Home Blog Page 268

૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬

સુથારનું મન બાવળીએ

       સુથારનું મન બાવળીએ

માણસનું મન પોતાની રુચિ અનુસારની વસ્તુઓ શોધે છે. એનું મન રુચિ અનુસારની વસ્તુઓ ઉપર જ ચોંટે છે. એની રુચિને અનુસારની વસ્તુ હોય ત્યારે વાતમાં એને વિશેષ રસ પડે અને એમાં પણ જો સ્વાર્થ ભળે તો એ વાત સવિશેષ ગમે.

સુથાર લાકડું ઘડીને જાતજાતની વસ્તુઓ બનાવે છે. એટલે એ કોઈ ઝાડ જુએ, જેના પ્રતીકરૂપે અહીંયાં બાવળીયાનો ઉલ્લેખ છે, તો એનું મન એમાંથી કેટલું લાકડું મળે અને શું શું વસ્તુઓ બની શકે એની ગણતરી ઝપાટાબંધ માંડી લે. આ સંદર્ભમાં જ કહેવાયું છે કે સુથારનું મન બાવળીએ.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘રામ ઔર શ્યામ’ થી દિલીપકુમાર દુ:ખી માહોલમાંથી બહાર આવ્યા!

દિલીપકુમારની ‘રામ ઔર શ્યામ’ (1967) ફિલ્મે ભારતીય સિનેમામાં ડબલ રોલની એક એવી નવી કેડ કંડારી હતી જેના પર પછીથી ‘સીતા ઔર ગીતા’ અને ‘ચાલબાઝ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બની હતી. દેખાવમાં એક સરખા પણ સ્વભાવમાં આસમાન- જમીનનો તફાવત ધરાવતા બે ભાઈઓની વાર્તાવાળી ‘રામ ઔર શ્યામ’ પાછળની વાતો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. તેની શરૂઆત 1844માં ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડ્યૂમાની નવલકથા ‘ધ કોર્સિકન બ્રધર્સ’ અને માર્ક ટ્વેઇનની ‘ધ પ્રિન્સ એન્ડ ધ પોપર’ થી થઈ હતી. જેના પરથી પ્રેરણા લઈને 1964માં તેલુગુ ફિલ્મ ‘રામુડુ ભીમુડુ’ બની અને તેની હિન્દી રિમેક તરીકે ‘રામ ઔર શ્યામ’ અસ્તિત્વમાં આવી હતી.

દિલીપકુમારે પોતાની આત્મકથા ‘વજૂદ ઔર પરછાઈ’માં આ ફિલ્મ વિશે લખ્યું છે કે તે સમયે મુંબઈમાં કલાકારો કેટલી ફિલ્મોમાં કામ કરી શકે તેની મર્યાદા નક્કી કરવાની વાતો ચાલતી હતી. એ સમય પર તે એક જ ફિલ્મમાં કામ કરતાં હતા. પણ આ નિર્ણયથી તેઓ થોડા પરેશાન હતા. આ દરમિયાન દિલીપકુમાર પોતાની ‘ટ્રેજેડી કિંગ’ ની ઈમેજથી બહાર આવવા મથતા હતા ત્યારે દક્ષિણ ભારતના બે દિગ્ગજ નિર્માતાઓ તેમની પાસે આવ્યા હતા. નિર્માતા પી.એસ. વીરપ્પા તેમની તમિલ ફિલ્મ ‘આલિયામણી’ ની હિન્દી રિમેક કરવા માંગતા હતા. જેની હિન્દી રિમેકનું નામ ‘આદમી’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા એક એવા પાત્રની હતી જે શંકાશીલ હોય છે અને અકસ્માતને કારણે વ્હીલચેર પર આવી જાય છે.

