Home Blog Page 1649

30 સૈનિકો પર હત્યાનો કેસ?: SC કોર્ટે કેન્દ્ર, સંરક્ષણ મંત્રાલયને મોકલી નોટિસ

નવી દિલ્હીઃ નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જે હેઠળ સરકારે ત્રણ વર્ષ પહેલાં રાજ્યના મોન ક્ષેત્રમાં 13 સામાન્ય નાગરિકોની હત્યાને મામલે 30 સૈનિકો પર કાર્યવાહી કરવાની ધા નાખી છે. હવે આ મામલે કોર્ટે નાગાલેન્ડ, કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલય પાસે જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે દલીલ સાંભળ્યા પછી કેન્દ્ર અને સંરક્ષણ મંત્રાલયને નોટિસ જારી કરી છે.

કેન્દ્ર સરકારે દોઢ વર્ષ પહેલાં એ સૈનિકો પર કોઈ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે ચોથી ડિસેમ્બર, 2021એ નાગાલેન્ડના મોન જિલ્લામાં એ સૈનિકોએ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, પણ એ અભિયાનમાં  13 સામાન્ય નાગરિકોની હત્યા થઈ હતી. એ ઘટના પછી નાગાલેન્ડ પોલીસે FIR પણ નોંધી હતી.

રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ અરજી દાખલ કરતી વખતે કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે.

આ બાબતે નાગાલેન્ડ સરકારે કહ્યું હતું કે  કેન્દ્ર સરકાર તરફથી તપાસ માટે આવેલી ટીમ દ્વારા ન તો વિશેષ તપાસ ટીમ (રાજ્ય પોલીસ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર ધ્યાન આપ્યું અને ન તો યોગ્ય રીતે તપાસ કરી. તેણે પોતાનો રિપોર્ટ મનસ્વી રીતે તૈયાર કર્યો અને આ સૈન્યના જવાનો સામે કાર્યવાહી ન કરવા આદેશો જારી કર્યા હતો.

શું હતો મામલો?

વર્ષ 2021માં નાગાલેન્ડમાં આર્મીના જવાનો દ્વારા ભૂલથી થયેલા હુમલાના કેસમાં એક અધિકારી સહિત 30 સેનાના જવાનોને આરોપી બનાવવામાં આવ્યા છે. SITની તપાસ દર્શાવે છે કે સૈનિકોએ હુમલા દરમિયાન નિર્ધારિત એસઓપીનું પાલન કર્યું ન હતું, જેના કારણે રાત્રે પીકઅપ ટ્રકમાં ઘરે પરત ફરી રહેલા 13 નાગરિકોના મોત થયા હતા. જેના કારણે ઘણો વિવાદ અને હંગામો થયો હતો.

સુરતમાં પાણી જન્ય રોગચાળાએ માથું ઊંચક્યું..

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. જ્યારે સાર્વત્રિક વરસાદ પગલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. રાજ્યના મહાનગોરમાં વરસાદના આગમન સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઊઠી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. આ અગાઉ 500 કેસ આવતા હતા. જ્યારે વરસાદના આગમન બાદ હાલ લગભગ 700થી વધુ કેસ આવવા લાગ્યા છે.

મળતી માહિતી અનુસાર રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઊઠી રહી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ્યાં પહેલા લગભગ 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા ત્યારે હવે આ કેસ 20 ટકા જેટલા વધીને 700થી વધુ આવી રહ્યા છે.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે. સિવિલની વાત કરીએ અહીં તાવના 45, ગેસ્ટ્રોના 29, ડેન્ગ્યુના 2, મેલેરિયાના 3 અને કોલેરાના એક દર્દીએ સારવાર કરાવી છે. જ્યારે સ્મીમેરમાં તાવના 281, ગેસ્ટ્રોના 115, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 28, કોલેરાના 7, કમળાના 3 અને ટાયફોઈડના 18 દર્દીએ સારવાર લીધી છે.

 

પાકિસ્તાની છોકરાની પર્ફેક્ટ બુમરાહ સ્ટાઈલ બોલિંગ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: નીચેના ટ્વિટર(X) પરના વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાનકડો છોકરો કેટલો પ્રતિભાશાળી છે! હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ આશાવાદી પાકિસ્તાની યુવા બોલર મહોલ્લા ક્રિકેટમાં પણ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેના આઈડોલ જસપ્રિત બુમરાહ જેવી વિશિષ્ટ બોલિંગ એક્શનથી બોલ થ્રો કરી રહ્યો છે. તેની પર્ફેક્ટ બોલિંગ લાઈનના કારણે હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે.

