Home Blog Page 519

દિવાળીની રજાઓમાં માતા-પિતાએ કરવા જેવા પાંચ કામ…

દિવાળી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ. એક એવો તહેવાર જે માત્ર દીવડાઓની રોશની જ નહીં, પરંતુ અનંત ખુશીઓ પણ લઈને આવે છે. આ તહેવાર સાથે નાનું વેકેશન પણ જોડાયેલું હોય છે, જેમાં આખો પરિવાર સાથે સમય વિતાવે છે. આજની ઝડપી જીવનશૈલીમાં, જ્યાં માતા- પિતા બંને નોકરી-વ્યવસાય કરતા હોય છે ત્યારે બાળકો સાથે ગુણવત્તાપૂર્વકનો સમય પસાર કરવાની તક ખૂબ જ ઓછી મળે છે.

દિવાળીની રજાઓ એ માટે એક ઉત્તમ અવસર બની શકે છે, જેમાં માતા-પિતા પોતાના બાળકો સાથે વધુ નજીક આવી શકે. એમને સમજવાની અને એમની સાથે હળવાશભર્યો સમય વિતાવવાની તક મળે.

અમદાવાદના જાણીતા મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી આ દિવાળીમાં માતા-પિતાએ પોતાના બાળકો સાથે કઇ પાંચ પ્રવૃત્તિઓ કરવી જોઇએ એની રસપ્રદ વાત કરે છે. ચિત્રલેખા.કોમના વાચકો માટે આ વિશેષ લેખ…

બાળકોને સમજાવો દિવાળીના તહેવારનું મહત્વ

દિવાળી આપણો એક સાંસ્કૃતિક અને પરંપરાગત તહેવાર છે, જેનું ધાર્મિક મહત્વ ખૂબ ઊંડું છે. બાળકો માટે આ તહેવાર માત્ર આનંદનો જ સમય નથી, પરંતુ એ એક પ્રકારના સામાજિકીકરણ અને સંસ્કારના ઉછેરનું માધ્યમ પણ છે. એથી માતા-પિતાએ સૌપ્રથમ પોતાના બાળકોને દિવાળીના તહેવારનું મહત્વ સમજાવવું જોઈએ.

સંબંધો વધુ મજબૂત બને છે.

દિવાળીના દિવસોમાં જ્યારે ઘરની સફાઈ કરવામાં આવે છે, ત્યારે બાળકોને પણ એમાં જોડવા જોઈએ. એમને મનગમતા નાના કામ સોંપવાથી માત્ર મદદરૂપ બનવાની ટેવ જ નહીં પડે, પરંતુ ઘરની વ્યવસ્થા અને ઓર્ગેનાઈઝ રહેવાની સમજણ પણ વિકસે છે. માતા-પિતા સાથે મળીને કામ કરતા બાળકોમાં ટીમ બિલ્ડિંગની ભાવના પણ ઉભી થાય છે. આવી પ્રક્રિયા આનંદદાયક હોય છે. કારણ કે, ઘણીવાર આ દરમિયાન જૂના ફોટોગ્રાફ્સ જોવા મળે, જૂની યાદો તાજી થાય અને પરિવારના સંબંધો વધુ મજબૂત બને છે.

બાળકોને શહેરની બહાર પ્રકૃતિની વચ્ચે લઈ જવું ખૂબ ફાયદાકારક છે. જો શક્ય હોય તો કુદરતી વાતાવરણમાં ફરવા જવું, યોગ, પ્રાણાયામ, ટ્રેકિંગ કે હાઈકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આવા અનુભવો બાળકોને પર્યાવરણપ્રેમી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જાય છે. જો દૂર ન જઈ શકાય તો નજીકના કુદરતી સ્થળોની મુલાકાત લેવી પણ સારું છે. જ્યાં કુદરતનો સ્પર્શ અને પરિવાર સાથેનો સમય બંને આનંદ આપે.

