Home Blog Page 1509

શું શિમલાની ગેરકાયદે મસ્જિદ પર ચાલશે બુલડોઝર?

શિમલાઃ રાજ્યના શિમલાના સંજૌલી વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદ પર શું બુલડોઝર ચાલશે? હવે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ વધી ગયો છે. હિન્દુ સંગઠનોના લોકો અહીં એકઠા થયા હતા અને માર્ચ કાઢી હતી. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખાં નિવેદનો શરૂ થયાં છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે.

રાજ્ય સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે પણ આ બાંધકામને લઈને સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.  હિંમત સાથે તેમણે વિધાનસભામાં આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ લીધું, તેના સમર્થનમાં સત્તાધારી પક્ષ કરતાં વધુ વિપક્ષ જોવા મળ્યો હતો. આ મુદ્દે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા છે. ગેરકાયદે બાંધકામના આ મામલાને કારણે રાજ્યમાં રસ્તાઓથી લઈને વિધાનસભા સુધી હોબાળો થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનોએ આ મામલે હવે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં કહ્યું હતું કે સંજૌલીના બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે હું પોતે ત્યાં કરવામાં આવી રહેલી અભદ્ર ટિપ્પણીઓનો સાક્ષી છું. તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આ સાથે જ લવ જેહાદનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જેને તેમણે દેશ અને રાજ્ય માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.

અનિરુદ્ધ સિંહે ઓવૈસીના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે મંદિર અને મસ્જિદ ખાનગી સંપત્તિ નથી. અહીં કાયદેસર અને ગેરકાયદેની વાત છે.

સિક્કિમમાં સેનાના વાહનનો અકસ્માત, 4 જવાનોના મૃત્યુ

સિક્કિમમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતનો શિકાર બન્યું છે. જેમાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ક રૂટ પર જુલુક જઈ રહ્યું હતું. આ દરમિયાન વાહન રસ્તાથી 300 ફૂટ નીચે પડી ગયું હતું. અકસ્માતની માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ગયા વર્ષે પણ લદ્દાખમાં આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. ઓગસ્ટમાં ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત લેહ નજીક ક્યારી ગામમાં થયો હતો. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 9 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં એક JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર) પણ હતા.

સેનાના કાફલામાં ત્રણ વાહનો હતા

સેનાના કાફલામાં ત્રણ વાહનો સામેલ હતા. જે પૈકી એક વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ કાફલામાં 3 આર્મી ઓફિસર, 2 જેસીઓ અને 34 સૈનિકો હતા. 3 વાહનોના કાફલામાં 1 જીપ્સી, 1 ટ્રક અને 1 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, કિલેહ પાસે દુર્ઘટનામાં સેનાના જવાનોના મોતથી તેઓ દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

સેબી ચેરપર્સન માધબી પુરી બુચની મુશ્કેલીમાં વધી, સહકર્મીઓએ કર્યો વિરોધ

માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચના વિવાદોમાં શેરબજારની જેમ તેજીનો તરખાટ ચાલી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી હિન્ડનબર્ગ, કોંગ્રેસ, સહકર્મચારીઓ સહિત માધબી પુરી બુચ ચોતરફા ફસાયા જેવી પરિસ્થિતી ઉદ્દભવી છે સેબીના કર્મચારીઓએ આજે સેબીના હેડ ક્વાર્ટર ખાતે માધબી વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. તેમજ તેના ખરાબ વર્તનના કારણે રાજીનામું આપવાની માગ કરી હતી.