જસપ્રીત બુમરાહ તેની આગવી અને અત્યંત અસરકારક બોલિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે દુનિયાભરના ઘણા ઉભરતા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ પણ છે. જો કે, આ યુવા છોકરાના બુમરાહ જેવી પર્ફેક્ટ બોલિંગ સ્ટાઈલે ક્રિકેટ રસિકો અને ક્રિકેટની રમત સાથે જોડાયેલા લોકોના મન પર એક ચોક્કસ પ્રકારની અસર કરી છે.30 વર્ષીય બુમરાહે ભારતના ટી-20 વર્લ્ડ કપના વિજયી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર શ્રેણી દરમિયાન તેના અસાધારણ પ્રદર્શન માટે ICC તરફથી બુમરાહને પ્રતિષ્ઠિત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. બુમરાહે માત્ર આઠ મેચમાં 15 વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો.આ વાયરલ વીડિયો પરથી બીજી પણ એકવાત સાબિત થાય છે કે કલા અને ખેલકૂદને કોઈ સીમાડા નડતા નથી. તેમની લોકપ્રિયતા દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે. એક પાકિસ્તાની છોકરો બુમરાહનો ચાહક હોય તેનાથી શ્રેષ્ઠ વાત બીજી કોઈ હોય જ ના શકે.આ વીડિયો પર પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર વસીમ અક્રમે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “વાહ છોકરાનો બોલ પરનો કંટ્રોલ અને એક્શન મહાન ખેલાડી બુમરાહ જેવી જ છે. આ વીડિયોને જોઈને મારો દિવસ શ્રેષ્ઠ બની ગયો છે.”

આ અભિનેતાએ મળાવ્યા હતા અનંત અને રાધિકાને, ગિફ્ટમાં 30 કરોડનો બંગલો ?

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અને પ્રસંગ સંબંધિત મહેમાનો સતત ચર્ચામાં રહ્યાં. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરના સૌથી લોકપ્રિય સેલેબ્સ અંબાણી પરિવારના ભવ્ય મેળાવડાનો ભાગ બનતા જોવા મળ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયા પર બોલિવૂડને લગતા પોતાના અનોખા અને વિવાદાસ્પદ દાવાઓને કારણે ચર્ચામાં રહેનાર કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKએ તાજેતરમાં એક નવો દાવો કર્યો છે. તેણે કહ્યું કે જાવેદ જાફરીના પુત્ર, અભિનેતા મીઝાન જાફરીએ રાધિકાનો અનંત સાથે પરિચય કરાવ્યો હતો અને તેના માટે તેને એક મોટી ભેટ પણ મળી હતી!

મુકેશ અંબાણીએ મીઝાનને 30 કરોડ રૂપિયાનો બંગલો ગિફ્ટ કર્યાનો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કમલે લખ્યું, ‘એક્ટર જાવેદ જાફરીનો પુત્ર મીઝાન મુંબઈના સંધુ પેલેસ બાંદ્રામાં રહે છે. કારણ કે મુકેશ અંબાણીએ તેમને 30 કરોડ રૂપિયાનું આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. વાસ્તવમાં મીઝાને રાધિકા મર્ચન્ટની ઓળખાણ અનંત અંબાણી સાથે કરાવી હતી. કંઈ પણ થઇ શકે છે.’

કેઆરકેનો દાવો એવો હતો કે બહુ જલ્દી લોકો તેમાં રસ લેવા લાગ્યા. પરંતુ હવે મીઝાન જાફરીના પિતા વરિષ્ઠ અભિનેતા જાવેદ જાફરીએ KRKની પોસ્ટ પર ટિપ્પણી કરી છે. જાવેદે હસતા ઇમોજી સાથે KRKની પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, ‘કંઈ પણ!’

જાવેદ જાફરીના જવાબ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ KRKની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.એક યુઝરે લખ્યું, ‘KRK હજુ પણ WhatsApp ફોરવર્ડમાં વિશ્વાસ રાખે છે.’ અન્ય એક યુઝરે હસતા ઇમોજી સાથે લખ્યું, ‘તેમની દરેક ટ્વીટ બોલે છે, કંઈપણ થઈ શકે છે.’