વેકેશન એ બાળકો માટે રીફીલિંગનો સમય છે

દિવાળી વેકેશન દરમિયાન બાળકો પાસે હોમવર્ક હોય તો પણ એમનો આનંદ ભૂલવો નહીં. ધોરણ 10 કે 12માં હોય એટલે દિવાળી કે વેકેશનનું કોઈ મહત્વ કે અસ્તીત્વ જ નથી એવુ માનવાની જરૂર નથી.  બાળકો માટે પણ આ સમય રિફ્રેશ થવાનો છે, એટલે થોડો આરામ અને આનંદ બંને જરૂરી છે. કારણ કે વેકેશન એ બાળકો માટે રીફીલિંગનો સમય છે. એટલે કે નવી ઊર્જા મેળવવાનો અવસર.

બાળકોને વાંચનની ટેવ પાડવી જોઈએ

અગત્યની વાત એ છે કે માતા-પિતાએ પોતાના બાળકોને વાંચનની ટેવ પાડવી જોઈએ. જે પુસ્તકો માતા-પિતાએ વાંચ્યા છે  ભલે એ માતૃભાષા કે પછી અન્ય ભાષામાં એમાંથી કોઈ એક બેસ્ટ સેલર અથવા ક્લાસિક પુસ્તકનું ચેપ્ટર વાંચવા માટે કહેવું અને પછી એ વિષય પર ચર્ચા કરવી. તને આ વાર્તામાં શું લાગ્યું?, આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ?  આવા પ્રશ્નો દ્વારા બાળકની વિચારશક્તિ અને બ્રેઇનની કોગ્નિટિવ પ્રોસેસ સક્રિય થાય છે.

કંઇ જ નહી કરવાનું એ પણ એક અગત્યનું કામ છે

સૌથી મહત્વની વાત એ છે કે ઘણીવાર બાળકને કશું જ નથી કરવું હોતું તો કંઇ જ નહી કરવાનું એ પણ એક અગત્યનું કામ છે જેની માટે એક શબ્દ છે નિકશેન જેનો અર્થ થાય છે કશુ જ નહીં કરવાનું માત્ર થોડીવાર બેસી રહેવાનું. આનો અર્થ આળસ એવો નહીં, વિચારોથી મુક્ત થવું, મનને આરામ આપવો અને સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવો એ છે. આ રીતે બાળક માનસિક શાંતિ અને સંતુલન શીખે છે, જે આજના ઝડપી જીવનમાં અત્યંત જરૂરી છે.

પહેલાના સમયમાં સમયમાં પોતાના હાથથી દિવાળી કાર્ડ બનાવતા હતા અને નજીકના લોકોને આપતા હતા.  આ સુંદર પરંપરાને ફરી જીવંત કરવી જોઈએ. અને હા, બાળકો જેટલા મોબાઈલથી દૂર રહેશે એટલા જ પોતાના આંતરિક વિશ્વ અને સફળતાની નજીક આવશે.

(હેતલ રાવ સાથે કરેલી વાતચીત પ્રમાણે)

અયોધ્યામાં રામ રાજ્યાભિષેકથી ઝળહળ્યો દીપોત્સવ

અયોધ્યાઃ CM યોગી આદિત્યનાથે રવિવારે અયોધ્યામાં ભગવાન શ્રીરામ અને સીતાજીના પ્રતીકાત્મક સ્વરૂપનો ‘રાજ્યાભિષેક’ કરીને નવમા ભવ્ય દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂજા-અર્ચના કર્યા પછી પોતાના સંબોધનમાં દીપોત્સવના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું હતું કે જ્યારે અમે 2017માં અયોધ્યા ધામમાં દીપોત્સવ યોજવાનો નિર્ણય કર્યો, ત્યારે અમારી ઈચ્છા વિશ્વને બતાવવાની હતી કે સાચા અર્થમાં દીવા કેવી રીતે પ્રગટાવવામાં આવે છે.

