નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50 ટકાનો ટેરિફ લાગુ કર્યા બાદ ભારતમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે નવાં અમેરિકી હથિયાર અને વિમાનો ખરીદવાની પોતાની યોજના પર હાલ માટે રોક લગાવી દીધી છે, એમ આ બાબતે જાણકારી ધરાવતા ત્રણ ભારતીય અધિકારીઓએ માહિતી આપી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવેલા ટેરિફ બાદ, જેની અસર ભારતના નિકાસ પર પડી છે અને જે દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે, તે ભારત તરફથી અસંતોષનો પહેલો સંકેત છે. ટ્રમ્પે છઠ્ઠી ઓગસ્ટે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ભારતીય વસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે ભારત રશિયાના યુક્રેન પરના હુમલાને નાણાં પૂરાં પાડી રહ્યો છે. પરિણામે, ભારતીય નિકાસ પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે – જે કોઈ પણ અમેરિકન વેપાર સાથી માટે સૌથી વધુ છે.
ખરીદી રોકવા માટે કોઈ લેખિત આદેશ નથી!
અમેરિકી રાષ્ટ્રપતિએ ટેરિફ બાબતમાં વારંવાર પોતાનું વલણ બદલવાનું ઈતિહાસ ધરાવે છે. ભારતે જણાવ્યું છે કે તે વોશિંગ્ટન સાથે ચર્ચામાં સક્રિયપણે સામેલ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ટેરિફ અને દ્વિપક્ષી સંબંધોની દિશા સ્પષ્ટ થયા પછી જ બચાવ માટેની ખરીદી આગળ વધશે, પણ અપેક્ષા મુજબ ઝડપથી નહીં. બીજા અધિકારીએ કહ્યું હતું કે ખરીદી અટકાવા માટે હજી સુધી કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે દિલ્હી પાસે તરત પોતાનું વલણ બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જોકે હજી સુધી કોઈ પ્રગતિ થઈ નથી.
રોઇટર્સના રિપોર્ટ મુજબ, જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવેલા સ્ટ્રાયકર ફાઇટિંગ વાહનો અને રેથેયોન તથા લોકહીડ માર્ટિન દ્વારા વિકસાવવામાં આવેલી જાવેલિન એન્ટિ-ટેન્ક મિસાઇલોની ખરીદી અંગે ભારતે જે ચર્ચા શરૂ કરી હતી, તે ટેરિફના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે.
દાતા: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે શુક્રવારે અદ્યતન ડેટા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ થાય તે તેનો મુખ્ય હેતુ છે. ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – જિલ્લા કલેકટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું “ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી તૈયાર કરવામાં આવેલા સેન્ટ્રલાઈઝ સર્વરબેઝ ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, સુવર્ણ શિખર દાન, સાડી કેન્દ્ર, ધાર્મિક વેચાણ કેન્દ્ર, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રી સંઘ, સેવા કેમ્પ, વાહનપાસ વગેરેની નોંધણી પ્રક્રિયા જેવી વિવિધ ઓનલાઇન સેવાઓ આંગળીના ટેરવે સરળતાથી અને ઝડપી મળી રહેશે.વધુમાં કહ્યું કે આજના આધુનિક અને ડિજિટલ યુગની જરૂરિયાત મુજબ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિર ખાતે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ડેટા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહી દાતાઓને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી પ્રસાદ, દાન ભેટ, સાડી કેન્દ્ર તેમજ વેચાણ કેન્દ્રની પહોંચ તથા તમામ પ્રકારનું રિપોર્ટિંગ, સુપરવિઝન, ઓડિટ, ડેટા એનાલિસીસ જેવી અત્યંત જરૂરી બાબતોનું આધુનિક ટેકનોલોજીથી સંચાલન કરવામાં આવશે.અંબાજી મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૧.૨૦ કરોડ જેટલા મોહનથાળના પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ રૂ. ૫૦ કરોડનું દાન-ભેટ ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે.