દિલીપકુમારને આ ગંભીર પાત્ર ગમ્યું અને કામ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ શરૂ થયાના થોડા સમય પછી નિર્માતા બી. નાગી રેડ્ડી તેમની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ લઈને આવ્યા. દિલીપકુમારે બંને ફિલ્મો સાઈન કરી હતી. પ્રોડક્શનના શિડ્યુલ મુજબ ‘આદમી’ ઘણી આગળ હતી પરંતુ અધવચ્ચે જ આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયો. નિર્માતાઓને આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો. જેના કારણે ફિલ્મનું કામ લાંબા સમય સુધી અટકી પડ્યું. આ દરમિયાન દિલીપકુમારે પોતાનો ખાલી સમય ‘રામ ઔર શ્યામ’ ને આપવાનું નક્કી કર્યું.

નિર્માતાઓ પાસે મજબૂત નાણાકીય પીઠબળ હતું અને દક્ષિણ ભારતીય નિર્માતાઓની કામ કરવાની શૈલી ખૂબ જ ઝડપી અને શિસ્તબદ્ધ હતી. પરિણામે જે ફિલ્મ પછી શરૂ થઈ હતી તેનું કામ રોકેટ ગતિએ આગળ વધ્યું. ‘આદમી’ નું કામ અટકી-અટકીને ચાલતું રહ્યું. ‘રામ ઔર શ્યામ’ ની ભવ્ય સફળતાના એક વર્ષ પછી 1968માં ‘આદમી’ રિલીઝ થઈ શકી હતી. આમ ‘રામ ઔર શ્યામ’ પહેલા સ્થાન પામી ગઈ હતી.

આ જ કારણે મુમતાઝ અને વહીદા રહેમાનની જોડી પ્રેક્ષકોએ ‘રામ ઔર શ્યામ’ માં પહેલા નિહાળી જ્યારે ‘આદમી’માં વહીદા રહેમાનનો અભિનય પછીથી જોવા મળ્યો. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ દિલીપકુમાર માટે અત્યંત આનંદદાયક હતો. કારણ કે ટ્રેજેડી કિંગ તરીકેની તેમની ગંભીર છબી તોડીને હળવાશથી કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મ માત્ર એક મનોરંજક વાર્તા નહોતી પણ દિલીપકુમારના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સુખદ પરિવર્તન લાવનાર એક માધ્યમ બની રહી હતી. એમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં કરોડોની કમાણી કરી હતી. ખાસ કરીને રશિયામાં પણ આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી હતી.

પંચાંગ 03/02/2026

બજેટનો આંચકો પચાવી સેન્સેક્સ 944 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ બજેટના આંચકો પચાવી ભારતીય શેરબજારોએ સોમવારે છેલ્લા કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, BEL, એમ એન્ડ એમ, ICICI બેન્ક અને HDFC બેન્કમાં લેવાલીથી બજારને મજબૂતી મળી હતી. વેચવાલીના એક દિવસ પછી મિડકેપ અને સ્મોલકેપ શેરો સહિત બજાર તેજી સાથે બંધ થયું હતું. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.63 લાખ કરોડનો વધારો થયો હતો.

BSE સેન્સેક્સ 944 પોઇન્ટ 1.17 ટકાની તેજીની સાથે 81,666ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 263 પોઇન્ટ વધીને 25,000ની સપાટી વટાવીને 25,088 પર બંધ થયો હતો. ગઈ કાલે બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં બે વર્ષ પછી વધારાના એલાનને પગલે શેરબજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્સેક્સ અને નિફ્ટી 1.8 ટકાથી વધુ તૂટ્યા હતા. સામાન્ય બજેટમાં વિકાસ પર ધ્યાન કરવામાં આવતાં શેરબજારોમાં સુધારો થયો હતો.

BSE પર કુલ 4228 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2037 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2220 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 171 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 76 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 360 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 230 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

વૈશ્વિક પડકારો સામે ટકીને વિકસિત ભારત બનાવવા માટેની બ્લુપ્રિન્ટ

 વૈશ્વિક સ્તરે વેપાર બાબતે ચાલી રહેલાં ઘર્ષણો તથા ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આ વખતનું કેન્દ્રીય બજેટ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરનારા દેશ તરીકેનું ભારતનું સ્થાન ટકાવી રાખવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે.

રિઅલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ- કુલ રાષ્ટ્રિય ઉત્પાદન)નો વૃધ્ધિ દર આગામી વરસ માટે ૬.૮ ટકાથી ૭.૨ ટકા આસપાસ અંદાજાયો છે. જેના માટે વિકાસલક્ષી મુડીખર્ચની સાથે-સાથે શિસ્તબધ્ધ ફિસ્કલ મેનેજમેન્ટ (રાજકોષીય સંચાલન)નું આયોજન કરાયું છે.

નાણા પ્રધાને વિકસિત ભારતના ઊંચા વિઝનને ટોચ પર રાખી એવાં કર્તવ્યો (લક્ષ્યો) નિર્ધારિત કર્યાં છે, જેમાં સર્વસમાવેશ (ઈન્કલુઝિવ)નો અભિગમ સામેલ થઈ જાય છે, અર્થાત બધાંને વિકાસના ફળ મળશે. સરકાર એને સબ કા સાથ, સબ કા વિકાસ કહે છે. આ સંજોગોમાં અંદાજપત્રે લાંબા ગાળાનો રેઝિલિયન્સ પ્લાન (પડકારોનો સામનો કરતાં કરતાં પ્રગતિ કરવા) સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની રૂપરેખા ઘડી છે. આ રેઝિલિયન્ટ ગ્રોથ પ્લાન એટલે કપરા સંજોગો વચ્ચે પણ મજબુત રહેવાનો તથા એનર્જેટિક (ઊર્જાસભર), આશાવાદી અને પ્રતિબદ્ધ રહેવાનો નિર્ધાર.

આર્થિક સ્થિરતા અને રાજકોષીય શિસ્ત

હાલમાં અનેક વિકસિત દેશો પોતાની સામેના ટુંકા ગાળાના પડકારોને મેનેજ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમણે પોતાની ‘વગદાર સ્થિતિ’નો ઉપયોગ કરીને અમુક પગલાં ભર્યાં છે. આવા સમયે ભારત લાંબા ગાળાનું સાતત્ય જાળવી રાખવાના નિર્ધાર સાથે આગળ કૂચ કરવા કટિબધ્ધ બન્યું છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને નાણાંકીય વરસ ૨૦૨૭ સુધીમાં જીડીપીના ૪.૩ ટકાના સ્તરે નીચે રાખવા કમિટેડ હોવાનો દાવો કર્યો છે. જે ગયા વરસે ૪.૪ ટકા હતી. સરકારે બજેટ મારફત તેનો જીડીપી સામેનો ડેટ રેશિઓ પણ ૫૫.૬ ટકા જેવો નીચે લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા પર લઈ જવાનો મધ્યમ ગાળાનો નિર્ધાર પણ જાહેર કર્યો છે. આ દિશામાં આગળ વધવાનો અર્થ એ થાય કે આગળ જતાં સરકારનો વ્યાજ બોજ ઘટે અને સરકાર રચનાત્મક જાહેર મૂડીગત ખર્ચ માટે નોંધપાત્ર અવકાશ ઊભો કરી શકે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ

આ બજેટનું મુખ્ય લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર આધારિત વિકાસ પર ભાર મુકવાનું છે.  જેથી સરકારે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાનો વિક્રમી મુડીગત ખર્ચ જાહેર કર્યો છે, જે ૨૦૨૬ની તુલનાએ ૯ ટકા વધુ છે. આનો આધાર સરકારે ટ્રાન્સપોર્ટ, એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાખ્યો છે. આને ઈકોનોમીની ઈમારતનું માળખું કહી શકાય. ખાનગી મુડીરોકાણને આકર્ષવા તેમ જ મધ્યમ ગાળાના વિકાસને હાંસલ કરવાનો વ્યુહ આમાં સામેલ છે.  બજેટની મુખ્ય જાહેરાતોમાં  સાત હાઇ સ્પિડ રેલ કોરિડોર, પૂર્વમાં ડંકુનીથી પશ્ચિમમમાં સુરતને જોડતા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગો સામેલ છે. ‘સિટી ઈકોનોમિક રિજન્સ’ મારફત સરકાર શહેરી વિકાસને પણ જબરદસ્ત બળ પુરું પાડવા માગે છે. બજેટે પાંચ યુનિવર્સિટી ટાઉનશિપ્સ પણ પ્લાન કરી છે. આ બધાં પગલાં ભરવા પાછળનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસના અનેક અને સસ્ટેનેબલ (સાતત્યપૂર્ણ) ચાલકબળ તૈયાર કરવાનો છે.