તેમણે રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે વિરોધી પક્ષોના વલણની ટીકા કરતાં કહ્યું હતું  કે આ જ અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલનમાં કોંગ્રેસે કહ્યું હતું કે રામ માત્ર એક દંતકથા છે, જ્યારે સમાજવાદી પક્ષે રામભક્તો પર ગોળીબાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે આ એ જ લોકો છે, જે બાબરના કબર પર સજદા કરે છે. તેમણે અયોધ્યામાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે અયોધ્યા હવે ‘વિકાસ અને વારસાનો અદ્ભુત સંગમ’ છે. તેમણે જણાવ્યું હતું કે આખા ઉત્તર પ્રદેશમાં એક કરોડ 51 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશને ઓળખના સંકટનો સામનો કરવો પડતો નથી. જ્યાં ક્યારેક ગોળીઓ ચાલતી હતી, ત્યાં આજે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે.

દીપોત્સવના નવમા સંસ્કરણમાં ભગવાન શ્રીરામની પવિત્ર ધરા પર 26 લાખ 17 હજાર 215 દીવા પ્રગટાવીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ “શ્રી રામ, જય રામ, જય જય રામ”ના જયઘોષથી આખું શહેર ગુંજી ઊઠ્યું. ભક્તોએ સરયૂ નદીના કિનારે પૂજા-અર્ચના કરી. આ પ્રસંગે અયોધ્યાનો દરેક મંદિર, ગલી અને ઘર ભક્તિની આભાથી ઝળહળ્યો હતો.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશે બે નવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, જેમાં  પહેલો, શહેરભરમાં 26 લાખ 17 હજાર 215 દીવા પ્રગટાવવાનો અને બીજો, 2128 વૈદિકાચાર્યો, પૂજારીઓ અને સાધકો દ્વારા એકસાથે મા સરયૂની આરતી કરવાનો.

બંને સિદ્ધિઓની ગણતરી ડ્રોન મારફતે કરીને તેની પુષ્ટિ કરવામાં આવી અને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ના પ્રતિનિધિઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવી. ડો. રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને સ્થાનિક સંસ્થાઓના 32 હજારથી વધુ સ્વયંસેવકોએ આ સિદ્ધિ શક્ય બનાવી. મુખ્ય મંત્રીના આહ્વાન પર અયોધ્યાનાં ઘરો, મંદિરો, મઠો, આશ્રમો અને જાહેર ચાર રસ્તાઓ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

PMએ INS વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

ગોવા: PM નરેન્દ્ર મોદીએ સોમવારે INS વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ રવિવારથી જ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ 12મી વખત છે જ્યારે PMએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે.અહીં તેમણે જવાનોને ભાષણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું, “હું ગઈકાલે તમારી પાસેથી જીવવાનું શીખ્યો અને મારી દિવાળી ખાસ બની ગઈ.” તેમણે કહ્યું, “આજનો આપણું વિક્રાંત આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાનું એક વિશાળ પ્રતીક છે. INS વિક્રાંતે હાલમાં પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. જેના નામથી જ દુશ્મનની શાંતિ છીનવાઈ જાય છે, તે INS વિક્રાંત છે.”

મને મારા પરિવાર સાથે દિવાળી ઉજવવાની આદત પડી ગઈ છે: PM

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, દિવાળી દરમિયાન, દરેકને પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવાનું મન થાય છે. મને પણ મારા પરિવાર સાથે દિવાળી ઉજવવાની આદત પડી ગઈ છે. તેથી જ હું તમારી વચ્ચે દિવાળી ઉજવવા આવ્યો છું.”આ વખતે હું તમારી સાથે છું. જ્યારે INS વિક્રાંત રાષ્ટ્રને સોંપવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં કહ્યું, “વિક્રાંત મહાન, અનોખું છે. તે માત્ર એક યુદ્ધ જહાજ નથી; તે 21મી સદીના ભારતની સખત મહેનત અને પ્રભાવનું પરિણામ છે.”