વિયેતનામની અમારી ટુર પૂરી થવા આવી હતી પણ મને મારા મનમાંની `બુદઈ’ અથવા `હેપ્પી બુદ્ધા’ અથવા `લાફિંગ બુદ્ધા’ની પ્રતિમા મળતી નહોતી. વિયેતનામમાં હેપ્પી બુદ્ધાની એટલી મોટી-મોટી પ્રતિમાઓ જોઈ હતી કે તેની એક નાની પ્રતિકૃતિ લઈ જવી જોઈએ, એ વિચાર મારા મનમાં ઘર કરી ગયો હતો. વારુ, મારી અપેક્ષા પ્રમાણે જ વધુ, તે પ્રતિમા આડી-ઊભી દસ ઈંચની હોવી જોઈએ. કારણ કે વિયેતનામથી આવનારા કમ સે કમ એક સોવેનિયર માટે તે જગ્યા રાખી મૂકી હતી. તેનો રંગ સંભવિત રીતે સફેદ અને તેની પર થોડો લાલ-લીલો-પીળો ચાલશે, કારણ કે જ્યાં મૂકવાની હતી ત્યાં બેકગ્રાઉન્ડ બ્લુ હતું. તે ખરેખર હેપ્પી અને વેલકમિંગ દેખાવો જોઈએ. તે દસ દિવસની ટુરમાં અમને ઘણાં ઠેકાણે આ હેપ્પી બુદ્ધા દેખાયો, જ્યાં જતાં ત્યાં અમે સોવેનિયર શોપમાં આ બુદ્ધાને શોધતાં હતાં. જો કે અમારી કલ્પનામાંનો ગોરો, સુંદર ઠીંગણો, મીઠો, હસતા ચહેરાવાળો બુદ્ધા કેમે કરીને અમને મળતો નહોતો. અમારા એટલે કે મારા શોધકાર્યને સુધીરે ક્યારના કોણીએથી હાથ જોડી દીધા હતા.
દરેક શોપમાં ગયા પછી જે દેખાય તે હેપ્પી બુદ્ધા જોઈને તે કહેતો, ‘આ સારો છે,’ અને હું જાણે મારા દીકરા માટે છોકરી અથવા દીકરી માટે છોકરાની શોધ કરતી હોઉં તે રીતે દરેકમાં કાંઈક ખોટ કાઢતી હતી. અંતે થવાનું તે જ થયું. મારી શોધ ઝુંબેશ અણી પર આવી ગઈ. વિયેતનામમાં હો-ચિ-મિન્નમાંનો છેલ્લો દિવસ આવી ગયો. તે દિવસ પણ પૂરો થયો અને અમારી વિયેતનામમાંની એકદમ છેલ્લી સાંજ આવી. ‘નુવિન હુવે’ નામે વોકિંગ સ્ટ્રીટ પર અમે ફરતાં હતાં. બુદ્ધા નહીં મળવાથી હું મનથી થોડી નારાજ જ હતી. બતાવી શકતી નહોતી, કારણ કે પછી સુધીરને બોલવાની તક મળી ગઈ હોત, શું-શું સાંભળવું પડતું હોય છે. તે સમયે ત્યાં એકેય દુકાન ખુલ્લી નહોતી. બીજા દિવસે એરપોર્ટ પર સોવેનિયર શોપમાં શોધીશું એવું વિચારી મેં મારું મન મનાવી લીધું અને `હેપ્પી બુદ્ધા’ની વાત થોડા સમય માટે મનમાંથી કાઢી નાખી અને કહ્યું `એન્જોય ધ મોમેન્ટ.’ તે વોકિંગ સ્ટ્રીટ પર જાણે જાત્રા ભરાયેલી હતી. કોઈ નાચતું હતું. કોઈ રખડતું હતું, કોઈ સ્ટેચ્યુ બની રહ્યું હતું. ઘણા બધા પર્યટકો એકાદ પાર્ટીમાં આવ્યા હોય તેમ સારા-સારા ડ્રેસીસમાં પોઝ આપીને ફોટોગ્રાફી કરતા હતા. તે બધું અમે કુતૂહલથી જોતાં હતાં. અમારા પણ ફોટોઝ કાઢતા હતાં. ‘વ્હેન ઈન વિયેતનામ, ડુ એઝ ધ વિયેતનામીઝ ડુ.’ એકંદરે તે સ્ટ્રીટે અમારી સાંજ હેપ્પી-હેપ્પી બનાવી દીધી.
