Home Blog Page 1602

ટાટા પ્લે અને સોની વચ્ચે કશ્મકશથી બે કરોડ ગ્રાહકોને નુકસાન

નવી દિલ્હીઃ ડિરેક્ટ-ટુ-હોમ (DTH) ઓપરેટર ટાટા પ્લે અને બ્રોડકાસ્ટર સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI)ની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ટાટા પ્લેએ સોનીની ચેનલોના ઓછા દર્શકોની સંખ્યાનો હવાલો આપતાં કંપનીના પેકમાંથી એને દૂર કરવાનું શરૂ કર્યું છે. ટાટાનો તર્ક છે કે SPNIની ચેનલો, જેમાં સોની ટેલિવિઝન પણ સામેલ છે, હવે ટલી લોકપ્રિય નથી રહી.

સોની પિકચર્સ ઇન્ડિયા (SPNI)એ આ પગલાનો વિરોધ કરતાં એને મનમાન્યો ગણાવ્યો છે. ટાટા પ્લેએ અલગ-અલગ ચેનલ પેકથી SPNLની ચેનલોને દૂર કરવાનું શરૂ કરી દીધું છે. એમાં ઓછી જોવાતી ચેનલોને દૂર કરવામાં આવી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ પર ટાટા પ્લેના MD અને CEO હરિત નાગપાલે કહ્યું હતું કે પ્લેટફોર્મ ઓછી જોવાતી ચેનલોને દૂર કરીને ચેનલ પેકને ઠીક કરી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે.

એના પર SPNIનું કહેવું હતું કે આ એક આશ્ચર્યજનક નિર્ણય છે. ટાટા પ્લેનો દર્શકોની સંખ્યામાં ઘટાડો જેવું કારણ ભ્રામક છે. કંપનીએ અંદેશો જણાવ્યો હતો કે આ કે મનઘડંત નિર્ણય છે અને એને કોઈ સૂચના આપ્યા વગર એના ગ્રાહકોની પ્રાથમિકતાઓ પર વિચાર કર્યા વિના લેવામાં આવ્યો છે.

ટાટા પ્લેના CEOએ સોનીની ચેનલોને દૂર કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે એ નિયમો હેઠળ કરવામાં આવ્યું છે અને એનાથી ગ્રાહકોને 5060 રૂપિયાની માસિક બચત થશે. 10 લાખ યુઝર્સમાંથી માત્ર 18,000એ સોની ચેનલોને પરત જોડવા માટે અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

 

Monsoon Update: 24 કલાકમાં 175 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં 2 ઈંચ વધુ નોંધાયો છે. જ્યારે આહવા અને વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ અને વલસાડ અને કપડવંજમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

અમિતાભને જૂના કયા દિવસો યાદ આવ્યા? ભાવુક થઈ કહ્યું મને ઓળખવો….

મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 81 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ રહે છે જેટલા તેઓ તેમના કામમાં હોય છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર પોતાની વાતો શેર કરવાનું ભૂલતા નથી. એવામાં તેમણે સિરિયલ મીડિયા પર એક અનસીન તસવીર શેર કરી છે જે તેના સ્કૂલ સમયની છે, બિગ બીની આ તસવીર લગભગ 70 વર્ષ જૂની છે, જે તેણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. ફોટામાં મેગાસ્ટાર તેના ક્લાસમેટ્સ અને શાળાના શિક્ષક સાથે ફોટો માટે પોઝ આપતા જોઈ શકાય છે.

બિગ બીએ તેમના સ્કૂલના દિવસોનો એક ફોટો શેર કર્યો

અમિતાભ બચ્ચન ગુરુવારે તેમના બાળપણની એક તસવીર શેર કર્યા પછી જાણે યાદોમાં ખોવાઈ ગયા.સ્કાઉટ ડેની ઉજવણી કરવા માટે અભિનેતાએ તેના ચાહકો સાથે તેના કલેક્શનમાંથી એક અનસીન તસવીર શેર કરી, જેમાં તે સ્કાઉટ ડ્રેસ પહેરેલા જોઈ શકાય છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે લખ્યું, “બોય સ્કાઉટ્સના તે સારા જૂના દિવસો… વિશેષ સ્કાર્ફ… બેજ… વિશેષ સલામ… તેના સ્થાપક બેડન પોવેલ અને તેમાંથી કેટલા પાઠ આજે પણ લાગુ કરવામાં આવે છે.”