INS વિક્રાંત પર ઉજવી દિવાળી

પોતાના સંબોધનમાં કાવ્યાત્મક અંદાજ અપનાવતા તેમણે કહ્યું, “આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, અને બીજી તરફ અનંત શક્તિઓનું પ્રતિક આ વિશાળકાય INS વિક્રાંત છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોની ચમક, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવી લાગે છે.”PMએ નૌસેનાના કર્મીઓ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આ ગીતોમાં જે ભાવના હતી, તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ પ્રકારની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના દિવસે પોતાના પરિવારોથી દૂર, દેશની સેવામાં તૈનાત જવાનોનું મનોબળ વધારવાનો અને તેમને એ અહેસાસ કરાવવાનો છે કે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.”

અમિત શાહના હસ્તે નવા લક્ઝુરિયસ MLA ક્વાર્ટર્સનું કરાશે લોકાર્પણ

ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 26 એ પહોંચ્યું છે. ત્યારે, હવે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન તૈયાર કરાયા છે. આ નવા MLA ક્વાર્ટર્સને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે 3BHK લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, સેક્ટર 17 ખાતે 9 માળનાં 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા નિવાસસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ 216 3 BHK લકઝુરિયસ ફ્લેટમાં આધુનિક સુવિધાઓ હશે. જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુ ઊજાગર કરશે. MLA ના નવા ક્વાર્ટર્સનાં ઉદ્ઘાટન કાર્યક્રમને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની રજૂઆત બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હોવાની માહિતી છે. જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન-આઉટ ગેટ રહેશે.

દિવાળી પર દિલ્હી-NCRમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ડબલ એટેક

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં દિવાળીના દિવસે હવામાનની સ્થિતિ ચિંતાજનક છે.  દિલ્હી-NCRનું હવાનું ગુણવત્તા સ્તર ‘ગંભીર’ છે. દિલ્હીની હવા ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ છે. સૌથી ખરાબ સ્થિતિ આનંદ વિહાર વિસ્તારમાં છે, જ્યાં AQI 417 સુધી પહોંચી ગયો છે, જે ‘ગંભીર’ કેટેગરીમાં આવે છે. આ સાથે જ ગાઝિયાબાદના વિજયનગરમાં AQI 348, નોઈડામાં 341 અને નોઈડા સેક્ટર-1માં 344 નોંધાયો છે, જે બધાં ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં આવે છે, એમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)નો અહેવાલ કહે છે.

દિલ્હી-NCRમાં હાલમાં “સવારે ગરમી અને રાત્રે ઠંડી” જેવી પરિસ્થિતિ છે. જોકે સાંજ બાદ તાપમાન ઘટશે અને ઠંડી વધવાની શક્યતા છે. પવનની ગતિ આશરે આઠ કિમી પ્રતિ કલાક રહેશે.દિવાળી બાદનું હવામાન અનુમાન

હવામાન વિભાગ મુજબ ધુમ્મસ ફક્ત 21 ઓક્ટોબર સુધી જ રહેશે. 22 ઓક્ટોબરથી હવામાન ફરીથી સ્વચ્છ થઈ જશે અને 25 ઓક્ટોબર સુધી સવારે બાદ ફક્ત હળવું ધુમ્મસ રહેશે. દિવસના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં આવે, પરંતુ રાત્રે તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. 21 ઓક્ટોબરે હિમાલયી વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોપ (Western Disturbance) સક્રિય થશે, પરંતુ તેનો દિલ્હી-એનસીઆર પર કેટલો પ્રભાવ પડશે તે હજી સ્પષ્ટ નથી.

પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં

GRAP-II હેઠળ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક કડક પગલાં લેવામાં આવ્યાં છે. GRAP-II હેઠળ બાંધકામ અને તોડફોડ સ્થળોની કડક તપાસ થશે.