અમે બહુ આગળ સુધી ચાલી આવ્યાં છીએ એવો વિચાર મનમાં આવવા લાગ્યો. માહોલ એવો હતો કે પગ નીકળતા નહોતા. આમ પણ આવતીકાલે વિમાનમાં આરામ કરીશું એવું વિચારીને અમે આગળ ચાલતાં રહ્યાં. વિયેતનામમાંની તે છેલ્લી રાત ખાઉધરાની જેમ જાણે અમારા પેટમાં ભરતા હતા. ચાલતાં-ચાલતાં રસ્તાની જમણી બાજુમાં અમને એક મોટ્ટો બુક સ્ટોર દેખાયો, જે ચાલુ હતો. પુસ્તકોની સ્ટેશનરીની દુકાન એટલે અમારા બંનેનો વીક પોઈન્ટ. અમે અંદર ગયાં. આવતીકાલે વિમાનમાં વાંચવા એક-બે પુસ્તકો મળે તો સારું એવો વિચાર કરીને અમે તે શોપમાં ફરતાં રહ્યાં. ઉપર-નીચે બહુ મોટી શોપ હતી. જે તે દેશની આવી દુકાનોમાં આપણને ત્યાંના સ્થાનિકોની જીવનશૈલી દેખાય છે. અહીંના લોકો તેમના રોજિંદા જીવનમાં શું-શું બાબતો ઉપયોગ કરે છે તે જોવાની મજા આવે છે. હું દુકાનની એકદમ અંદરના ભાગે આવી અને યુરેકા! મને તે દેખાયો. સફેદ વસ્ત્રોમાં, મસ્ત હસતો, પોતાના શિષ્ય પરિવારને ખભે રમાડનારો, સિરેકિમનો અને ઊંચાઈ જેટલી જોઈતી હતી તેટલી! દસ ઈંચની અંદર. હું તો ખુશીથી ઝૂમીને નાચવાની જ બાકી રહી ગઈ હતી. ‘અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને મેંલગ જાતી હૈ’ આ ડાયલોગનો મને ફરી ફરી પરચો થયો. તે બુદ્ધાને લઈને અમારો વાપસી પ્રવાસ શરૂ થયો અને હું શાંત થઈ ગઈ.
આજે તે બુદ્ધા ‘હસતા રહો’નો સંદેશ પહોંચાડતાં, તેની સાથે જોડાયેલી યાદો તાજી કરીને અમારા લિવિંગ રૂમમાં બિરાજમાન થઈ ગયો છે. અગાઉ આપણાં ઘરોમાં એક શોકેસ અચૂક રહેતો. ક્યારેક પ્રવાસે જઈએ એટલે કાંઈક સોવેનિયર લાવવામાં આવતું અને તે શોકેસમાં બિરાજમાન કરાતું. ક્યારેક તેમાંની વસ્તુઓ પાછળ છુપાયેલી વાત આપણને ઘરવાળા કહેતા. તે શોકેસ સાફ કરવો, વસ્તુ પરની ધૂળ લૂછવી આવો કાર્યક્રમ રહેતો અને તે કરતી વખતે એકાદ વસ્તુ ફૂટી-તૂટી જાય તો વડીલો એવું રૌદ્ર રૂપ ધારણ કરતા કે પૂછશો જ નહીં. અમારા ઘરના શોકેસની એક જ વાત મને ગમતી નહોતી અને તે એટલે તેના કાચ એટલા ઘટ્ટ રહેતા કે તે સરકાવતાં સરકતા નહોતા. સમયાંતરે આ સ્લાઈડિંગ ગ્લાસીસ નીકળીને કાચના દરવાજા આવ્યા. વચ્ચે એક જમાનો એવો આવ્યો કે ઘરમાં આવા શોકેસ વગેરે હોવા તે અનેક આર્કિટેક્ટ્સના મતે થોડું ‘ચીપ’ માનવામાં આવતું. આથી ઘરના ‘શોકેસ’ની બાદબાકી થઈ ગઈ અને અલગ-અલગ જગ્યા નિર્માણ કરવામાં આવી આર્ટ પીસીસ માટે, ઓપનમાં. આ પછી ક્યારેય તેની પરનો એકાદ આર્ટપીસ હાથ અડવાથી પડવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી. ઘરનું ઈન્ટીરિયર કરતી વખતે માર્કેટમાંથી વેચાતા લીધેલા આ મોંઘા શો-પીસ પાછળ કોઈ પણ યાદો જોડાયેલી નહીં હોવાથી ફક્ત શ્રીમંતાઈનો દેખાડો હતો તે. આથી તે બહુ સમય ટક્યું નહીં. તેની આગળ મોડર્ન આર્કિટેક્ચરમાં મિનિમલીઝમનો પ્રવેશ થયો. જેટલી ઓછી વસ્તુ ઘરમાં તેટલું ઘરનું ઈન્ટિરિયર અને તેમાં રહેનારનો ટેસ્ટ ઉચ્ચ દરજ્જાનો છે એવી સમજ માથું ઉપર ચઢવા લાગી. આ બધી વૈચારિક ઊથલ-પાથલનું પચન થતું હતું, ત્યારે અમારો પ્રવાસ અથવા પર્યટન વધતું હતું. દરેક શહેરમાંથી અથવા દેશમાંથી આવનારી કમ સે કમ એક વસ્તુ ઘરમાં વસ્તુ વધારતી હતી. દરેક ઠેકાણેથી કાંઈક લાવવું એટલે ત્યાંની યાદ આપણી સાથે લાવવી.
