કતારમાં સૈન્ય હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું, 6 જવાનોના મોત

કતાર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશના દરિયાઈ ક્ષેત્રમાં એક સૈન્ય હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે દુર્ઘટનાનો શિકાર બન્યું છે. હેલિકોપ્ટરમાં કુલ 7 સભ્યો સવાર હતા, જેમાંથી 6 ના મૃતદેહ મળી આવ્યા છે. કતારના ગૃહ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા લાપતા વ્યક્તિને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા ‘X’ પર સ્પષ્ટતા કરી છે કે આ હેલિકોપ્ટર નિયમિત ડ્યુટી પર હતું અને તેમાં સર્જાયેલી યાંત્રિક ખામી જ અકસ્માતનું કારણ બની છે.

ભયાનક ક્ષેત્રીય તણાવ અને હુમલા

જોકે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હોવાનું કહેવાય છે, પરંતુ આ ઘટના એવા સમયે બની છે જ્યારે સમગ્ર ખાડી વિસ્તાર યુદ્ધની જવાળાઓમાં સળગી રહ્યો છે. ઈરાન-અમેરિકા સંઘર્ષ: ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી કતાર પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે.

ગેસ સુવિધાઓ પર હુમલો

20 માર્ચના રોજ ઈરાને કતારની લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) નિકાસ સુવિધાઓ પર અભૂતપૂર્વ હુમલો કર્યો હતો. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે આ હુમલાથી QatarEnergy ને અબજો ડોલરનું નુકસાન થશે અને ગેસ નિકાસ ક્ષમતા ખોરવાઈ જશે.

મુસ્લિમ દેશો વચ્ચે અવિશ્વાસ

ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક નિવેદન આપતા કહ્યું કે, મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે રમઝાનના પવિત્ર મહિનામાં એક ભાઈ સમાન મુસ્લિમ દેશ (ઈરાન) અમારા પર આ રીતે હુમલો કરશે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મધ્ય પૂર્વમાં હવે રાજકીય અને ધાર્મિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. હાલમાં કતારના અધિકારીઓ આ હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે શું આ ખરેખર ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ ગુપ્ત હુમલાનું પરિણામ. દુર્ઘટનાગ્રસ્ત સૈનિકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાથી કતારની સૈન્ય તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.