Home Blog Page 2910

સુવિચાર – 0૪ મે, ૨૦૨૩

સુવિચાર – 0૪ મે, ૨૦૨૩

 પહેલવાનો-પોલીસ વચ્ચે ઝપાઝપીઃ રેસલર્સનું મેડલ પરત કરવાનું એલાન 

નવી દિલ્હીઃ ‘બેટી પઢાઓ બેટી બચાવો’ જેવું સૂત્ર આપનારી કેન્દ્ર સરકાર પર ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયાએ હુમલો કર્યો હતો. જંતર-મંતર પર ધરણાં પર બેઠેલા આ પહેલવાનનું કહેવું હતું કે દેશમાં પુત્રીઓ અને રમત માટે બહુ ખરાબ સમય આવી ગયો છે.બુધવારે દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થયા પછી બજરંગે કહ્યું હતું કે તેમને સરકાર તરફથી કોઈ સન્માન નથી જોઈતું અને તેઓ તેમના એવોર્ડ પરત સોંપી દેશે. પહેલવાનોએ પોલીસ કર્મચારીઓ પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. જેથી કેટલાક દેખાવકારોને માથામાં ઇજા પણ થઈ હતી. વિનેશ ફોગાટે પણ એલાન કર્યું હતું કે પહેલવાનો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા બધા મેડલ પરત આપશે.

દેશના સ્ટાર પહેલવાન રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજશરણ સિંહની સામે 23 એપ્રિલથી ધરણાં પર બેઠા છે. તેમણે બ્રિજશરણ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. આ પહેલવાનોની દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

બજરંગે દેશવાસીઓથી જંતર-મંતર આવવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના મેડલ જીત્યા પછી જો પુત્રીઓની સાથે આવી ગેરવર્તણૂક થઈ રહી છે તો કોઈ લાભ નથી. હું દેશવાસીઓને એકજૂટ થવા આહવાન કરું છું.  તેમણે કહ્યું હતું કે જેની સામે અમે FIR કરી છે, તેમને તો પોલીસ કાંઈ કરી નથી રહી, પણ ખેલાડીઓ પરેશાન છે. પોલીસવાળાઓનો આશય છે કે કેવી રીતે ધરણાં ખતમ કરવા અને બ્રિજભૂષણને બચાવવા માટે દરેક દાવપેચ અજમાવી રહી છે.

 

 

 

 

 

જેવું વાવીએ તેવું જ ઊગે

આજકાલ મુંબઈનો યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સમાચારમાં છે. મૂળ ઉત્તર પ્રદેશના આ યુવાનને ક્રિકેટર બનવાનું ઘેલું લાગેલું. દારુણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે એ મુંબઈમાં ક્રિકેટની તાલીમ લેતો, આઝાદ મેદાનમાં તંબુમાં સૂઈ જતો, મેદાન નજીક પાણીપૂરી વેચીને ગુજરાન ચલાવતો, પણ મગજ પર એક વિચાર સવારઃ ક્રિકેટર બનવું. આઈપીએલની રાજસ્થાનની ટીમમાં એની પસંદગી થઈ અને ગયા રવિવારે (30 એપ્રિલે) મુંબઈ સામેની મૅચમાં એણે સેન્ચુરી ફટકારી. આ છે વિચારની તાકાત.

હજારો વર્ષ પહેલાં પશુ જેવું જીવન જીવતો માનવ આજે સ્પેસ ટુરીઝમ કરતો થઈ ગયો. તે સમયથી આજ સુધી જેટલી શોધખોળ થઈ, માનવીની પ્રગતિ થઈ એ એના મગજમાં નીપજેલા એક વિચારનું પરિણામ છે. અંગ્રેજ લેખક ડૉ. જૉન રસ્કિને કહેલું કે ‘માનવઈતિહાસ મૂળ તો વિચારોનો ઈતિહાસ છે.’

તો ડૉ.અબ્દુલ કલામ પોતાની આત્મકથામાં જણાવે છે કે, ‘બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનનું આકર્ષણ હતું. બગલા તથા સીગલ પક્ષીઓને આકાશમાં ઊંચે ઊડતાં જોતો ત્યારે મને ઊડવાની ઈચ્છા થતી. હું ભલે ગામડાનો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું આકાશમાં ઊડીશ. અને ખરેખર રામેશ્વરમાંથી આકાશમાં વિહરનારો હું પ્રથમ છોકરો બન્યો.’