જુઓને, હેપ્પી બુદ્ધા પર લખતી વખતે પણ અમારી વિયેતનામની ટુર આંખો સામે ઊભી રહી. અંતે જીવનમાં આવી જ સારી-સારી યાદો ભેગી કરતા રહેવાનું મહત્ત્વનું છે. સો, આ વસ્તુઓનું શું કરવું એ પ્રશ્ન હતો જ. મિનિમલીઝમનો ફંડા થોડો બાજુમાં રાખ્યો અને ઘરમાં બુકશેલ્ફ-કમ-શોકેસ બનાવી નાખ્યો. તેમાંથી ઓપન શેલ્વ્ઝમાં દુનિયાભરની બધી નાની-મોટી વસ્તુઓ સમાવી. ઘરમાં એકલાં હોઈએ, ક્યારેક ઉદાસી મહેસૂસ થાય એટલે આ બુકશેલ્ફ સામે બેસવાનું અને એક-એક વસ્તુ ક્યારે ક્યાં લીધી તે મનમાં ને મનમાં યાદ કરવાનું. ઉદાસીનતા ક્યાંય ભાગી જાય છે. અમારી ઓફિસ ટીમમાંની રોશની બાગવેને ફ્રિજ મેગ્નેટ્સ ભેગા કરવાનો શોખ. તેણે આજ સુધી ઘણા બધા દેશોની અને શહેરોની મુલાકાત લીધી છે. તેના ઘરે એટલાં ફ્રિજ મેગ્નેટ્સ ભેગા થયા છે કે પૂછવું જ શું. એક દિવસ તેણે કોર્પોરેટ ઓફિસમાં એચ.આર.ને કહ્યું, `મને એક મોટું મેગ્નેટિકબોર્ડ આપો, મને આ મેગ્નેટ્સ આપણી ઓફિસને આપવાના છે.’ હવે આ તક કોણ છોડે? એચ.આર.એ તુરંત તેને એક દીવાલ આપી અને તે મેગ્નેટિક બોર્ડ પર તેણે બધા ફ્રિજમેગ્નેટ્સ ગોઠવી દીધા. હવે મને પણ બહાર ક્યાંક જાઉં તો ફ્રિજ મેગ્નેટ લેવાનું ઘેલું લાગ્યું છે. વચ્ચે અમારી ટુર મેનેજમેન્ટ, એટલે કે, ટુર મેનેજર્સને સંભાળતી ટીમના ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી ત્યારે મને ત્યાં એક બોર્ડ દેખાયું, જેની પર અલગ-અલગ દેશની કી-ચેઈન્સ લગાવેલી હતી. ત્યાંના રાજીવ, શ્રીકૃષ્ણ અને સંદીપને પૂછ્યું કે આ સુંદર ક્રિયેશન કોનું છે, તો તેણે ટુર મેનેજર્સ આ કી-ચેઈન્સ લાવીને આપે છે તેઓ એકાદ નવા દેશમાં પગ મૂકે તેની યાદગીરી તરીકે. મેં કહ્યું, અરે વાહ! આ `માઈલસ્ટોન કી-ચેઈન્સ’ છે તો. ટૂંકમાં આપણે જાણ્યે-અજાણ્યે યાદોનો સંગ્રહ આ રીતે કરતા હોઈએ છીએ. આપણી જૂની ડાયરીઓ અથવા સ્ક્રેપબુક્સ અથવા આપણા જૂના પાસપોર્ટ જોતા હોઈએ ત્યારે સમયનું ભાન રહેતું નથી એટલી યાદોમાં આપણે પરોવાઈ જઈએ છીએ. અમારી ઘણી બધી ઓફિસીસમાં દીવાલો પર એક મોડર્ન સુવિચાર લખ્યો છે, `ઓફ ઓલ ધ બુક્સ ઈન ધ વર્લ્ડ, મોસ્ટ બ્યુટિફૂલ સ્ટોરીઝ આર ફાઉન્ડ બિટવીન ધ પેજીસ ઓફ ધ પાસપોર્ટ.’ તમે અનેકોએ તે અનુભવ્યું હશે. પાસપોર્ટ પરના સિક્કા આપણા પર્યટનના અનેક કિસ્સા આપણને કહેતા હોય છે. ક્યારેક આપણો પાસપોર્ટ ખોલીને જોઈએ એટલે યાદો જ યાદો આપણને ઘેરી વળે છે. આનંદિત યાદોની પોટલી સાથે આપણું જીવન વિતાવવું હોય તો વર્તમાનમાંની દરેક ક્ષણ પર કામ કરવું જોઈએ. કારણ કે આજે જે કાંઈ કરી રહ્યા છીએ તે આગળની ક્ષણની યાદ બનવાનું છે. તો ચાલો, યાદો આનંદિત બનાવીએ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. અમેરિકી ટેરિફને લઈને જારી અનિશ્ચિતતાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 233 પોઇન્ટ તૂટ્યો હતો. FII સતત વેચવાલ રહ્યા છે. ઓગસ્ટમાં અત્યાર સુધી તેઓ રૂ. 15,950 કરોડ બજારમાંથી પરત ખેંચ્યા છે.