મીઝાન અનંત અંબાણીના સારા મિત્ર છે

KRKના દાવાઓ અને તેના પર કરવામાં આવેલા જોક્સ સિવાય, મીઝાન જાફરી વાસ્તવમાં અનંત અંબાણીના સારા મિત્ર છે. તે આખા મહિના દરમિયાન અનંતના લગ્નના તમામ ફંક્શનમાં જોવા મળ્યો હતો. મીઝાને તેની કારકિર્દી નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે આસિસટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કરી હતી. તેણે ભણસાલી સાથે ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પછી, મીઝાને 2019માં ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ ‘મલાલ’થી ડેબ્યૂ કર્યું હતું. તેમજ ગત વર્ષે રિલીઝ થયેલી ‘યારિયાં 2’ પણ મીઝાને મહત્વની ભૂમિકા ભજવી હતી.

CM યોગી સાથે ખટરાગ વચ્ચે કેશવ મૌર્ય નડ્ડાને મળવા પહોંચ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલના સમયે ભાજપ માટે બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. લોકસભા ચૂંટણીમાં મળેલા ઝટકા પછી અંદરનો કલહ ખૂલીને સામે આવી ગયો છે. ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય અને પ્રદેશાધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે.

મૌર્યએ હાલમાં થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે સરકાર અને સત્તાથી મોટું સંગઠન હોય છે. તેમણે નામ લીધા વિના CM યોગી પર નિશાન સાધ્યું હતું. ભાજપનું એક જૂથ ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તનની માગ કરી રહ્યું છે. જેથી UPના રાજકારણમાં ગરમાવો છે. ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ત્રિભુવન રામે કહ્યું હતું કે પાર્ટી દલિતોને પોતાની સાથે જોડવામાં અસફળ રહી છે.વળી, પાર્ટીમાં દબાયેલા સ્વરે કાર્યકરો કહે છે કે કેશવ પ્રસાદ મૌર્યના સંબંધો CM યોગી સાથે ક્યારેય સહજ નથી રહ્યા.

કેશવ મૌર્યે હાલમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે જે તમારું દર્દ છે, એ મારું પણ દર્દ છે અને ભાજપમાં સરકારથી મોટું સંગઠન છે, સંગઠન હતું અને રહેશે. બીજી બાજુ મુખ્ય મંત્રીના નિશાના પર સંગઠન હતું અને એટલે તેમણે અતિ આત્મવિશ્વાસ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોથી કોઈને બેકફૂટ પર જવાની જરૂર નથી.હવે સવાલ એ છે કે લોકસભામાં ઉત્તર પ્રદેશનાં ચૂંટણી પરિણામો હારની જવાબદારી કોની? શું ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં CM યોગી આદિત્યનાથને દૂર કરવાનું જોખમ લેવાની સ્થિતિમાં છે?

NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી!

NEET પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBI ટીમે મંગળવારે આ કેસ સાથે સંબંધિત વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની બિહારની રાજધાની પટના અને હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. પેપર ચોરનાર પંકજ કુમારની પટનાથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજુ સિંહ જમશેદપુરમાંથી ઝડપાયો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, પટનાથી ધરપકડ કરાયેલા પંકજ સિંહે ટ્રંકમાંથી કાગળો ચોર્યા હતા, જે બાદમાં લીક થઈ ગયા હતા. આ સિવાય આદિત્ય ઉર્ફે કુમારે 2017માં NIT જમશેદપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના સહયોગી રાજુએ કથિત રીતે લીક થયેલા પેપરનું વિતરણ કર્યું હતું.

લીકની શરૂઆત હજારીબાગ-સીબીઆઈથી થઈ હતી

હકીકતમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અગાઉ NEET-UG પેપર લીકના મૂળ સ્થળ તરીકે હજારીબાગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સીબીઆઈની તપાસમાં કહેવામાં આવ્યું છે કે આ પેપર હજારી બાગની ઓએસિસ સ્કૂલમાંથી લીક થયું હતું. તેમજ ત્યાં પહોંચેલા પેપરના બે સેટના સીલ તુટી ગયા હતા અને આ મુદ્દો ઉઠાવવાને બદલે શાળાના સ્ટાફે મૌન સેવ્યું હતું. તમને જણાવી દઈએ કે એસબીઆઈ હજારીબાગથી ઘણા કેન્દ્રોમાં પ્રશ્નપત્રોના 9 સેટ મોકલવામાં આવ્યા હતા. જ્યારે ઓએસિસ સ્કૂલ સેન્ટર પર પહોંચેલા પ્રશ્નપત્રનું સીલ તુટી ગયું હતું. ત્યાંના કર્મચારીઓએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, જેમાં તેમની પણ ભૂમિકા હતી.

સીબીઆઈએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની બિહારના નાલંદાથી ધરપકડ કરી હતી, એવું માનવામાં આવે છે કે રાકેશ રંજન NEET પેપર લીક કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને રંજનને પકડવા માટે પટના અને કોલકાતામાં 4 સ્થળોએ દરોડા પાડ્યા. જો કે, સીબીઆઈએ આ કાવતરાનો પર્દાફાશ કરવા માટે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે, જેણે ભારે રાજકીય તોફાન સર્જ્યું છે.

વિવાદો વચ્ચે IAS પૂજા ખેડકર સામે કાર્યવાહી

મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિવાદોમાં ફસાયા બાદ ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીએ મહારાષ્ટ્રમાંથી પૂજા ખેડકરનો ટ્રેનિંગ પ્રોગ્રામ રદ કરી દીધો છે. આ સાથે જ એકેડમીએ તેમને તાત્કાલિક પરત બોલાવવા માટે પત્ર પણ જારી કર્યો છે. એલબીએસએનએએ દ્વારા જારી કરાયેલ આદેશ જણાવે છે કે, તમારા જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમને મુલતવી રાખવાનો અને આગળની જરૂરી કાર્યવાહી માટે તમને તાત્કાલિક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી તમને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી રાહત આપવામાં આવી છે. એકેડેમી ઓફ ધ પત્ર સાથે જોડાયેલ છે. આ સાથે અને તમને શક્ય તેટલી વહેલી તકે એકેડમીમાં જોડાવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ 23 જુલાઈ, 2024 પછી કોઈ પણ સંજોગોમાં નહીં.

પૂજા ખેડકર વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપ છે કે પૂજા ખેડકરે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરીને UPSC પરીક્ષામાં ભાગ લીધો હતો. તેના આધારે તે વિશેષ છૂટ મેળવીને IAS બની. જો તેમને આ છૂટ ન મળી હોત તો મેળવેલા માર્કસના આધારે તેમના માટે આઈએએસનું પદ મેળવવું અશક્ય હતું. પૂજા પર આરોપ છે કે સિલેક્શન બાદ પૂજાને મેડિકલ તપાસ કરાવવી પડી હતી, પરંતુ તેણે તેને સ્થગિત કરી દીધી હતી. તેણે વિવિધ કારણોસર છ વખત તબીબી તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેણે બહારની મેડિકલ એજન્સી પાસેથી MRI રિપોર્ટ સબમિટ કરવાનું પસંદ કર્યું, જેને UPSC એ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે, બાદમાં યુપીએસસીએ આ અહેવાલ સ્વીકાર્યો હતો. જેના કારણે સરકાર આ અંગે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ સિવાય તેની ઉંમરને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. દસ્તાવેજો દર્શાવે છે કે પૂજા ખેડકર દ્વારા 2020 અને ફરીથી 2023માં સેન્ટ્રલ એપેલેટ ટ્રિબ્યુનલને નિવેદનો આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વર્ષનો અંતરાલ હોવા છતાં માત્ર એક વર્ષનો જ વય વધારો દર્શાવવામાં આવ્યો છે. જો કે, ખેડકરે તેની બેન્ચમાર્ક ડિસેબિલિટી સાબિત કરવા માટે કોઈ કસોટીમાંથી પસાર થવું પડ્યું ન હતું. UPSC એ તેમની પસંદગીને સેન્ટ્રલ એપેલેટ ટ્રિબ્યુનલ (CAT) માં પડકારી હતી, જેણે ફેબ્રુઆરી 2023 માં તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ખેડકરે 2020 અને 2023 માટે CAT અરજી ફોર્મમાં પોતાના માટે બેન્ચમાર્ક અપંગતા ધરાવતી વ્યક્તિઓ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ માંગી છે.

2023 બેચની પૂજા ખેડકર પર પુણેમાં પ્રોબેશનરી IAS ઓફિસર તરીકે કામ કરતી વખતે પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પૂજાએ અનેક સુવિધાઓની માંગણી કરી હતી. વાસ્તવમાં, આ સુવિધાઓ તાલીમાર્થી અધિકારીઓ માટે ઉપલબ્ધ નથી, તેમ છતાં પૂજાએ લાલ-વાદળી લાઇટ અને VIP નંબર પ્લેટવાળી તેની અંગત ઓડી કારનો ઉપયોગ કર્યો. તેમના વાહન પર ‘મહારાષ્ટ્ર સરકાર’નું સાઈનબોર્ડ લગાવી સત્તાવાર કાર, રહેઠાણ, ઓફિસ રૂમ અને વધારાના સ્ટાફની માંગણી કરી. એટલું જ નહીં, તેમની ગેરહાજરીમાં સિનિયર ઓફિસરની ચેમ્બર પણ કબજે કરી લીધી હતી. આ તમામ મામલા બાદ પુણેના કલેક્ટર સુહાસ દિવસેએ મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. જે બાદ પૂજાની વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તેઓ ત્યાં મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા છે.

