શરદ પુનમની રાત્રે ભારત-પાકિસ્તાન બોર્ડર પર જામ્યો ગરબાનો રંગ

નડાબેટ: નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનો અનેરો મહિમા… ગુજરાતના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાતા નવરાત્રીમાં લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે, ત્યારે ભારત પાકિસ્તાનની સીમા પર નડાબેટ ખાતે શરદપૂર્ણિમાએ યોજાયેલા ગરબામાં બી.એસ.એફના જવાનો પણ રંગે ચંગે ગરબામાં સહભાગી થયા હતા.

શરદપૂર્ણિમાની રાત્રે નડાબેટ ખાતે ગરાબનું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSFના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો. અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાએ નડાબેટ ખાતે બીએસએફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. સરહદી સુરક્ષામાં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજનએ ઘર આંગણે માતાજીનાની આરાધનાનું પર્વ પુરવાર થયું હતું.

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, ‘અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસએફના જવાનોના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે. આ ઉપરાંત આ જવાનોને તેમની ફરજમાં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. છેલ્લા પાંચેક વર્ષથી સરહદના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે. શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.’