મારા મતે ઈન્ફ્રાસ્ટ્રકચર રિસ્ક ગેરેન્ટી ફંડ પણ મહત્વનું કદમ છે, જે લેન્ડર્સને આંશિક ક્રેડિટ ગેરેન્ટી આપે છે, આને પગલે ધિરાણ ઉપલબ્ધિ બહેતર બનશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ માટેનો મૂડીગત ખર્ચ ઘટશે.

ડિજિટલ ઈન્ડિયા અને રોકાણ માટેનાં પ્રોત્સાહનો

આ બજેટની એક આંખે ઉડીને વળગે એવી જાહેરાત વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે ૨૦૪૭ સુધી ઓફર થયેલા ટેક્સ હોલિડેની છે, આ કેપિટલ ઈન્ટેન્સિવ (મુડી રોકાણ લક્ષી)  સ્વરૂપના ડેટા સેન્ટર્સ ભારતના લાભમાં રહેશે, આને પગલે પાવર કોસ્ટ, ઓપરેટિંગ કાર્યક્ષમતા અને ડિજિટલ કનેકટિવિટીનો લાભ મળશે, જેનાથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રાકચર માટે ભારત સંભવિત હબ બની શકશે. ભારતના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) ઈકોસિસ્ટમ મજબુત બનશે તેમ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રોજગારનું સર્જન કરવામાં તે સહાયરૂપ થશે.

એસીટીટીની માર્કેટ પર અસર

એક ચર્ચા બજેટ બાદ કેન્દ્રમાં રહી છે, જે કેપિટલ માર્કેટમાં એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ)ના વધારાની છે. આ ટેકસ વધારો ફયુચર્સ અને ઓપ્શન્સ માર્કેટના સોદાઓને લાગુ કરાયો છે, જેને પરિણામે ટુંકાગાળામાં વોલેટિલિટી વધી શકે છે, પરંતુ લાંબે ગાળે ફંડામેન્ટલ્સ ગ્રોથને આધારે માર્કેટ આઉટલુક રચનાત્મક રહેશે. બધાં જ શેરધારકો માટે બાયબેકના નફા પરનો કેપિટલ ગેઈન ટેકસ અને માત્ર પ્રમોટર્સ પર જ વધારાનો ટેકસ લાગુ કરવાનો નિર્ણય માઇનોરિટી શેરધારકો માટે પોઝિટિવ પગલું કહી શકાય. ગ્રોસ માર્કેટ બોરોઈંગ વધીને ૧૭.૨ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ મુકાયો છે, કિંતુ નેટ બોરોઈંગમાં કોઈ ફેરફાર નથી, જે ચિંતા ઘટાડનારું પગલું છે.

શિસ્ત સાથે કમિટમેન્ટ

બજેટના તમામ પાસાઓ પર નજર કરતા નિષ્કર્ષ એ આવે છે કે બજેટે સરકારી ખર્ચ સતત ચાલુ રાખીને અને ડિજિટલ ઈકોનોમી માટે ટાર્ગેટેડ પ્રોત્સાહનો આપીને ભારતની વિકાસ ગાથા આગળ વધારવાનો વ્યુહ રાખ્યો છે. સરકારે આ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું કમિટમેન્ટ પાળ્યું છે. આ પગલાં ભારતને લાંબા ગાળે વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(નીલેશ શાહ – મેનેજિંગ ડિરેકટર, કોટક મહિન્દ્ર એ.એમ.સી.)

રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતાં લોકસભામાં હંગામો

નવી દિલ્હીઃ બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની વાત શરૂ કરી હતી. પરંતુ તેમણે બોલવાનું શરૂ કરતાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સત્તાપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એક મેગેઝિનમાં છપાયેલા લેખનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ડોકલામ, ચીની ટેન્કો અને કૈલાશ રિજિયન વિશે વાત હતી. તેમણે જણાવ્યું હતું કે આ લેખમાં ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના સ્મૃતિગ્રંથ (સંસ્મરણો)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી દ્વારા એટલું કહેતાં જ લોકસભામાં ભારે હંગામો શરૂ થયો. સત્તા પક્ષના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી નિયમોનું પાલન કરી રહ્યા નથી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે કે તેઓ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પ્રકાશિત થયું છે કે નહીં.

સત્તા પક્ષના વારંવારના હંગામા અને રાજનાથ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આમાં એવું શું છે કે જે તેમને એટલું ડરાવી રહ્યું છે? જો તેઓ ડરેલા નથી તો મને આ વાંચવાની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીના ભાષણ પર માત્ર રાજનાથ સિંહ જ નહીં, પરંતુ કિરણ રિજિજુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ વાંધો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજુએ કહ્યું કે સ્પીકરે નિર્ણય આપ્યો છે કે મેગેઝિન અથવા અખબારોના લેખોને ગૃહમાં ક્વોટ કરી શકાય નહીં. ગૃહમાં ચર્ચા નિયમો અને કાયદા અનુસાર થવી જોઈએ.

અમિત શાહે કહ્યું કે મેગેઝિન કંઈ પણ છાપી શકે છે. રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે છે કે આ વાતો ખરેખર એમ.એમ. નરવણેએ લખી છે કે નહીં.

સંપૂર્ણ વિવાદ કેમ થયો?

લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રકાશિત મેગેઝિનનાં ક્વોટ રજૂ કરવા પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે આ ગૃહના નિયમોના વિરુદ્ધ છે. રાહુલ ગાંધીનો દાવો હતો કે તેમનો સ્ત્રોત વિશ્વસનીય છે અને તેમાં પૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેનાં અપ્રકાશિત સ્મૃતિગ્રંથોનાં ક્વોટ સામેલ છે. રાહુલ ગાંધીએ એમ.એમ. નરવણેની રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે ચીની સેના ભારતીય સીમા નજીક આવી હતી, ચીનની સેના ભારતીય વિસ્તારમાં ઘૂસી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના ચાર ટેન્કો ભારતીય સીમામાં પ્રવેશી રહ્યા હતા અને ચીની ટેન્કો કૈલાશ રિજિયન પર ચઢી રહી હતી.

પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાં પડી શકેઃ ICCની ચેતવણી

નવી દિલ્હીઃ ICCએ પાકિસ્તાન સરકાર દ્વારા પોતાની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચ બોયકોટ કરવાનો નિર્દેશ આપવાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આ પગલાને વૈશ્વિક રમતગમત સ્પર્ધાના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે.

ICCએ પાકિસ્તાનને સંકેતોમાં પરિણામોની ચેતવણી આપી

ICCએ જણાવ્યું હતું કે તે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી હજુ પણ ઔપચારિક વાતચીતની રાહ જોઈ રહ્યું છે. ICCએ એ બાબત પર ભાર મૂક્યો કે ટુર્નામેન્ટમાં પસંદગીપૂર્વક ભાગ લેવા અંગેનો અભિગમ સ્વીકાર્ય નથી.

પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા મંજૂરી આપી છે, પરંતુ તેમને ભારત સામેના ગ્રુપ-સ્ટેજ મેચમાં મેદાન પર ન ઊતરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને PCB તરફથી સત્તવાર માહિતી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે આશા રાખે છે કે તમામ મેચો નક્કી કરાયેલા શેડ્યુલ મુજબ જ રમાશે. ICCએ એ પણ જણાવ્યું  હતું કે પાકિસ્તાનનો આ નિર્ણય વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે યોગ્ય નથી, જેમાં પાકિસ્તાનના લાખો સમર્થકો પણ સામેલ છે.