એક પ્રબળ વિચાર વ્યક્તિને કેટલી બળવાન બનાવી શકે છે તેનું આ દૃષ્ટાંત છે. એટલે જ કહેવાયું છેને કે જીવન રૂપી ખેતરમાં જેવા વિચારનાં બીજ વાવીએ એવો જ પાક મળે. આંબો વાવો તો આંબો જ ઊગે, બાવળ વાવો તો બાવળ ઊગે. વાવીએ તે જ ઊગે.

મોટા ભાગના લોકો પોતાને સામાન્ય ગણી વિચારવાનું માંડી વાળે છે. જેમણે મૌલિક વિચાર કર્યા છે તે બીજા કરતાં જુદું કરી પ્રગતિ અને સફ્ળતા પામ્યાં.

યુવાનો બીજાની સફ્ળતા કે પ્રસિદ્ધિથી અંજાઈને તેના જેવા બનવાના વિચાર કર્યા કરે છે. ક્યારેક સચિન કે કોહલી, ક્યારેક રોનાલ્ડો તો ક્યારેક બ્રુસ લી, પરંતુ ફૂટબૉલ કે ઘડિયાળના લોલકની જેમ આમથી તેમ ફંગોળાતા પાયા વિનાના વિચાર પાણીમાં દોરડાં વણવા જેવો વ્યર્થ વ્યાયામ સાબિત થાય છે. એક વિચાર પકડી તેના માટે સતત ચિંતનમનન સહિતનો ઉદ્યમ થાય તો જીવનમાં કાંઈક પામી શકાય.

૧૮૫૫માં અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલો કૅમ્પ ૨૧ વર્ષે સેલ્સમૅન બન્યો. વિવિધ શહેરોમાં જઈને માલ વેચે. ૩0 વર્ષ બીજાનો માલ વેચી એ કંટાળ્યો. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતાનું કામકાજ કરવું અને એવું કંઈ બનાવવું, જે લોકો દર થોડા દિવસે ખરીદ્યા કરે. આ વિશે સતત વિચાર કરતાં એને શેવિંગ બ્લેડ અને હોલ્ડરનો આઈડિયા આવ્યો. આનાથી રોજેરોજ અસ્ત્રાની ધાર કાઢવાની ઝંઝટ છૂટી અને થોડી દાઢી બનાવ્યા બાદ નવી બ્લેડ ખરીદવી પડતી એટલે માલ ધૂમ વેચાતો. કૅમ્પનું આખું નામઃ કિંગ કૅમ્પ જિલેટ. એણે શોધેલી બ્લેડ અને અન્ય શેવિંગનાં સાધનનું બ્રાન્ડનેમઃ જિલેટ.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુનાકાંઠે મંદિર કરવું છે. ગુરુનો આ એક વિચાર પ્રમુખસ્વામી મહારાજનું જીવન બની ગયો. ગુરુના વિચારને સાકાર કરવા તેમણે ૩૨ વર્ષ ધીરજ રાખી પ્રચંડ પુરુષાર્થ કર્યો. અલબત્ત, એમાં વિઘ્ન આવ્યાં, પણ એનાથી ડર્યા કે ડગ્યા વિના તેમણે માત્ર વિચાર સમક્ષ જ દૃષ્ટિ રાખી, જેના ફ્ળ સ્વરૂપે આ વિશ્વને દિલ્હી અક્ષરધામ મળ્યું. સારા વિચારોનાં વાવેતર કરી કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 3962 નવા કેસો, 22નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3962 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ છ ટકા વધુ છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 22 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,60,678 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,606 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,92,828 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7873 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 36,244એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.08 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,82,294 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.72 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,73,435 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2363 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

શ્રી શ્રી રવિશંકરજી: સહજ બનો

સહજ બનવું એટલે પોતાનો, અન્યોનો અને તમારી આસપાસની બધી વસ્તુઓ જેમ છે એમ સ્વીકાર કરવો. એક બોજા તરીકે નહીં પરંતુ એક સમજણ સાથે કે આ આમ જ છે.જ્યારે તમને એવો વિચાર આવે કે એવું લાગે કે આ આમ ના હોવું જોઈએ અથવા આ પેલી રીતનું હોવું જોઈતું હતું ત્યારે તમે તમારી સીમાના સંપર્કમાં પહોંચી હોવ છો;સહજ અને અનુકૂળ નહીં લાગવાની સીમા.