બ્લોગ પર જૂની તસવીર પણ શેર કરી

ઇન્સ્ટાગ્રામ ઉપરાંત તેણે તેના બ્લોગ પર એક અન્ય તસવીર પણ શેર કરી છે, જેને તે તેના ચાહકો માટે નિયમિતપણે અપડેટ કરે છે. બીજી તસવીરમાં તે તેના ક્લાસના મિત્રો અને શિક્ષક સાથે ગ્રુપ ફોટો માટે પોઝ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બિગ બીને અલ્હાબાદના દિવસો યાદ આવ્યા

તેમણે પોતાના બ્લોગમાં લખ્યું, ‘ઓહ માય ગોડ, તે બીએચએસ, અલ્હાબાદના દિવસો હતા.. અને ઓસ્ટ્રેલિયાના ચીફ ઓફ સ્કાઉટ્સના સૈનિકો અને મુલાકાતીઓ સાથે સ્કાઉટિંગનો અનુભવ અને તેણે સહી કરેલા ઓટોગ્રાફની સંખ્યા કેવી યાદ હતી.. ખુબ જ ઉલ્લેખનીય અને ગંભીર દેખાતા સ્કાઉટ્સની એ તસવીરો… મને ઓળખવો પણ મુશ્કલે છે. જોકે, મને હજી પણ અન્ય સ્કાઉ્ટસ યાદ છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, બિગ બી છેલ્લે પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને તેણે વૈશ્વિક સ્તરે રૂ. 1100 કરોડની કમાણી કરી છે. અભિનેતા હાલમાં તેના લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિની આગામી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.

ગુજરાતમાં 3 વર્ષમાં 189 ઉદ્યોગો સામે પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ નોંધાય..

રાજ્યમાં વધતી પ્રદૂષણની સમસ્યા ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે. ગત ઉનાળામાં જ ગરમીએ લગભગ એક દાયકાના રેકોર્ડ તોડ્યા હતા. પ્રદૂષણના વધતાં પ્રમાણ માટે ઘટતાં જતાં ગ્રીન કવર ઉપરાંત વાહનોની વધતી સંખ્યા અને નિયમની ઐસીતૈસી કરીને ધમધમતા ઉદ્યોગો પણ જવાબદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ મળી છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(CPCB)ને ગુજરાતના ઉદ્યોગોની 2021-22માં 35, 2022-23માં 86 અને 2023-24માં 68 જેટલી ફરિયાદ મળી હતી. 2023-24માં જે રાજ્યમાંથી પ્રદૂષણ ફેલાવવામાંથી સીપીસીબીને સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 87 સાથે મોખરે, ગુજરાત 68 સાથે બીજા, મહારાષ્ટ્ર 61 સાથે ત્રીજા, દિલ્હી 56 સાથે ચોથા, જ્યારે પશ્ચિમ બંગાળ 38 સાથે પાંચમા સ્થાને છે.  દેશમાંથી કુલ 688 ઉદ્યોગોની ફરિયાદ 2023-24માં સીપીસીબીને મળી હતી. એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીમાંથી 2022-23માં 10 ફરિયાદ ગુજરાતમાંથી મળી હતી. જેમાંથી 6 ટેક્સ્ટાઇલ, 3 કાગળ, જ્યારે 1 સુગર ઇન્ડસ્ટ્રીની હતી. 2023-24માં 5 ફરિયાદ ટેક્સ્ટાઇલમાંથી મળી હતી. 2023-24માં કુલ 8 ફરિયાદ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીમાંથી સીપીસીબીને મળી છે. જેમાં ટેક્સ્ટાઇલમાંથી 7નો સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે.

2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશની વાત કરવામાં આવે તો 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે. અનેક ઉદ્યોગો ફક્ત હવામાં જ નહીં પણ તેમનો ઔદ્યોગિક કચરો નદીમાં ઠાલવીને જળાશયમાં પણ પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો સામે માત્ર દંડ નહીં કડક પગલાં પણ લેવામાં આવે તે જરૂરી છે.