સેબી દ્વારા ગતરોજ બુધવારના દિવસે માધબી પુરી બુચના દુર્વ્યવહારનો દાવો ખોટો ઠેરાવ્યો હતો. જેની વિરૂદ્ધ આજે કર્મચારીઓએ દેખાવો કરી સંકેત આપ્યો હતો કે, “આ વિરોધ પ્રેસ કોન્ફરન્સની આડમાં સશસ્ત્ર સજ્જ ટોચના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી કવાયત સામે અસંમતિ અને એકતા દર્શાવવાના હેતુથી છે.” આજે મુંબઈમાં સેબીની ઓફિસ સમક્ષ 200 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદશનો કર્યા હતા. સેબીના કર્મચારીઓએ થોડા કલાકો સુધી દેખાવો કર્યા બાદ પાછા ઓફિસમાં કામ પર લાગ્યા હતા. સેબીના કર્મચારીઓએ સેબી સમક્ષ તાત્કાલિક ધોરણે સેબીના કર્મચારીઓ વિરૂદ્ધ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા હોવાની પ્રેસ રિલિઝ પાછી ખેંચી લેવા અને માધબીનું રાજીનામું લેવા માગ કરી છે. સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઈક્રોમેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બીજી બાજુ પ્રેસ રિલિઝમાં સેબીએ જણાવ્યું હતું કે સેબીના વડા વિરૂદ્ધ કરવામાં આવેલા દાવાઓ ઊંચા પગાર ભથ્થાની માંગ અને હાંસલ કરેલા લક્ષ્યોની ખોટી જાણ તથા નિર્ણય લેવામાં વિલંબના કારણે થઈ રહ્યા છે. કેટલાક “બહારના તત્વો” એ તેના કર્મચારીઓને ઉશ્કેર્યા હતા કે તેમના પર કામગીરી અને જવાબદારીનું ઉચ્ચ ધોરણો સાથે પાલન કરવાનું દબાણ હોવુ જોઈએ નહીં. જો કે, સેબીએ આ બહારના તત્વો વિશે કોઈ માહિતી આપી નથી.

કોને-કોને મળશે અમિતાભ બચ્ચનની મિલકત?

મુંબઈ: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. આ શો દ્વારા તે દરરોજ તેના ચાહકોને મળે છે અને સતત કંઈક ને કંઈક શેર કરે છે. પરંતુ આ દિવસોમાં બચ્ચન પરિવાર અન્ય કારણોસર પણ ચર્ચામાં છે, જેના કારણે તેમના પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની અટકળો ચાલી રહી છે. આ વાતને ત્યારે વધારે વેગ મળ્યો જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણીના લગ્નમાં પરિવાર સાથે નહીં પરંતુ બાદમાં પુત્રી આરાધ્યા સાથે પોઝ આપવા આવી હતી. જે બાદ છૂટાછેડાના સમાચાર વધી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે એશ્વર્યા રાય જલસો પહોંચી હોવાની પણ ખબર હતી.

 (Photo: IANS)

આ તમામ સમાચારો વચ્ચે અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીને લઈને ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે. બિગ બીની પ્રોપર્ટી કોને-કોને મળશે તે જાણવું ચાહકો માટે રસપ્રદ રહેશે. આ ઘટના વર્ષ 2011ની છે. અમિતાભ બચ્ચને રેડિફને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે પોતાની પ્રોપર્ટીની વહેંચણી અંગે ખુલાસો કર્યો હતો. બિગ બીએ આ જ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,’મેં એક વાત નક્કી કરી છે કે હું તેમની વચ્ચે ભેદભાવ નહીં કરું. મારા મૃત્યુ પછી પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા વચ્ચે મિલકત અડધા ભાગમાં વહેંચવામાં આવશે, મારી પત્ની જયા પણ આ નિર્ણયમાં સામેલ છે. જયા અને મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે અમારી મિલકતના બે ભાગ હશે.જે પુત્રી અને પુત્રને સમાનરૂપે આપવામાં આવશે.’