સ્વચ્છ પરિવહન પ્રોત્સાહિત કરવા માટે જાહેર પરિવહન સેવાઓમાં વધારો કરવામાં આવશે, જેમાં વધારાની CNG અને ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે અને મેટ્રો સેવાઓમાં પણ વધારાશે.શિયાળામાં બાયોમાસ અને ઘન કચરો ખુલ્લા મેદાનમાં સળગાવવાનો પ્રતિબંધ રહેશે. આને અટકાવવા માટે રહેણાક સંસ્થાઓ (RWA)ને તેમના કર્મચારીઓને ઇલેક્ટ્રિક હીટર ઉપલબ્ધ કરાવવાની ફરજ પડશે.

દિવાળીઃ વિવિધ રાજ્યોમાં છે ઉજવણીના અનોખા રંગ

પ્રકાશનું પર્વ રૂપે દિવાળી સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. ભલે તહેવાર એક હોય, પરંતુ ઉજવણીની રીતો અનેક છે.

ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની પરંપરા જુદી-જુદી રીતે  હોય છે, જે ભારતની વૈવિધ્યસભર એકતાનું જીવંત ઉદાહરણ આપે છે.

ચાલો જાણીએ, ભારતના જુદા-જુદા રાજ્યોમાં ઉજવાતી દિવાળીની વિવિધ પરંપરાઓ વિશે..

ગુજરાત

ગુજરાતમાં અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી દિવાળીની ઉજવણી ચાલે છે. દરેક વ્યક્તિ દિવાળીની આગલી રાત્રે રંગોળી બનાવે છે. આખા ઘરને દિવાથી ઝગમગાવે છે, ઘરની સાફસફાઇ કરવી, નવો સામાન ખરીદવાનો, નવા કપડાં, ફરસાણ અને મિષ્ટાન બનાવવા એ ગુજરાતીઓની આગવી ઓળખ છે. અહીં દિવાળી દરમિયાન દેવી લક્ષ્મીના સ્વાગતનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને દિવાળી પછી પડવાના દિવસે ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થાય છે. લોકો એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા આપે છે. વડીલોના આર્શિવાદ લઈને નવા વર્ષની શુભ શરૂઆત કરે છે.

બિહાર

બિહારના કોશીમાં હુક્કાપાતીનો અનોખો રિવાજ છે. શણની મજબૂત સળીમાંથી બનેલી લાકડીમાંથી હુક્કાપાતી બનાવ્યા વગર રીવાજ અધૂરો છે. દિવાળીના દિવસે આ ઘરોમાં હુક્કાપાતી રમે છે. પરંપરા મુજબ હુક્કાપાતીને લોકો પોતાના ઘરના ખૂણામાં પ્રગટાવીને લક્ષ્મી ઘર દરિદ્ર બહાર એવા શબ્દો ઉચ્ચારે છે. આ હુક્કાપાતીને ઘરે ઘરે ધૂમાવવામાં આવે છે. હુકકાપાતી બહાર કાઢયા વગર લોકો બહાર નિકળતા નથી. ઘરની બહાર કે ખેતર કે સડક પર હુકકાપાતી રાખીને પાંચ વાર તેને લાંઘવમાં આવે છે. દિવાળીના દીવા,પૂજા પાઠ અને હુક્કાપાતિને જરુર ખરીદે છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં દિવાળીનો તહેવાર 4 દિવસ સુધી ચાલે છે. વસુ બારસ પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે જે દરમિયાન આરતી ગાતી વખતે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસનો તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વેપારી લોકો એમના પુસ્તકો અને હિસાબની પૂજા કરે છે. આ પછી નરક ચતુર્દશી પર સૂર્યોદય પહેલા સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી આખો પરિવાર મંદિર જાય છે. દિવાળી ચોથા દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે દેવી લક્ષ્મીની પૂજા કરતા પહેલા પરંપરાગત વાનગીઓ જેમ કે કરંજી, ચકલી, લાડુ, સેવ વગેરે બનાવવામાં આવે છે.