દરેક વખતે જ્યારે તમે દુખી કે વ્યથિત હોવ છો,ત્યારે તમે તમારી પોતાની સીમાના સંપર્કમાં આવી ગયા હોવ છો! સીમા તમારા વ્યાકુળ થવાનું મૂળ કારણ હોય છે કારણ કે તે એક મર્યાદા બાંધી દે છે. તમે જોયું છે કે જ્યાં સુધી તમે તમારી સીમાની સંપર્કમાં નથી આવતા ત્યાં સુધી શાંત,ખુશ અને સ્વસ્થ હોવ છો? જે ક્ષણે તમે તેના સંપર્કમાં આવો છો કે મન ચકરાવે ચઢે છે અને તમે તમારા કેન્દ્રથી વિસ્થાપિત થઈ જાવ છો.એ ક્ષણે તમારે માત્ર કૃતજ્ઞ થવું જોઈએ અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આખી પરિસ્થિતિને બસ એક પ્રાર્થનામાં ફેરવી દો. પ્રાર્થના કરો કે શાંતિ રહે,માત્ર તમારામાં નહીં પણ બધામાં. એ જ ક્ષણથી તમે મુસ્કુરાવા લાગશો. પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક કેમ ના હોય,તમે તેમાંથી પસાર થઈ જશો, ગાઈને-નાચીને તેમાંથી નીકળી જશો!આ પ્રેમ છે.

હિંદીમાં પ્રેમ અઢી અક્ષરથી લખાય છે. આ વિશે એક કહેવત છે કે “ગુરુ કોણ છે,પંડિત કોણ છે,શાણી વ્યક્તિ કોણ છે?એ નહીં કે જેણે અનેક ગ્રંથો ભણ્યા છે, પણ એ કે જેણે આ અઢી અક્ષરો ભણ્યા છે.”અને આ અઢી અક્ષરો આ ક્ષણમાં જ છે.

જ્યારે પણ સીમાનું ઉલ્લંઘન થાય છે ત્યારે થોડો ડર ઉત્પન્ન થાય છે. ડર અણગમો પેદા કરે છે. આ અણગમો તમને તમારી સીમામાં પાછા ધકેલી દે છે. તમે પોતાની જાતને સીમામાં રાખવા માટે બહાના આગળ ધરો છો,પોતાનો બચાવ કરો છો. જ્યારે તમે પોતાની જાતને આમ બચાવવા પ્રયત્ન કરો છો ત્યારે એ ખૂબ તનાવપૂર્ણ હોય છે. દરેક વખતે જ્યારે તમે પોતાની સ્થિતિનો બચાવ કરવા પ્રયત્ન કરો છો ત્યારે એ તમને વધુ ને વધુ કમજોર બનાવે છે. બધા બચાવને બાજુએ મૂકી દો. જ્યારે તમે સંપૂર્ણપણે બચાવોથી મુક્ત થાવ છો ત્યારે તમે મજબૂત બનશો.