સ્થાનક શેરબજારોમાં BSE અને NSEના મોટા ભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા, જેમાં રિયલ્ટી 1.93 ટકા, મેટલ 1.71 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.64 ટકા અને મિડકેપ 1.49 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓટો, ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરાઇવેટ બેન્ક અને IT ક્ષેત્રના શેરોએ બજાર પર દબાણ આણ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય માલસામાન પર 50 ટકા ટેરિફ લગાવી દીધા પછી સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ મુદ્દે વાટાઘાટ ત્યાં સુધી નહીં થાય, ઝ્યાં સુધી ટેરિફ વિવાદન ઉકેલ ના આવે. આ પહેલાં ટ્રમ્પે 25 ટકા શૂલ્ક લાગુ કર્યો હતો.
BSE પર કુલ 4173 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1523 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2506 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 144 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 119 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 110 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 8 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 8 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
પટનાઃ બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારે સીતામઢી પહોંચ્યા હતા. અહીં તેમણે પુનૌરા ધામમાં જાનકી (સીતાજી) મંદિરના શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહના દ્વારા કરાયેલા આ શિલાન્યાસને સીધું બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે.
પુનૌરા ધામ શા માટે મહત્વનું છે?
પુનૌરા ધામને સીતાજીનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ સીતામઢી શહેરથી પાંચ કિમી દૂર અને ભારત-નેપાળ બોર્ડર પાસે આવેલું છે. અહીં માત્ર બિહાર નહીં, પરંતુ અન્ય ઘણાં રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
હવે પ્રશ્ન એ છે કે શું આ મંદિરના શિલાન્યાસથી ભાજપને બિહારમાં હિન્દુત્વના રાજકારણમાં લાભ થઈ શકે છે? બિહારના રાજકારણનો ઈતિહાસ કહે છે કે અહીં સમાજવાદ હાવિ રહ્યો છે. બિહારમાં હિન્દુત્વ ક્યારેય નિર્ણાયક ભૂમિકા ભજવી શક્યું નથી.
વર્ષ 1992માં બાબરી મસ્જિદ વિધાનસ થયાના બાદ 1995ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 41 બેઠકો જ જીતી શકી હતી. પણ 2015માં ભાજપે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું જ્યાં તેને 91 બેઠકો પર વિજય મળ્યો હતો.
આ જાનકી મંદિર પ્રોજેક્ટ શું છે. આ યોજના સપ્ટેમ્બર, 2023માં મંજૂર થઈ હતી, ત્યારે બિહારમાં JDU-RJD (મહાગઠબંધન)ની સરકાર હતી. આ પ્રોજેક્ટ હેઠળ મંદિરની આજુબાજુ પરિક્રમા માર્ગ બનાવાશે, જેમાં કેફે, પાર્કિંગ, સીતાવાટિકા (સીતાજીનું ઉદ્યાન), લવ-કુશ વાટિકા અને શાંતિ મંડપ (ધ્યાન માટે વિસ્તાર) બનાવવાની યોજના છે. માતા સીતાના જીવન પર આધારિત 3D એનિમેશન ફિલ્મ પણ બનાવાશે. આ વર્ષે જુલાઈમાં નીતીશ કુમારની કેબિનેટે આ યોજનાને 882.87 કરોડ રૂપિયાની મંજૂરી આપી. જેમાંથી 137 કરોડ મંદિર અને આજુબાજુના વિસ્તારોના જીર્ણોદ્ધાર માટે, અને 728 કરોડ રૂપિયાનો ખર્ચ પર્યટન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થવાનો છે.
ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’ બોલાવ્યું છે. આગામી ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ 15મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે.આ અંગે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 15મી વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યઓ પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.”
વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સત્ર દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
બેંગલુરુઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંગલુરુમાં એક સભાને સંબોધન કર્યું હતું અને ફરી એક વાર મતચોરીનો આરોપ લગાવ્યો છે. અગાઉ તેમણે આરોપ લગાવ્યો હતો કે બિહારમાં SIR માત્ર એટલા માટે લાવવામાં આવ્યું છે કારણ કે ચૂંટણી પંચને ખબર પડી ગઈ છે કે અમે તેમની ચોરી પકડી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપ “મતોની ચોરી” માટે સાઠગાંઠ કરી રહ્યા છે.
તેમણે મતચોરીને ભારતના બંધારણ સાથે છેતરપિંડી ગણાવતાં કોંગ્રેસની સભામાં તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકના ચૂંટણીમાં ગેરરીતિઓના તેમના આક્ષેપો ફરીથી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં મતચોરી થઈ રહી છે અને બંધારણ પર હુમલો કરનાર બચી નહીં શકે. તેમણે ઉમેર્યું કે સત્યને છુપાવી શકાય નહીં. ભાજપની વિચારધારા બંધારણ વિરુદ્ધ છે, પરંતુ અમે બંધારણને બચાવીશું.ચૂંટણી પંચે જવાબ આપવો પડશે કે આ ગેરરીતિઓ શા માટે થઈ અને કોણે કરી છે. બેંગલુરુની મહાદેવપુરા બેઠક પર મતચોરીનો મુદ્દો તેમણે ફરીથી ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના મત ઓછા નહોતા થયા, તેમને લોકસભા ચૂંટણી જેટલા જ મત મળ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં એક કરોડ નવા મતદાતાઓએ મતદાન કર્યું હતું, જે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આવ્યા નહોતાં. લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન જીત્યું હતું, પરંતુ માત્ર ચાર મહિના પછી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવી લીધો. ચૂંટણી પંચ અને ભાજપે મળીને લોકસભા ચૂંટણીને છીનવી લેવા માટે ષડયંત્ર રચ્યું છે.
ભાજપની વિચારધારા ભારતના બંધારણ વિરુદ્ધ છે, જ્યારે કોંગ્રેસનો દરેક કાર્યકર તેની રક્ષા કરશે. ભારતના ચૂંટણી પંચે અમને છેલ્લાં 10 વર્ષોની મતદાતા યાદીઓ અને તમામ મતદાનની વિડિયો રેકોર્ડિંગ તાત્કાલિક આપવું જોઈએ.
જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુર શહેરને મેંગનીઝ, લોખંડના અયસ્ક (આયર્ન ઓર) સહિત અનેક ખનિજ સંપત્તિઓ માટે ઓળખવામાં આવે છે. હવે જબલપુરની ધરતીમાં સોનું મળવાનું પુષ્ટિ થતાં લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો છે. ભૂવિજ્ઞાનીઓએ ઘણાં વર્ષોની શોધખોળ બાદ જબલપુરમાં સોનાની ખાણ મળ્યાનો દાવો કર્યો છે.
વિશેષજ્ઞોએ તેમની તપાસમાં સોનું મળવાનું નિશ્ચિત કર્યું છે. ભૂવિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જબલપુર જિલ્લાના સેહોરા તાલુકાના મહગવા કેવલારી ગામમાં 100 હેક્ટરથી પણ વધુ જમીનમાં સોનાની જેવી દેખાતી ધાતુઓ અને કણો મળ્યા છે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જમીન હેઠળ ભારે માત્રામાં સોનાનો ખજાનો છુપાયેલો છે.