અભિનેતાએ આગળ કહ્યું,’લોકો કહે છે કે દીકરીઓ કોઈની સંપત્તિ છે, તેઓ તેમના પતિના ઘરે જાય છે. પરંતુ મારી દ્રષ્ટિએ અમારી એક પુત્રી છે અને તો પણ તેના પર અમારા પુત્ર અભિષેક જેટલો જ અધિકાર છે. અમિતાભ બચ્ચનના ઈન્ટરવ્યુ પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે મિલકતના એકસરખા બે ભાગ પડશે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ 2022-2023માં જયાની કુલ સંપત્તિ 1 કરોડ 63 લાખ 56 હજાર 190 રૂપિયા છે. જ્યારે અમિતાભ બચ્ચનની સંપત્તિ 273 કરોડ 74 લાખ 96 હજાર 590 રૂપિયા છે. બંનેની જંગમ સંપત્તિ 849.11 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 729.77 કરોડ રૂપિયા છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં ત્રણ દેશો મધ્યસ્થી કરી શકેઃ પુતિન

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ જારી છે. બંને તરફથી થયેલા હુમલામાં અનેક લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક જણ ઘાયલ થયા છે. જોકે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે રશિયાની સંભવિત વાર્તામાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થ ભૂમિકા ભજવી શકે છે.

પુતિને ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં કહ્યું છે કે અમારો મુખ્ય ઉદ્દેશ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં કબજો લેવાનો હતો. રશિયાની સેના કુર્સ્કથી યુક્રેની સેનાને પાછળ ખદેડી રહી છે. વડા પ્રધાન મોદીએ હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનની અને એના પહેલાં રશિયાની મુલાકાત લીધી હતી. PM મોદીની એ મુલાકાત ઘણી મહત્ત્વની હતી અને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય છે.

એ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે યુક્રેનને સમય બગાડ્યા વિના શાંતિની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઉકેલનો માર્ગ ચર્ચા અને કૂટનીતિથી જ આવે છે. આ દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સકીને આ કહેતાં પહેલાં PM મોદીએ પણ તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદની ખાતરી આપી હતી.

આમે ભારત સતત રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવા માટે શાંતિની અપીલ કરી રહ્યું હતું. ભારત આ મામલે શાંતિના પક્ષમાં હતું. PM મોદીએ બંને દેશોની વચ્ચે સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

પુતિને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તંબૂલમાં પ્રારંભિક સમજૂતી થઈ હતી, જે ક્યારેય લાગુ ના થઈ શકી. તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેની સેનાની ઘૂસણખોરીનો ઉદ્દેશ ડોનબાસમાં રશિયાને આગળ વધતા અટકાવવાનો હતો, એ પણ તેઓ સફળ ના થઈ શક્યા.

રશિયા-યુક્રેન યુદ્ધ?

ફેબ્રુઆરી, 2022થી રશિયા-યુક્રેન જારી છે. આ યુદ્ધને કારણે બંને બાજુ ભારે જાનમાલનું નુકસાન થયું છે.

 

હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ ભારે વરસાદ આગાહી

દેશભરમાં મુશળધાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે ગુરુવારે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશમાં આજે અને પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ પછી તે ઘટશે.

પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોની વાત કરીએ તો 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત છત્તીસગઢમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાનો છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 10 સપ્ટેમ્બર, ગોવામાં 5 થી 10 સપ્ટેમ્બર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 થી 6 સપ્ટેમ્બર, ગુજરાતમાં સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડશે. 5 થી 8, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં 6 થી 8 સપ્ટેમ્બર, પૂર્વ મધ્ય પ્રદેશમાં 5 સપ્ટેમ્બર અને વિદર્ભમાં 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, કોસ્ટલ કર્ણાટકના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. તેમાંથી 5 સપ્ટેમ્બરે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ પડશે, જ્યારે કેરળમાં 8-11 સપ્ટેમ્બરે માહે, 6-8 સપ્ટેમ્બરે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં, 5થી 8 સપ્ટેમ્બરે તેલંગાણામાં, કોસ્ટલ કર્ણાટકમાં 5 થી 9 સપ્ટેમ્બર. સપ્ટેમ્બરના મધ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

પૂર્વીય અને ઉત્તર-પૂર્વ ભારત માટે, હવામાન વિભાગ કહે છે કે ઓડિશા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડમાં વરસાદી મોસમ ચાલુ રહેશે. અરુણાચલ પ્રદેશમાં 5 સપ્ટેમ્બરે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, 11 સપ્ટેમ્બરે ત્રિપુરા, 7 સપ્ટેમ્બરે આસામ, મેઘાલય, 7 અને 8 સપ્ટેમ્બરે ઓડિશામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં આગામી સાત દિવસ ભારે વરસાદ, બિહારમાં 5 અને 6 સપ્ટેમ્બર, ઝારખંડમાં 7-9 સપ્ટેમ્બર, ઓડિશા, અરુણાચલ પ્રદેશમાં 5-9 સપ્ટેમ્બર ભારે વરસાદ થઈ શકે છે. 5, 6, 10 અને 11 સપ્ટેમ્બરે થશે.