ઉલઝઃ પ્રાણ જાયે પર સમજ ન આયે…

આશરે 135 મિનિટની ‘ઉલઝ’ ટેન્શનભર્યા ક્લાઈમેક્સ તરફ જઈ રહી છે તે વખતે એક કેરેક્ટર અચાનક પલ્સ નામની પીપરમીંટ ખાવા માંડે છે ત્યારે એનો સહકાર્યકર કહે છેઃ ‘પ્રાણ જાયે પર પલ્સ ના જાયે.’ કસમથી સિનેમાઈત્હાસમાં આટલું વાહિયાત પ્રોડક્ટ પ્લેસમેન્ટ કમસે કમ મેં તો નથી જોયું. નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટરની ફિલ્મમાં આવો પીપરમીંટ વિશેનો આખ્ખો સીન જોઈને પ્રાણ ગળામાં આવીને અટકી ગયા.

હા, ‘ઉલઝ’ના ડિરેક્ટર સુધાંશુ સરિયાને 2021માં 38 મિનિટની શૉર્ટ ફિલ્મ નૉક નૉક નૉક માટે નેશનલ એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવેલા. હવે એમણે જકડી રાખતી જાસૂસી કથા રજૂ કરવાની ટ્રાય કરી છે. અમુક અંશે એ સફળ પણ થયા છે. ખાસ કરીને ઈન્ટરવલ સુધી. કમનસીબે વેબ સિરીઝ જેવા વિષય પરથી ફિલ્મ ઉતારવા જતાં એ ઉલઝી ગયા છેઃ વેબ સિરીઝમાં દર્શક પાસે ટાઈમ જ ટાઈમ હોય છે પાત્રો, મૂળ કથા, કથાના વિવિધ ફાંટા, વગેરે જાણવા-સમજવાનો.

ફિલ્મમાં જાહ્નવી કપૂર  બની છે તેજસ્વી ડિપ્લોમેટ સુહાના ભાટિયા. પપ્પા વનરાજ ભાટિયા (આદિલ હુસૈન) પણ બાહોશ ડિપ્લોમેટ છે. દાદાની મુત્સદ્દીગીરી વિશે તો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે. આવા પરિવારમાંથી આવતી સુહાનાની યુ.કે.માં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નિમણૂક થાય છે. લંડનમાં મજાનું ઘર, એમ્બેસીની વિશાળ ઑફિસ, ચકચકિચત શોફર-ડ્રિવન કાર, બાહોશ સ્ટાફ… લંડનમાં સ્થિર થયાના ત્રણેક મહિના બાદ એક સાંજે એની મુલાકાત નકુલ (ગુલશન દેવૈયા) નામના યુવાન સાથે થાય છે. એના કહેવા મુજબ એ કુશળ શેફ છે. માંડ દસ-પંદર મિનિટમાં મીઠાબોલો નકુલ સુહાના પર છવાઈ જાય છે. ડ્રાઈવર સલીમ (રાજેશ તેલંગ)નું બૅકગ્રાઉન્ડ ચેક કરતી સુહાના લંડનની નાઈટ લાઈફ જેની સાથે માણવા નીકળી પડે છે એનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાની તસદી લેતી નથી. અહીંથી સમસ્યા શરૂ થાય છે. નકુલ સુહાનાને કહે છે કે “એ તો કૉર્પોરેટ બ્લેકમેઈલર (અને બીજું ઘણું બધું) છે. હવે અમુકતમુક મહત્વની ઈન્ફર્મેશન લાવી આપ નહીંતર…” સુહાના બરાબર ફસાય છેઃ દેશની સલામતી, પોતાની, પપ્પાની આબરૂ, યુનોમાં એમનું પોસ્ટિંગ બધું દાવ પર લાગે છે. એની દેશદ્રોહીનો આરોપ લાગી શકે. કરવું શું?