હરિયાણા

હરિયાણાના ગામડાઓમાં લોકો જુદી જ રીતે દિવાળી ઉજવે છે. આ તહેવારના થોડા દિવસો પહેલા લોકો એમના ઘરમાં કલર કામ કરાવે છે. ઘરની દીવાલ પર અહોઈ માતાની તસવીર બનાવવામાં આવે છે. જેના પર ઘરના દરેક સભ્યનું નામ લખેલું હોય છે. એ પછી આખા આંગણાને મીણબત્તીઓ અને દીવાઓથી શણગારવામાં આવે છે. દરેક ઘરમાંથી 4 દીવા ચાર રસ્તા પર મુકવામાં આવે છે જેને ટોના કહેવામાં આવે છે.

તમિલનાડુ, આંધ્રપ્રદેશન

ભારતીય હિંદુ સંસ્કૃતિ હજુ પણ દક્ષિણ ભારતમાં એના મૂળ સ્વરૂપમાં ટકી રહી છે. અહીં દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતી નરક ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. અહીં તહેવાર માત્ર 2 દિવસ ચાલે છે. આ દિવસે દીવો પ્રગટાવવો, રંગોળી બનાવવી અને નરક ચતુર્દશી પર પરંપરાગત સ્નાન કરવાનું વધુ મહત્વ છે.

જયારે આંધ્રમાં, દિવાળી દરમિયાન, ઘણા વિસ્તારોમાં હરી કથાની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી સત્યભામાની માટીની મૂર્તિની પ્રાર્થના કરવામાં આવે છે.

કર્ણાટક

કર્ણાટકમાં દિવાળી મુખ્યત્વે 2 દિવસે ઉજવવામાં આવે છે. પ્રથમ અશ્વિજા કૃષ્ણ અને બીજી બાલી પદયામી જેને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. અહીં એને અશ્વિજ કૃષ્ણ ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે લોકો તેલ સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યા પછી, એમના શરીરમાંથી લોહીના ડાઘ દૂર કરવા માટે તેલ સ્નાન કર્યું હતું. દિવાળીના ત્રીજા દિવસને બાલી પદયામી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી ઢાંકે છે.  આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી લીપેછે. આ દિવસે રાજા બલી સાથે જોડાયેલી કથાઓ ઉજવવામાં આવે છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના રાજ્યોમાં દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. અહીંના આદિવાસી વિસ્તારોમાં દીવાનું દાન કરવાનો રિવાજ છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી-પુરુષો નૃત્ય કરે છે. અહીં ધનતેરસના દિવસથી યમરાજના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આ દીવો ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે જેથી ઘરમાં  મૃત્યુ પ્રવેશ ન કરે. ઉપરાંત અહીંના ગામોમાં રંગોળીને બદલે માંડણે  બનાવવાની પરંપરા પ્રચલિત છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં કેટલાક સ્થળે દિવાળીએ શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. રાજસ્થાનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બિલાડીને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. પૂજા કર્યા પછીનો પ્રથમ પ્રસાદ બિલાડીને ખવડાવવામાં આવે છે. એ દિવસે બિલાડીને ઘરમાં આવવા જવાની છૂટ હોય છે. એ ઘરમાં નુકસાન કરે તો પણ એને હાંકી કાઢવામાં આવતી નથી.

તેલંગણા

તેલંગણામાં ધામમૂમથી દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. ધનતેરસ,નરક ચતુદર્શી,દીપાવલી, ગોવર્ધન પૂજા વગેરે મનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ગાયને નદી નાળા કુવા અને સરોવર પાસે સવારે લઇ જઇને સ્નાન કરાવે છે. ત્યાર પછી ગાયને સજાવે છે. ગાયને શણગારવાનો કાર્યક્રમ બપોરે ૨ વાગ્યા સુધી ચાલે છે. ખેતરમાંથી ગાયને ઘરે લઇ જવામાં આવે છે. મહિલાઓ ગાયના પગ ધૂએ છે. પૂજા અને આરતી કરે છે અને નૈવેધ ધરાવે છે.