ઉત્તર-પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરાખંડમાં 5 અને 6 સપ્ટેમ્બર અને પૂર્વ રાજસ્થાનમાં 5 થી 7 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તરાખંડમાં 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેશે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 5 સપ્ટેમ્બર, 5 થી 6 સપ્ટેમ્બર, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 5 થી 7 સપ્ટેમ્બર, પશ્ચિમ રાજસ્થાનમાં 5 થી 7 સપ્ટેમ્બર અને પૂર્વ રાજસ્થાનમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

નવી ઇનિંગ : રવીન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેણે નવી ઇનિંગ શરૂ કરી છે. તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના સભ્ય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પણ બન્યા છે. જાડેજાનું ભાજપમાં જોડાવું આશ્ચર્યજનક નથી કારણ કે તેઓ ઘણી વખત તેમની પત્ની સાથે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારમાં સક્રિય રીતે સામેલ હતા અને ઘણા રોડ શોમાં ભાગ લીધો હતો. રિવાબા જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાતા તેમની રાજકીય ભાગીદારી વધુ મજબૂત બની છે.

ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું, અનેક રસ્તાઓ જળમગ્ન

મહેસાણા: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ગુરૂવાર સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 2.16 ઇંચ,  મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.41 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં આવેલી કાવેરી શાળામાં પાણી ભરાતાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ધોરણે શાળાના બાળકો અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં  પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ પાલનપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસતાં શહેર અને પંથકના અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે અને ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાતાં લોકોની હાલાકી વધી છે. વરસાદના કારણે પાલનપુર-અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુર-અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ભારે વરસાદ વરસાદના પગલે મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ 63.09 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક હાલમાં 11,667 ક્યુસેક છે. ડેમની હાલની પાણીની સપાટી 611.46 ફૂટ (186.376 મીટર) પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને પુતિનની મોટી જાહેરાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેન સાથે રશિયાની સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, જો કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ વિસ્તારને કબજે કરવાનો છે. રશિયન સૈન્ય ધીમે ધીમે કુર્સ્કથી યુક્રેનિયન સૈન્યને પાછું ખેંચી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેન અને તે પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી અને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.

શું પીએમ મોદીની રશિયા મુલાકાતે શાંતિનો માર્ગ ખોલ્યો?

પીએમ મોદી જુલાઈ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. તેમની આ મુલાકાત નાટો સમિટ વચ્ચે થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીના રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવતી તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યાદ અપાવ્યું હતું કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી આવતો.

Bishkek: Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin on the sidelines of the SCO Summit in Bishkek, Kyrgyzstan on June 13, 2019. (Photo: IANS/PIB)

આ દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કર્યા હતા. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તેમની મુલાકાતથી નારાજ હતા અને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

અરવિંદ કેજરીવાલને આજે પણ જામીન ન મળ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સીબીઆઈ અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આગામી બે દિવસમાં લેખિત દલીલો રજૂ કરવામાં આવે. અમે તમને મંગળવારે મળીશું. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તે મંગળવારે કેજરીવાલની અરજી પર જામીન અને ધરપકડ પર ચુકાદો આપશે. અરજીમાં કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને પડકારી છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. સીબીઆઈએ કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો છે. કેજરીવાલના જામીન સામે તપાસ એજન્સીએ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે કેજરીવાલની અરજીમાં કોઈ યોગ્યતા નથી. અરજદારો કેસને રાજકીય રંગ આપવા માંગે છે.