કોણ છે જ્યોતિ મલ્હોત્રા? ટ્રાવેલ બ્લોગરથી પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ સુધી!

નવી દિલ્હી: જાણીતી ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ હેઠળ 17 મે, 2025ના રોજ હરિયાણાની હિસારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને સંવેદનશીલ માહિતી શેર કરી હતી. તેણે આ માહિતી WhatsApp, Telegram અને Snapchat જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મોકલી હતી.જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારની રહેવાસી છે. તે યૂટ્યુબ ચેનલ “Travel with JO” ચલાવતી હતી. તેણે ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે, જેમાં પાકિસ્તાન, ભૂતાન, ઈન્ડોનેશિયા અને ચીનનો સમાવેશ થાય છે. જ્યોતિએ પોતાની યુટ્યૂબ ચેનલમાં પાકિસ્તાનની મુસાફરી દરમિયાન શૂટ કરેલા “Indian Girl in Pakistan”, “Indian Girl Exploring Lahore” અને “Indian Girl at Katas Raj Temple” જેવા વિડીયો પણ અપલોડ કર્યા હતા.

જ્યોતિની ઉંમર 33 વર્ષની છે. તેમનું ઘર હિસારની ન્યૂ અગ્રસેન કોલોનીમાં છે. તેણે બી.એ.નો અભ્યાસ કર્યો છે. તે સિંગલ છે અને મોટે ભાગે દિલ્હીમાં રહે છે. પહેલા તે ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, પરંતુ કોવિડ દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પછી તે બ્લોગર બની ગઈ. જ્યોતિનો પાસપોર્ટ 22 ઓક્ટોબર 2018ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે 21 ઓક્ટોબર 2028 સુધી માન્ય છે.

મળતી માહિતી અનુસાર, જ્યોતિએ વર્ષ 2023માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. હાઇ કમિશન દ્વારા વિઝા મેળવ્યા બાદ તેણે આ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન, જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી હતી, જેની સાથે તેના ગાઢ સંબંધો થઈ ગયા. દાનિશ દ્વારા, જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો, જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શાહબાઝ હતા. તેણે આ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્ક નંબર “Jatt Randhawa” જેવા નામોથી સેવ કર્યા હતા, જેથી શંકા ન ઊભી થાય. તેણી પર ભારતના સત્તાવાર ગુપ્તચર અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ કેસના અનુસંધાનમાં, ઓડિશાના પુરીની યૂટ્યુબર પ્રિયંકા સેનાપતિ પણ તપાસના ઘેરામાં આવી છે, કારણ કે તેણી જ્યોતિ સાથે સંપર્કમાં હતી અને બંનેએ સાથે યાત્રા પણ કરી હતી. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ, ભારતીય ટ્રાવેલ વ્લોગર્સ અને ઈન્ફ્લુએન્સર્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે, ખાસ કરીને તેઓ જેઓ પાકિસ્તાનની મુલાકાતે ગયા છે અથવા જ્યોતિ સાથે સંબંધિત છે . તેણી પર લાગેલા આરોપોની તપાસ હાલ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.