છત્તીસગઢ

છતીસગઢના બસ્તરમાં દિવાળીના તહેવારના સમયમાં દિયારી ઉજવાય છે. એનો મતલબ પશુધન અને પાકનું રક્ષણ અને વૃધ્ધિ એવો થાય છે. ઘમતરી જિલ્લાના સેમરા (સી)ગામમાં દરેક તહેવાર એક અઠવાડિયું વહેલા ઉજવવામાં આવે છે. ભારતનું એક માત્ર ગામ જયાં બધા જ તહેવારો વહેલા ઉજવાય છે. ભારતમાં દિવાળીનો તહેવાર શરુ થાય ત્યારે ગામ લોકો ઉજવીને પરવારી ગયા હોય છે. આ ગામ પોતાની વિશિષ્ટ પરંપરા અને સભ્યતા માટે જાણીતું છે.

હેતલ રાવ

હર્ષ સંઘવીએ લીધો વધુ એક મોટો નિર્ણય

રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું.

દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે.

 

રશિયન ક્રૂડ ખરીદી પર ટ્રમ્પની ભારત પર ભારે ટેરિફની ચેતવણી

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. એ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત એવું નહીં કરે તો તેને ભારે ટેરિફ (કર) ચૂકવતા રહેવું પડશે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું  મેં PM મોદી સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયન તેલ અંગે હવે એવું નહીં કરે.

જોકે ભારતે એવો દાવો કર્યો હતો કે મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી, પોતાના વિમાન ‘એર ફોર્સ વન’માં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આ સાથે ધમકી પણ આપી કે જો નવી દિલ્હી તેમની શરતો સ્વીકારશે નહીં અને રશિયાથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, તો ભારતીય માલ પર તેઓ વિસ્તૃત સ્તરે ટેરિફ લગાવતા રહેશે.

ટ્રમ્પની આ ટિપ્પણી અમેરિકા દ્વારા રશિયા સાથેના વેપાર ભાગીદારો પર, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં, વધતા દબાણ વચ્ચે આવી છે. વોશિંગ્ટનનું કહેવું છે કે આ દેશો રશિયાથી તેલ ખરીદીને અપ્રત્યક્ષ રીતે યુક્રેનમાં મોસ્કોની જંગને ફંડિંગ કરી રહ્યા છે.

અમેરિકા ભારતમાંથી થતા નિકાસ પર 50 ટકા સુધીનો વ્યાપક ટેરિફ લગાવે છે, જે દુનિયાના અન્ય દેશોમાંથી સૌથી વધુ છે. તેમાં રશિયા સાથેના વેપાર માટે ભારત પર 25 ટકા દંડ પણ સામેલ છે.

ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે જો નવી દિલ્હી મોસ્કો સાથેના પોતાના ક્રૂડ ઓઇલના વેપારને નહીં રોકે તો ભારત પર લાગેલા આ ટેરિફ યથાવત્ રહેશે અથવા તેને વધુ વધારી દેવામાં આવશે.

જાગવાની ક્ષણ

જ્યારે કાચ ફૂટવાનો અવાજ અને બીજો શોર થયો ત્યારે સાર્થકનું એ દિશા તરફ ધ્યાન ગયું. એણે નાક પર ઊતરી આવેલી ચશ્માંની ફ્રેમને ઠીક કરી, ડાયરીમાં પાના વચાળે પોતાની પેન રાખી—ડાયરી બંધ કરી. ઝભ્ભાની બાંયુને કોણી સુધી ચડાવી અને ઘટનાક્રમ શો હતો એ જાણવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.

થોડી જ વારમાં એણે જાણ્યું આ હોટેલમાં ટેબલબૉય તરીકે કામ કરતો છોકરો બેધ્યાનપણે કોઈ શ્રીમંત નબીરા જોડે અથડાતાં ચાઈની પ્યાલી એનાં કીમતી કપડાં પર પડી એમાં એ ટેબલબૉય ઉપર વરસી પડેલો.