હાર્દિક પંડ્યા શ્રીલંકામાં ODI સિરીઝમાં નહીં રમે

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. T20 શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. જોકે, હાર્દિક પંડ્યા વનડે સિરીઝનો ભાગ નહીં હોય. હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમનો ઉપ-કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રણ મેચની ટી20 શ્રેણી માટે પણ ઉપલબ્ધ છે. તેથી તે કેપ્ટન રહેશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શુભમન ગિલ અથવા સૂર્યકુમાર યાદવ ઉપ-કેપ્ટન બની શકે છે.

તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ આ ફોર્મેટ માટે નવા કેપ્ટનની શોધમાં છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હાર્દિક પંડ્યા ટી20માં ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન રહેશે કે નહીં.

ODI સિરીઝ અંગે અધિકારીએ કહ્યું કે પંડ્યાએ અંગત કારણોસર વિરામ માંગ્યો છે અને નિયમિત કેપ્ટન રોહિત શર્માને તેની જાણ કરી છે. અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભાગ લે.

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે જો ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમે તો તમામ સ્ટાર ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમવું પડશે. જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. BCCI ઈચ્છે છે કે અન્ય તમામ ટેસ્ટ નિષ્ણાતો ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એક મેચ રમે. આ પછી ટીમે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે.

મુકેશ સહાનીએ પિતાની હત્યા પર પ્રથમ પ્રતિક્રિયા આપી

પિતા જીતન સહાનીની હત્યા પર VIP ચીફ મુકેશ સહાનીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સામે વાત કરતા મુકેશ સાહનીએ કહ્યું કે મેં સીએમ નીતિશ કુમાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને લાલુ પ્રસાદ યાદવ સાથે વાત કરી છે. તેમણે મને ખાતરી આપી છે કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

આપણો આત્મા રડે છે: મુકેશ સાહની

મુકેશ સાહનીએ કહ્યું કે તેમના પિતાની ગુનેગારોએ નિર્દયતાથી હત્યા કરી હતી. પપ્પાની એવી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી કે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. તેમનું લોહી અમારા ઘરની દિવાલો પર છે. આ ઘટના અમારા સમગ્ર પરિવાર માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. આપણો આત્મા રડે છે.

મુકેશ સાહનીએ કહ્યું કે આ દિવસ નિષાદ સમુદાય માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાશે, પરંતુ તે આપણને ડરાવી શકે નહીં. અમે બિહાર સરકારને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની વહેલી તકે તપાસ કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે. અંતિમ સંસ્કાર કાર્યક્રમ આજે સાંજે 7 વાગ્યે દરભંગા જિલ્લાના સુપૌલ બિરૌલ માર્કેટમાં થશે. આપ સૌને વિનંતી છે કે આ સમયે અમારા દુઃખમાં જોડાઓ અને તમારી હાજરીથી અમને સાથ આપો.

 

ગૌરી વ્રત માટેના લીલાંછમ જવારા બજારમાં આવી ગયા

અમદાવાદ: અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી અગિયારસના દિવસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની બાળાઓ આ વ્રત કરી અલૂણા ઉપવાસ કરે છે. આ વ્રતમાં સતત પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે. 

  • ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. છાણીયું ખાતર નાંખેલી માટીમાં એક છાબમાં જવારા વાવવામાં આવે છે. એનો સારી રીતે ઉછેર થાય એ માટે રોજ જળનું સિંચન કરાય છે.
  • અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે.
  • વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથી ભગવાન શંકરને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે.

  • કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
  • જુવારનું ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક રીતે આરોગ્ય સંબંધિત મહત્વ ઘણું છે.
  • ગૌરી વ્રતનો છેલ્લો દિવસ એટલે કે પૂનમે ઉપવાસ કરતી બાળાઓ જાગરણ કરે છે.
  • સમગ્ર અમદાવાદ શહેરના માર્ગો પર મંડપો, લારી, ખૂમચાઓ પર એકદમ લીલાછમ જવારા, બાળાઓને પૂજા ઉપવાસ દરમિયાન જરૂરી સામગ્રી ઠેર-ઠેર જોવા મળી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)