. બિયાસ નદીમાં પણ ભયંકર પૂર આવ્યું છે, જેના પછી IMD એ હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

અન્ય રાજ્યોમાં પરિસ્થિતિ કેવી છે?

હાલમાં, દેશના પહાડી રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત, ઉત્તરાખંડમાં વરસાદ એટલો ભારે છે કે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને, બધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે, હરિદ્વારમાં ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી.

કયા રાજ્યો માટે વરસાદની ચેતવણી છે?

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ માટે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. 1 થી 7 જુલાઈ દરમિયાન ભારે અને અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.