ધડામ્… ઈન્ટરવલ. પૉપકોર્ન ચાવતાં આપણે વિચારીએ કે હવે મામલો જામશે, પણ નહીં. ઈન્ટરવલ પછી, હવે આ ગૂંચવાડામાંથી બને એટલી જલદી બહાર નીકળી જઈએ એવું વિચારીને લેખક-દિગ્દર્શક (પરવેઝ શેખ-સુધાંશુ) પોતાની સગવડ મુજબ જાતજાતની પરિસ્થિતિ નિર્માણ કરી ફટાફટ બધું આટોપી લે છે, જેમાં ઘણું બધું સામાન્ય પ્રેક્ષકના માથા પરથી પસાર થઈ જાય છે. ઈન્ટરનેટ પર સેંકડો મીમ્સ બન્યા છે એ ‘થ્રી ઈડિયટ્સ’નો ડાયલૉગ છેનેઃ “કેહના ક્યા ચાહતે હો?” બસ, એવું જ. આ જુઓઃ ઓલમોસ્ટ અંતમાં એક કેરેક્ટર બીજાને કહે છે કે “આ બધું શું છે એ તો તમે સમજી જ ગયા હશો?” ત્યારે પેલું કેરેક્ટર ચહેરા પર મૂંઝવણ સાથે ના પાડે છેઃ “કંઈ સમજાયું નહીં.” આવી જ હાલત પ્રેક્ષકની છે.

જાહ્નવી કપૂરની વાત કરીએ તો, એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી કેવી ન હોવી જોઈએ એ જોવું હોય તો એને ‘ઉલઝ’માં જોઈ લેવી. જો કે એના પાત્રાલેખનમાં પણ ઘણા લોચા છેઃ સ્વબળે યુવા ડેપ્યુટી હાઈ કમિશનર બનેલી સુહાનાને સ્ટાફવાળા નેપો-કિડ (લાગવગના જોરે મોટી પોસ્ટ પર બેસી ગયેલી)ના ટોણા સાંભળવા પડે છે. બાપા સાથે પણ એના પ્રોબ્લેમ છે. પપ્પાને એમ છે કે એની વય અને અનુભવ જોતાં આટલી મોટી પોસ્ટ માટે એ લાયક ન ગણાય. સુહાના આંસુ વહાવતાં પપ્પાને કહે છેઃ “તમે મારી પર વિશ્વાસ કરો.” પપ્પા કહે છેઃ “ભલે.” આગળ જતાં એ (ઈન્ડિયન ફોરેન સર્વિસના મોટા પદ પર હોવા છતાં) એવી અને એટલી બધી બેવકૂફી કરે છે કે આપણને થાય- પપ્પા સાચા હતાઃ પાપાની પરી આવા પદ માટે લાયક નહોતી. જાતને પુરવાર કરવાને બદલે સુહાના કોલ્ડસ્ટોરેજમાં ફસાયેલી ‘મિલી’ (2022માં આવેલી એની ફિલ્મ) જેટલી જ નિઃસહાય રહે છે.

જાહ્નવી ઉપરાંત ગુલશન દેવૈયાનું કાસ્ટિંગ પરફેક્ટ છે. આ ઉપરાંત મિયાંગ ચાંગ, જિતેન્દ્ર જોશી, રોશન મેથ્યુ, વિજય તેલંગ, આદિલ હુસૈન, જૈમિની પાઠક પણ સ-રસ.  સસ્પેન્સ જાસૂસી કથાના નામે એક સારાં વિષય-વાર્તાનો ગૂંચવાડો કેવી રીતે બનાવી દેવો એનું આદર્શ ઉદાહરણ ‘ઉલઝ’માં છે.

રાહુલ જાતિ બતાવ્યા વિના જનગણતરી કરાવવા ઇચ્છે છે?:  હિમંત સરમા  

નવી દિલ્હીઃ રાજકીય કોરિડોરમાં લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની જાતિ પર ઘમસાણ મચ્યું છે. ઝારખંડના પાટનગર રાંચીમાં આસામના CM હિમંત બિશ્વ સરમાએ જાતિને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને વેધક સવાલ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પહેલાં રાહુલ ગાંધી પત્રકારોને તેમની જાતિ પૂછતા હતા. હવે જ્યારે લોકો તેમની જાતિ વિશે પૂછે છે, ત્યારે તેમને એનાથી અસહજતા થાય છે. શું જાતિ પૂછ્યા વિના જાતિ જનગણતરી થશે? એવો સવાલ તેમણે કર્યો હતો.

તેઓ જાતિની જન ગણતરી કરાવશે, પરંતુ પોતાની જાતિ નહીં બતાવે. એવું કેવી રીતે બને? આસામ CMએ વધુમાં કહ્યું હતું કે જો જન ગણતરી થશે તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાની જાતિ બતાવવી પડશે.