જ્યારે તમે નિર્દોષ હોવ છો ત્યારે તમને તમારી ભૂલનું ભાન થાય છે! જે કોઈ ભૂલ થઈ હોય,પણ પોતાની જાતને પાપી ના સમજશો કારણ કે વર્તમાન ક્ષણમાં તમે ફરી નવા,શુધ્ધ અને સ્પષ્ટ છો.ભૂલો ભૂતકાળમાં થઈ હતી, જે જતો રહ્યો છે. જ્યારે આ જ્ઞાન થાય છે ત્યારે તમે ફરીથી પરિપૂર્ણ થાવ છો. ભૂતકાળમાંથી શીખો અને ભૂલી જાવ અને સર્જનાત્મક ઉત્સાહથી આગળ વધો.કઠોર સમય તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. સમય જ્યારે સાટુ વાળીને આપે છે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ આપે છે.જીવન આ બન્નેનું સંયોજન છે. ઘણીવાર મા ગુસ્સે થઈને પોતાના બાળકોને વઢે છે. પછીથી તેમને બહુ અફસોસ થાય છે. જાગૃતિના અભાવે ગુસ્સો આવે છે! પોતાની ચેતના,સત્ય અને કુશળતાઓ વિશેની સભાનતા તમારામાનું શ્રેષ્ઠ બહાર લાવી શકે છે. માટે, ભૂલો કરવાથી ડરતા નહીં. પરંતુ એની એ જ ભૂલો કરવી નહીં. તમારે તમારી ભૂલોમાં પણ મૌલિક થવું પડે!

ઘણી વાર તમે ચોકસાઈ માટે અસ્વસ્થ થવાને લીધે ગુસ્સો કરો છો કે વ્યથિત થઈ જાવ છો. જો તમે સંપૂર્ણતા/ક્ષતિહીનતાના અતિશય આગ્રહી છો તો તમે એક ગુસ્સાવાળી વ્યક્તિ હોવાના જ. અજ્ઞાનતાની અવસ્થામાં અપૂર્ણતા કુદરતી છે અને સંપૂર્ણતા માટે પ્રયત્ન કરવો પડે છે. જ્ઞાન કે પ્રબુદ્ધતાની અવસ્થામાં અપૂર્ણતા માટે પ્રયત્ન કરવો પડે છે, સંપૂર્ણતા ફરજીયાત હોય છે અને તેને ટાળી શકાતી નથી!સંપૂર્ણતા એટલે સંપૂર્ણપણે જવાબદારી લેવી અને સંપૂર્ણ જવાબદારી એટલે એમ માનવું કે આખી દુનિયામાં તમે એક માત્ર જવાબદાર વ્યક્તિ છો. જ્યારે તમે એમ માનો છો કે બીજાઓ જવાબદાર છે ત્યારે તમારી જવાબદારી લેવાની ઉત્કટતા ઓછી થઈ જાય છે. જ્યારે તમે સંપૂર્ણ વૈરાગ્યની અવસ્થામાં હોવ છો ત્યારે તમે ઉત્કૃષ્ટ રીતે ક્ષુલ્લક બાબતોનું પણ ધ્યાન રાખી શકો છો. સંપૂર્ણતા એ એક જ્ઞાની વ્યક્તિનો મૂળ સ્વભાવ હોય છે. જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે સંપૂર્ણતાનો આગ્રહ નથી રાખતા. જો તમે સંપૂર્ણતા ઈચ્છી રહ્યા છો તો તમે ખુશીના સ્રોતથી દૂર છો. ખુશી એટલે એવી સમજણ કે જ્ઞાનથી છુટકારો નથી હોતો. ઉપરછલ્લેથી દુનિયા અપૂર્ણ દેખાય છે, પરંતુ અંદરખાને બધું સંપૂર્ણ છે. સંપૂર્ણતા છુપાયેલી હોય છે; અપૂર્ણતા દેખાડો કરે છે.

જ્ઞાની વ્યક્તિઓ કોઈ બાબતને ઉપરછલ્લેથી નહીં જોતા, ઊંડા ઉતરશે. વસ્તુઓ અસ્પષ્ટ નથી હોતી, તમારી દ્રષ્ટિ અસ્પષ્ટ હોય છે. ચેતનાની પરિપૂર્ણ અવસ્થામાં અનેક પ્રક્રિયાઓ થતી હોય છે, અને છતાં ચેતના સંપૂર્ણ, ક્ષતિરહીત રહે છે.આ બાબતની અત્યારે પ્રતીતિ કરો અને સહજ બનો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