ભૂવિજ્ઞાનીઓએ તેની શોધ કરી અને આ હકીકત જાણવા મળતાં દરેક વ્યક્તિમાં ઉત્સાહ છે. હવે વિશ્વની નજર જબલપુર પર ટકી ગઈ છે. જો સાચે જ સેહોરા વિસ્તારમાં સોનાનો ખજાનો મળી જાય તો માત્ર મધ્ય પ્રદેશ નહીં પણ દેશની કિસ્મત બદલાઈ શકે છે. અત્યાર સુધી આયર્ન, મેંગનીઝ, બોક્સાઇટ અને અન્ય માર્બલ માટે જાણીતા જબલપુરમાં સોનું મળતાં વૈજ્ઞાનિકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળે છે.
ભૂવિજ્ઞાનીઓ અને માઇનિંગ વિશેષજ્ઞોની હમણાં સુધીની તપાસ પ્રમાણે જબલપુરના સેહોરા તાલુકાના મહગવા કેવલારી વિસ્તારમાં મળેલો સોનાનો ખજાનો 100 હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. અનુમાન મુજબ ત્યાં અનેક ટન સોનું હોય તેવી શક્યતા છે. આ વિસ્તાર પહેલેથી જ માઇનિંગ માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. એટલે દેશભરના ખનન ઉદ્યોગકારોની નજર આ વિસ્તારમાં છે.
ગાંધીનગર: ગુજરાતમાં રક્ષાબંધનનો તહેવાર સ્વ-સહાય જૂથની અનેક બહેનોના આત્મનિર્ભરતા અને સશક્તિકરણની ગાથા બની રહ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી રક્ષાબંધન નિમિત્તે રાજ્યના અનેક સ્વ-સહાય જૂથની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે.માત્ર હાથથી બનાવેલી રાખડી જ નહિ, પરંતુ રક્ષાબંધન તહેવારને અનુરૂપ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવે છે. જેમાં આ બહેનો રાખડી, મીઠાઈ, કંકાવટી, આરતીની સુશોભિત થાળી જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુજરાતભરના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની આશરે ૧૫,૦૦૦થી વધુ બહેનો રાખડી અને ગિફ્ટ હેમ્પર્સ બનાવીને તેનું રીટેઈલ અને હોલસેલ વેચાણ કરીને સન્માનજનક આવક મેળવી રહી છે.આ બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી આ રાખડીમાં સાડી, કપડાના ટુકડા, માટી, શણ, છાણ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો સમાવેશ કરીને તેને સ્થાનિક કલાથી શણગારવામાં આવે છે. સ્થાનિક વસ્તુઓથી બનેલી આ રાખડી બજાર ભાવની તુલનાએ સસ્તી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાથી તેનું સ્થાનિક બજાર, સરસ મેળા, સ્કૂલો, ઓફિસો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓ માત્ર સુતરનો તાંતણો નથી, પણ આ બહેનોના સપના, મહેનત અને આશાનું પ્રતીક છે.
રાખડી બનાવતી સ્વ-સહાય જૂથની બહેનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં રાખડીઓની સાથે સખી મંડળની બહેનો દ્વારા તહેવાર માટે તૈયાર કરાયેલી મીઠાઈઓ, આરતીની સુશોભીત થાળી, કંકુ અને ચોખા માટે ડેકોરેટિવ કંકાવટી, ફરાળી તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં કાર્યરત ‘જય ગજાનંદ મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથની બહેનો સમગ્ર વર્ષ દરમિયાન રાખડીઓ બનાવે છે. તહેવારના સમયમાં જૂથનાં જ એક બહેન પોતાની કટલરીની દુકાનમાં આ રાખડીઓનું વેચાણ કરે છે. જ્યારે, બાકીના સમયમાં રાખડીઓનું હોલસેલ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઘરે બેઠા પોતાના ફુરસતના સમયે રાખડી બનાવીને આ સખી મંડળની પ્રત્યેક બહેનો પ્રતિમાસ ઓછામાં ઓછી રૂ. ૬,૦૦૦ અને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ જેટલી આવક મેળવીને આત્મનિર્ભર બની છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધકવાડા ગામના “રામદેવપીર સખીમંડળ” સાથે જોડાયેલી બહેનો છેલ્લાં બે વર્ષથી માત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી બનાવીને તેનું વેચાણ કરે છે. આ સખી મંડળની બહેનો રક્ષાબંધન નિમિત્તે માત્ર રાખડીના વેચાણથી જ વર્ષે રૂ. ૧૨,૦૦૦ સુધીની વધારાની આવક મેળવી રહ્યા છે.