આ પહેલાં લોકસભામાં મંગળવારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જેમની કોઈ જાત નથી તેઓ જાતિની જનગણતરીની વાત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો રાહુલ ગાંધીની તરફ હતો. જે પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અન્યની જાતિ કેવી રીતે પૂછી શકે છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એને અપમાન ગણાવ્યું હતું.

ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે અને હું તેમનાથી કોઈ માફી નથી ઇચ્છતો. તમે મને જેટલી ગાળો આપવી હોય તો આપો, પણ એ ના ભૂલો કે આ સંસદમાં જાતિ જન ગણતરીને અમે જરૂર પસાર કરીશું.

 

Opinion: જાતિ આધારિત જનગણના થવી જોઈએ?

જાતિ આધારિત વસ્તી ગણતરી ખૂબ ચર્ચિત મુદ્દો છે. જે ઉત્તરોતર સમય પર ઉઠતો રહતો હોય છે. 2011ની વસ્તી ગણતરી દરમિયાન એક સોશિયો-ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ (SECC) આયોગ દ્વારા જાતિ આધારિત માહિતી એકત્ર કરવામાં આવી હતી, પરંતુ તે માહિતી જાહેર કરવામાં આવી નથી. ત્યારે ગત 30 જુલાઈના રોજ વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકોર જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ સામ-સામે આવ્યા હતા. વધતા ઘોંઘાટ વચ્ચે પ્રશ્નનો જવાબ તો ના જ મળ્યો પણ આરોપ પ્રત્યારોપ વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના મુદ્દા પર રાહુલ ગાંધી અડગ જોવા મળ્યા.

આ તમામ ઘટના વચ્ચે પ્રશ્ન એ છે કે શું જાતિ આધારિત વસ્તી ગણતરી ભારત માટે કેટલી યોગ્ય છે.? જોઇએ, સમાજને અલગ-અલગ રીતે જોતા નિષ્ણાતોના અભિપ્રાય..

ઘનશ્યામ શાહ, જાણીતા સમાજશાસ્ત્રી

આ બાબતે મારા બે મત છે. પહેલા તો કેમ થવી જોઈએ એ બાબતે વાત કરું તો, 70 વર્ષ પછી પણ આ દેશમાં કઈ જ્ઞાતિઓ પાસે સંપત્તિ અને સત્તા વધ્યા છે એની ખબર પડે. મારા મત મુજબ અપર કાસ્ટે સત્તા અને સંપત્તિનું કોન્સન્ટ્રેશન કર્યું છે. આ બાબત વધારે ઉજાગર થાય એ માટે જાતિ ગણતરી કરવી જોઈએ.

જોકે આ નિર્ણયથી જ્ઞાતિઓમાં ભાગલા પડી જવાની શક્યતા વધી જશે, અને જો જ્ઞાતિમાં ભાગલા પડી જશે તો રાજકીય પાર્ટીને લાભ થઈ શકે. બીજી એક વાત એ પણ છે કે આનાથી જ્ઞાતિમાં તણાવ વધતો જશે. જ્યારે બીજી બાજુ કોઈ પણ જગ્યા પર આપણ જઈએ ત્યારે જાતિ એક વૈકલ્પિક પ્રશ્ન છે. એક જ્ઞાતિની અંદર પણ અલગ-અલગ કેટલાક સમાજ હોય છે. જ્યારે એક સમાજને એકત્ર કરવાની વાત આવે ત્યારે આ સમાજની અંદર અલગ અલગ સમાજ સમજાય. હું ખાતરીપૂર્વક ના કહી શકું, પરંતુ આ નિર્ણય લેવો આકરો છે જેનો કોઈ દિવસ ઉકેલ આવી શકે તેમ નથી.