ICCની ગવર્નિંગ બોડીએ PCBને દેશના ક્રિકેટ પર આ સ્થિતિના મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન પ્રભાવ વિશે ગંભીરતાથી વિચારવા અપીલ કરી છે. ICCએ કહ્યું હતું કે આ મુદ્દાની વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર મોટી અસર પડી શકે છે, જેમાં પાકિસ્તાન એક સભ્ય અને લાભાર્થી બંને રૂપે જોડાયેલું છે.

ICCએ વધુમાં જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને સફળતાપૂર્વક આયોજિત કરવાની છે, જે PCB સહિત તમામ સભ્યોની જવાબદારી પણ છે. તેમને આશા છે કે PCB તમામ સ્ટેકહોલ્ડર્સનાં હિતોની રક્ષા થાય એવો પરસ્પર સંમતિનો ઉકેલ શોધશે.

ધર્મ પરિવર્તન બાદ ચાર પરિવારોનો સામાજિક બહિષ્કાર

રાંચીઃ ઝારખંડના એક ગામમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ ચાર પરિવારોને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના જગન્નાથપુર બ્લોકના હલ્દી પોખર ગામની છે, જ્યાં ચાર પરિવારોના ખ્રિસ્તી ધર્મ અપનાવવાને કારણે ગામલોકોએ તેમના માટે અનેક જાહેર સુવિધાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગામલોકોએ જાહેર પાણીના સ્ત્રોતો, જંગલમાંથી મળતાં ઉત્પાદનો અને અન્ય જાહેર સુવિધાઓ સુધી તેમની પહોંચ રોકી દીધી હતી.

શનિવારે આ મામલો પોલીસ પ્રશાસનના ધ્યાનમાં આવ્યા બાદ પોલીસ અને આવક વિભાગના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાનૂની કાર્યવાહી અંગે ચેતવણી આપ્યા પછી ગામસ્તરીય બેઠક દ્વારા મામલાનું નિરાકરણ લાવવામાં આવ્યું. અસરગ્રસ્ત પરિવારોનો આરોપ હતો કે તેમને ગામનાં તળાવ, કૂવો, હેન્ડપંપ અને દુકાનોનો ઉપયોગ કરવા દેવામાં આવતો નહોતો અને જંગલમાંથી લાકડું તથા પાંદડા એકત્ર કરવાની પણ મનાઈ કરવામાં આવી હતી.

સરના ધર્મ સાથે જોડાયેલા ગામલોકોએ દાવો કર્યો કે આ નિર્ણય તેમના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાગત માન્યતાઓની રક્ષા માટે લેવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સતત ધર્માંતરણથી તેમના વન દેવતાઓ, સંસ્કૃતિ અને પરંપરાગત સામાજિક માળખા પર અસર પડશે.

ચાર પરિવારોના ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનનો મામલો

સત્તાવાર માહિતી મુજબ ત્રણ પરિવારો પહેલેથી જ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા, જ્યારે તાજેતરમાં ચોથા પરિવારના અન્ય સભ્યો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થતાં આ મુદ્દો સામે આવ્યો. કુમારડુંગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી રંજિત ઓરાંવે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ વ્યક્તિગત રીતે ગામમાં ગયા હતા અને બંને પક્ષો સાથે બેઠક કરી હતી.

અધિકારીએ કહ્યું હતું કે અમે પોતે ગામમાં ગયા અને સૌની સાથે વાત કરી. ગામના વડા સહિત સમગ્ર ગામને બોલાવવામાં આવ્યું હતું. સર્કલ ઓફિસર પણ હાજર હતા. સૌને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું કે સામાજિક બહિષ્કાર એક દંડનીય ગુનો છે. સર્કલ ઓફિસર મુક્તા સોરેને જણાવ્યું કે ધાર્મિક આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ગેરકાનૂની અને ગેરબંધારણીય છે. તેમણે કહ્યું હતું કે પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.