લખનઉ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનઉ ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનશે તેવો વિશ્વાસ અહીં વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણ માટેના મુખ્ય પરિબળો ગણાવ્યા હતા.
અદાણી ગ્રુપના ચેરમેને આગામી પેઢીને આ ઐતિહાસિક ક્ષણને હિંમત અને કલ્પનાશક્તિ સાથે ઝડપી લેવા જણાવ્યું હતું. તેમણે ભારતને 21મી સદીની સૌથી મોટી આર્થિક તક ગણાવતા જણાવ્યું કે “તમારી કારર્કિર્દીના સૌથી મહત્વપૂર્ણ વર્ષો ભારતના સૌથી શક્તિશાળી સમય સાથે સુસંગત રહેશે. તમારી કારકિર્દી એક એવા રાષ્ટ્ર સાથે ઉભરશે જેને $3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અંદાજવામાં આવે છે.”
ગૌતમ અદાણીએ યુવા વસ્તી, મજબૂત સ્થાનિક માંગ, આધાર અને UPI જેવા અદ્યતન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ભારતીય નવીનતાને બળ આપતી વધતી સ્થાનિક મૂડીને ભારતના ઉદય માટેના ડ્રાઇવર્સ ગણાવ્યા હતા. ભારતના અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને તેમણે સમાવેશક અને સ્કેલ માટેના લોન્ચપેડ ગણાવ્યા હતા. ગૌતમ અદાણીની $25 ટ્રિલિયન ડોલરની આગાહી S&P ગ્લોબલ જેવી વૈશ્વિક સંસ્થાઓના અંદાજોને વટાવી જાય છે, જે 2030 સુધીમાં ભારતને ટોચના 3 અર્થતંત્ર તરીકે માને છે.
ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને સાહસિક બનવા અને સંભાવનાઓને સ્વીકારવા કહ્યું. તેમણે કહ્યું હતું કે “કંઈક નવું બનાવવા માટે તમારે નકશાની જરૂર નથી, ફક્ત શક્યતાઓ તરફ નિર્દેશ કરતા હોકાયંત્રની જરૂર છે.”
ગૌતમ અદાણીએ IIM લખનઉ ખાતે જણાવ્યું કે, “આધાર, UPI અને ONDC સહિત ભારતનું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ છે અને 2050 સુધીમાં દેશને $25 ટ્રિલિયન અર્થતંત્ર તરફ દોરી જશે.
ગૌતમ અદાણીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ઉર્જા પ્રોજેક્ટ્સમાંના એક કોલસા પ્રોજેક્ટ પર તેમના જૂથ દ્વારા સામનો કરવામાં આવેલા ઉગ્ર વિરોધનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે “બેંકો અને વીમા કંપનીઓએ અમને છોડી દીધા, કાર્યકરોએ રસ્તાઓ રોક્યા, છતાં અમે પીછેહઠ ન કરી.” ક્વીન્સલેન્ડ પ્રોજેક્ટને તેમણે કોલસાના ધંધો નહીં પરંતુ ભારત માટે વધુ સારી ગુણવત્તાવાળા કોલસાને સુરક્ષિત કરી ઉર્જા સ્વતંત્રતાને મજબૂત બનાવવાનું પગલું ગણાવ્યું હતું. આજે આ પ્રોજેક્ટ હજારો લોકોને રોજગાર અને ભારતીય ઉદ્યોગોને પાવર આપે છે.
IIM લખનઉ ખાતે ભાવુક સંબોધનમાં, ગૌતમ અદાણીએ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસને નૈતિક જવાબદારી ગણાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યુ હતું કે, “ધારાવી સુવિધા માટે નથી – તે અંતરાત્માનો અવાજ છે. જ્યારે કેટલાય લોકો આત્મગૌરવ વિનાનું જીવે છે ત્યારે કોઈ પણ રાષ્ટ્ર ઉભરી શકતું નથી.”
અદાણીએ પોતાનો સંકલ્પ સમજાવતા જણાવ્યું હતું કે “લોકોના મતે તે ખૂબ જોખમી પ્રોજેક્ટ છે, રાજકીય પણ છે. તેથી જ મેં કહ્યું કે આપણે તે કરવો જોઈએ.” આ પ્રોજેક્ટ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે, ફક્ત ઇમારતો બનાવવાનો નહીં.