અલકેશ પટેલ, સામાજિક નિષ્ણાત

જાતિ આધારિત વસ્તી ગણતરી ના થવી જોઈએ. આ એક ભાગલાવાદી વાત છે. ઉદાહરણ દ્વારા સમજાવું તો એક નાની ઓફિસમાં 10થી 15 લોકો એક સાથે કાર્યરત હોય, અને તેમાં કામ, પગાર અને વ્યવસ્થા જ્ઞાતિ જોઈ નથી આપી શકાતું. એ જ રીતે દેશમાં પણ બધા માટે બધી વસ્તુ સમાન હોવી જ જોઈએ. હા, દેશમાં શિક્ષણ, મહેનતના આધારે સામાજિક દરજ્જા આગળ કે પાછળ હોય શકે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગણીનો આશય એ જ છે કે લોકોની જેટલી સંખ્યા એટલા રિસોર્સ આપવા. આ નિર્ણય બાદ જે લોકોની બહુમતી હોય, તેવા લોકો મહેનત ઓછી કરશે, કેમ કે એ લોકોને ખબર છે કે તેમની સંખ્યા વધારે છે અને તેમને રિસોર્સ મળવાના છે. જ્યારે બીજી બાજુ અલ્પ સંખ્યા ધરાવતા લોકોમાં વધુ મહેનત કરવા છતાં રિસોર્સ ઓછા આવવાથી નકારાત્મક વૃતિ ફેલાશે. આ એક સામ્યવાદી વિચારધારા છે.

સંગીતા પટેલ, જાણીતા સમાજ શાસ્ત્રી

અત્યારના સમાયમાં ભારતની આગવી વિશેષતા જ્ઞાતિ છે. જ્ઞાતિ આધારિત માળખું ધીમે-ધીમે બદલાયું છે. વિકાસ માટે જોવા જઈએ તો, જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિ હોય છે. જેને સરકારી યોજનાઓનો લાભ મળી શકતો નથી. એ જ્ઞાતિ માટે પણ અમુક રિઝર્વેશન હોવા જોઈએ. વિચરતી પછાત જાતિઓ સુધી સરકારી યોજનાના લાભ પહોંચ્યા નથી. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો સરકારી લાભ પહોંચાડવા ઉપરાંત પણ વિકાસને પણ વેગવંતુ બનાવી શકો. હાલના સમયમાં દરેક જ્ઞાતિનું પોતાનું એક જૂથ એક બંધારણ હોય છે. જેમાં કુરિવાજો સહિતની વસ્તુઓ ધીમે-ધીમે નાબુદ થાય છે. ઉપરાંત આ નિર્ણય લાગુ થવાથી દરેક સમાજના વિકાસને વેગવંતુ બનાવવામાં મદદરૂપ બનશે. જો દરેક નાનાથી નાના સમાજની સંખ્યા આપણી પાસે હશે, તો આપણે સરકારી યોજાના તેમના સુધી સારી રીતે પહોંચાડી શકાશે. આ ઉપરાંત રાજકારણમાં જોઈએ તો, લોકસભા ચૂંટણીમાં પણ જ્ઞાતિઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થશે સંખ્યાત્વ સાથે ગુણાત્મ પરિણામ પણ મળશે.

ઉમંગ સરવૈયા, એડવોકેટ અને નોટરી

વ્યક્તિગત રીતે હું એવુ માનું છું કે જાતિગત જનગણના ન થવી જોઈએ. આપણા દેશમાં અલગ-અલગ ધર્મના જુદી-જુદી જાતિના લોકો વસે છે. જેથી લોકોની જનસંખ્યા વધુ હશે તેનું પ્રભુત્વ વધી જશે. જ્યારે બીજી બાજુ નાની સંખ્યા ધરાવતા સમાજનો અવાજ કોઈ નહીં સાંભળે. આ ઉપરાંત જો જાતિ આધારિત વસ્તી ગણતરી લાગુ થશે, તો મોદી સરકારના ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના નારાનો વિરોધાભાષ ઉભો થશે. આપણા દેશના બંધારણમાં પણ લોકોને ધર્મ કે જાતિના આધારે જોતું નથી, તે માત્ર ભારતના નાગરિક તરીકે જ લોકોને જોવે છે. જાતિ આધારીત જનગણના હોવાથી વર્ગ વિગ્રહ થવાની સંભાવના વધી જશે. ત્યારે કેટલીક જ્ઞાતિ એવી છે કે, જે ગુજરાતમાં OBCમાં છે પરંતુ બીજા રાજ્યમાં SC, ST, OCમાં હોય શકે. આ નિર્ણયથી અલ્પ સંખ્યા ધરાવતા સમાજને ન્યાય મળવાની સંભાવના પણ ઘટી જશે, જેથી જાતિ આધારિત જનગણના ન થવી જોઈએ.

