ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને નુકસાન

ગીર સોમનાથ: જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી પડ્યો. જેના કારણે વિવિધ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ગીરની ઓળખ સમાન કેસર કેરીને… આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે.વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આ વર્ષે આંબા પર સારો મ્હોર અને નાની કેરીઓ (ખાખડી) જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનારા ઈજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા. પરંતુ, કમોસમી માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે.  ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ કેરી નાની અવસ્થામાં હતી, ત્યારે જ પવન અને વરસાદના કારણે તે મોટા પ્રમાણમાં ખરી પડી છે.  વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા ડાઘ પડવાની શક્યતા વધી ગઈ છે.વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.