આંદોલન સ્થળે દિલ્હી પોલીસ જવાનો, પહેલવાનોના સમર્થકો વચ્ચે અથડામણ

નવી દિલ્હીઃ અહીં જંતરમંતર ખાતે આંદોલન ચલાવી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસના જવાનો વચ્ચે ગઈ કાલે મારમારી થઈ હતી. પહેલવાનોનો દાવો છે કે પોલીસોએ એમને ધક્કા માર્યા હતા અને ગાળો આપી હતી. તેના પ્રત્યાઘાતમાં પોલીસે કહ્યું કે કુસ્તીબાજોના સમર્થકોને આંદોલનના સ્થળે ફોલ્ડિંગ પલંગ લઈ જતા રોકવામાં આવ્યા બાદ સમર્થકો ઉગ્ર બની ગયા હતા. એમને પલંગ આંદોલન સ્થળે લાવવાની પરવાનગી અપાઈ નથી. તેથી એમને રોકવામાં આવ્યા હતા, પણ એમણે ઝઘડો કર્યો હતો.

Wrestlers allege attack by cops.

 

મારામારીમાં કુસ્તીબાજોના બે સમર્થક ઘાયલ થયા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે એક પોલીસ જવાન દારૂના નશામાં હતો. પોલીસતંત્રએ કહ્યું છે કે તેઓ એ વિશે ફરિયાદ નોંધાવે, તે પછી ઉચિત પગલું ભરવામાં આવશે. સંબંધિત પોલીસ જવાનનું મેડિકલ ચેકઅપ કરાશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે આરોપ મૂક્યો છે કે પોલીસો દારૂ પીને આંદોલન સ્થળે આવ્યા હતા અને તેમણે મહિલા દેખાવકારોને ધક્કા માર્યા હતા અને એને ગાળો આપી હતી. અન્ય મહિલા પહેલવાન સાક્ષી મલિક રડી પડી હતી. એણે કહ્યું કે, વરસાદને લીધે અમને અહીં સૂવામાં તકલીફ પડે છે એટલે અમે પલંગ મગાવ્યા હતા. શું આપણી દીકરીઓ સાથે આવું વર્તન કરવું, એમને ગાળો આપવી ઉચિત છે?

બીજી જૂનથી વિશ્વ બેન્કની ચાવી ભારતીય વંશના અજય બંગાના હાથમાં

મુંબઈઃ ભારતીય મૂળના અમેરિકન નાગરિક અજય બંગા વર્લ્ડ બેન્કના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે. બેન્કના 25-સભ્યોની કાર્યકારી મંડળે પ્રેસિડેન્ટ પદે ગઈ કાલે અજય બંગાની નિયુક્તિ કરી. બંગાનો કાર્યકાળ આવતી બીજી જૂનથી શરૂ થશે. તેઓ ડેવિડ મલપાસના અનુગામી બન્યા છે. બેન્કના કાર્યકારી બોર્ડે માસ્ટરકાર્ડ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ અજય બંગાની આવતા પાંચ વર્ષ સુધી વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને વર્લ્ડ બેન્કના પ્રમુખપદ માટે 63 વર્ષીય બંગાના નામને મંજૂરી આપી હતી.

કોણ છે અજય બંગા?

શીખ સંપ્રદાયના અજય બંગાનું આખું નામ છે અજયપાલ બંગા. તેઓ હાલ જનરલ એટલાન્ટિકમાં વાઈસ-ચેરમેન છે. એ પૂર્વે એમણે 11 વર્ષ સુધી માસ્ટરકાર્ડમાં પ્રેસિડેન્ટ અને સીઈઓ પદ સંભાળ્યું હતું. એમણે પોતાની કારકિર્દી નેસ્લે કંપનીથી શરૂ કરી હતી. ત્યાં માર્કેટિંગ, સેલ્સ અને મેનેજમેન્ટ વિભાગોમાં 10 વર્ષ સુધી કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ બીજી અનેક કંપનીઓમાં પણ મહત્ત્વનું પદ સંભાળી ચૂક્યા છે.

અજય બંગાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા. અજય બંગાનો જન્મ પૂણે જિલ્લાના ખડકી ખાતે થયો હતો. એમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને આઈઆઈએમ-અમદાવાદમાંથી એમબીએ અભ્યાસ પૂરો કર્યો હતો. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ 2016માં ભારત સરકારે એમને પદ્મશ્રી ખિતાબથી સમ્માનિત કર્યા હતા.

0૪ મે, ૨૦૨૩

0૪ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 04/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 04/05/2023