ડિમ્પલ વરિંદાની, પ્રેસિડેન્ટ, હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ

જાતિ આધારિત ગણતરી ના થવી જોઈએ. દેશના તમામ નાગરિકો ભારતીય છે. મારા મત પ્રમાણે દેશના નાગરિકોની ગણતરી થવી જોઈએ, ન કે લોકોના જ્ઞાતિ. આપણે જ આપણા દેશમાં જ્ઞાતિ નામની લકીર બનાવી રહ્યા છીએ. જ્યારે આપણે દેશ આઝાદ થયો ન હતો, ત્યારે આપણા દેશમાં જ્ઞાતિવાદ વધુ હતો. આજે આપણો દેશ આગળ વધી રહ્યો છે. એજ્યુકેટેડ લોકોની સંખ્યા વધી રહી છે. આજે ST, SC, OBC હોય તમામ પાસે ભણતર હોય છે. આપણે આપણી સિસ્ટમમાં સમાનતા લાવવા જોઈએ. આપણી આવનાર પેઢીને આ જ્ઞાતિવાદથી બચાવવી જોઈએ.

 

(તેજસ રાજપરા-અમદાવાદ)

ED મારા પર રેડની તૈયારી કરી રહી છે, રાહુલ ગાંધીનો મોટો દાવો

નવી દિલ્હી: વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, EDની નજર હવે તેમના પર છે. રાહુલે તે પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આવું એટલા માટે થશે કારણ કે બે લોકોને મારું ભાષણ પસંદ નથી આવ્યું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, સંસદમાં આપેલા ચક્રવ્યુહવાળું ભાષણ અમુક લોકોને પસંદ આવ્યું નથી. જેને લઇને હવે ઇડીની નજર મારા પર છે. EDના એક આંતરિક સૂત્રએ મને જણાવ્યું છે કે, આ કારણોસર દરોડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહુલે EDને ટેગ કરીને લખ્યું કે, ‘મારા તરફથી ચા અને બિસ્કિટ, તમારું હાર્દિક સ્વાગત છે.’

Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.

બજેટ પરના ભાષણમાં રાહુલે મહાભારતનો ઉલ્લેખ કરતા ચક્રવ્યુહની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે સમયે અભિમન્યુ ચક્રવ્યૂહમાં 6 લોકોની વચ્ચે ફસાઈ ગયો હતો. એ જ રીતે, 21મી સદીમાં પણ ભારત વિરુદ્ધ આવું જ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના ખેડૂતોને ફસાવવામાં આવી રહ્યા છે.વધુમાં કહ્યું કે, આ ચક્રવ્યુહ પણ 6 લોકો દ્વારા નિયંત્રિત છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, મોહન ભાગવત, અદાણી અને અંબાણીનો સમાવેશ થાય છે. જ્યારે મેં વધુ અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે ચક્રવ્યૂહને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે જેનો અર્થ કમળ જેવી રચના થાય છે. જે ભાજપ પક્ષનું મુખ્ય ચિહ્ન છે, જેને વડાપ્રધાન પોતાની સાથે લઈને ચાલે છે. આ પ્રકારની ટિપ્પણી રાહુલ ગાંધીએ બજેટ પરના પોતાના ભાષણમાં કરી હતી.

પેરિસ ઓલિમ્પિક 2024: 58 વર્ષે ડેબ્યુ કરનાર મહિલા ખેલાડી ઝેંગ કોણ છે?

પેરિસ ઓલિમ્પિક 2024માં ઘણા ખેલાડીઓએ ભાગ લીધો છે. કેટલાક ખૂબ જ નાના છે, જ્યારે કેટલાક એથ્લેટ એવા છે જેમની ઉંમર દરેકને સલામ કરવા મજબૂર કરે છે. આ વખતે 58 વર્ષીય મહિલા ખેલાડીએ ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું હતું અને તેની વાર્તા દરેક માટે પ્રેરણાદાયી છે.

આ મહિલાનું નામ ઝિઇંગ ઝેંગ છે, જે ટેબલ ટેનિસ ખેલાડી છે. ઝિઇંગ ઝેંગે તેની રમતગમત કારકિર્દીની શરૂઆત ચીન તરફથી રમીને કરી હતી, જ્યાં તેણે પોતાની પ્રતિભાના આધારે ઘણી સફળતાઓ હાંસલ કરી હતી. ઝેંગ ઝિઇંગે 58 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યુ હતું.