ઘરાક સાચવવા માટે હોટલનો મૅનેજર પણ પેલા છોકરાને ખરી—ખોટી સંભળાવતો રહ્યો. છોકરાના મોંમાં જીભજ તાળવે ચોંટી ગયેલી. એ જડ ભાવથી તૂટેલી પ્યાલીઓ એકઠી કરી રહ્યો હતો.

સાર્થકને લાગ્યું જાણે એ તૂટેલા કાચની કરચોમાંથી બીજું પણ કંઈક એકઠું કરી રહ્યો છે.

એ છોકરા માટે અનુકંપાનો ભાવ ઊછળી આવ્યો. આ નિશ્ચિત ટેબલ પર આવીને ૩-૪ ચા પીતાં-પીતાં ડાયરીમાં કશુંક ટપકાવતા રહેવું એ સાર્થકનો નિત્યક્રમ હતો અને એ નિત્યક્રમની ફ્રેમમાં પેલા છોકરાનો પણ સમાવેશ થતો હતો. જે ખૂબ મેનર્ડફુલી… સાર્થકને ટેબલસર્વિસ પૂરી પાડતો. સાર્થક એ ટેબલબૉયને પ્યારથી ‘મિત્ર’ કહેતો.

કાચના ટુકડાઓ ડસ્ટબિનમાં નાખીને છોકરો ઝડપથી હોટેલ પાછળની ઝૂંપડપટ્ટીમાં સરકી ગયો. સાર્થકે એને રોકવાના પ્રયાસો કર્યા તેમ છતાં—

ક્ષણાર્ધમાં જ સાર્થકે નક્કી કરી લીધું એણે શું કરવું ! થોડી જ મિનિટોમાં એ એક ઝૂંપડીમાં હતો. સાર્થકે જાણ્યું કે ટેબલબૉય ૩-૩ રાતથી ઊંઘ્યા વગર એક ચીંથરેહાલ વૃદ્ધાની શુશ્રૂષા કરી રહ્યો હતો. પરિણામે અપૂરતી ઊંઘથી એ લથડી ગયેલો. સાર્થકનું આશ્ચર્ય બેવડાયું જ્યારે એણે જાણ્યું કે એ વૃદ્ધાને તો એ બસ સ્ટેશનથી પોતાના ઘરે માત્ર સારવાર અર્થે જ લઈ આવેલો; કોઈ જ ઓળખાણ વિના.

સાર્થક એને કંઈ પૂછે એ પે’લાં છોકરાએ ઉમેર્યું કે… સરજી, હવે એમ ન પૂછશો કે મેં આવું શા માટે કર્યું? બધી જ વાતનાં કારણો નથી હોતાં અને હોય છે એ બધાં જ કહીને સમજાવી નથી શકાતાં… મારાં સાચાં મા—બાપ તો કોને ખબર કોણ હશે! પણ વરસો પે’લાં.. એક સવારે રેલવે સ્ટેશનની કચરાપેટીમાંથી, કચરા વીણતો એક માણસ અધમૂઆ જેવા થઈ ગયેલા તાજા બાળકને આ ઝૂંપડીમાં લાવેલો… જેને હું મારો બાપ ગણું છું, સરજી…!તમારી જેમ બહુ ભણ્યો નથી પણ મારા બાપે એટલું શિખવાડ્યું છે કે. આ દુનિયામાં એક માણસની બીજા માણસને મદદ કરવાની આપણી ફરજ છે.

સાર્થક અવાક્ !

છાતીના ધબકારે ધબકારે એક સવાલ લપકારા લેતો શોર મચાવી રહ્યો… મારી ફરજ શી?

(રેખાબા સરવૈયા)

(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)

સુવિચાર – ૨૦ ઑક્ટોબર ૨૦૨૫