વાસ્તવમાં, ટેબલ ટેનિસ ખેલાડી ઝિઇંગ ઝેંગનો જન્મ 1966માં ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં થયો હતો. તેમની માતાએ તેમને બાળપણમાં કોચિંગ આપ્યું હતું અને ટેબલ ટેનિસ માટેની તેમની પ્રતિભા શરૂઆતમાં ઉભરી આવી હતી. જ્યારે તેણી 11 વર્ષની હતી, ત્યારે તેણીને બેઇજિંગમાં જુનિયર એલિટ ટીમ માટે પસંદ કરવામાં આવી હતી. 1983 સુધીમાં ઝિઇંગ ઝેંગ ચીનની રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટીમનો ભાગ બન્યા અને તેણે ઓલિમ્પિકમાં રમવાનું સપનું જોયું.

પરંતુ 1986માં અમલમાં આવેલ “દો રંગ નિયમ” એ તેની રમતમાં અવરોધ ઉભો કર્યો અને તેને રાષ્ટ્રીય ટીમ છોડવી પડી. ત્યારબાદ 1989 માં એક ચાઇનીઝ કોચે તેને ચિલીમાં શાળાના બાળકોને ટેબલ ટેનિસ શીખવવાની નોકરીની ઓફર કરી. ત્યાર બાદ ઝિઇંગ ઝેંગે ચીન છોડીને ચિલીમાં સ્થાયી થવાનું નક્કી કર્યું અને ત્યાં ચીની ચીજવસ્તુઓ આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો.

2002 માં, તેણે તેના પુત્રની વિડિયો ગેમની આદતને દૂર કરવામાં મદદ કરવા માટે ફરીથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને સ્થાનિક ટુર્નામેન્ટ જીતી.

38 વર્ષની નિવૃત્તિ બાદ ઝિયિંગે ટેબલ ટેનિસમાંથી પુનરાગમન કર્યું હતું. COVID-19 રોગચાળા દરમિયાન તેણે તેના ઘરે એકલા ટેબલ ટેનિસ રમીને પોતાનો જુસ્સો જીવંત રાખ્યો. જ્યારે લોકડાઉન સમાપ્ત થયું, ત્યારે તેણે સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લીધો. 2023 સુધીમાં તે દેશની ટોચની મહિલા ખેલાડી બની અને ચિલીની રાષ્ટ્રીય ટીમ માટે ક્વોલિફાય થઈ.

આખરે પેરિસ ઓલિમ્પિક સુધી પહોંચી 58 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો. જો કે, તેનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું પરંતુ આટલી ઉમંરે સાહસ કરી જુસ્સા સાથે મેદાનમાં ઊતરવું એ જ મોટી જીત અને મેડલ સમાન છે.

 

ફરી નહીં લેવાય NEETની પરીક્ષા, સુપ્રીમનો મોટો ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ NEET પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. NEET પેપર લીક પર ચુકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. તેમ છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભવિષ્યમાં ફરી આ પ્રકારની કોઈપણ ઘટના ન બને તે માટે કાળજી રાખે. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. સુપ્રીમ કોર્ટ NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવે છે. 23મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે NEETની ફરીથી પરીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે આગામી દિવસોમાં આ અંગે વિગતવાર આદેશ આપશે.

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કોઈ સિસ્ટમેટિક ફેલિયર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે. જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.એ આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવેથી પેપરને ઓપન ઈ-રિક્ષામાં લઈ જવાની જગ્યાએ રિયલ ટાઈમ ઈલેક્ટ્રોનિક લૉક સિસ્ટમ સાથે બંધ વાહનમાં મોકલવાની વ્યવસ્થા પર વિચારવામાં આવે. સમિતિ વિદ્યાર્થીઓની માનસિક હાલતમાં સુધારો કરવાના કાર્યક્રમની યોજનાઓ અંગે ભલામણ કરે. આ સાથે વિદ્યાર્થીઓ પર થયેલી માનસિક અસરનું આકલન પણ કરે. આ સાથે સમિતિને એનટીએના સભ્યો, પરીક્ષકો, કર્મચારીઓ વગેરેની ટ્રેનિંગની વ્યવહારિતા પર વિચાર કરવાનું સૂચન કરાયું. જેથી પરીક્ષાની અખંડતાને સારી રીતે સંભાળી શકાય.