જસપ્રીત બુમરાહ કહે છે, વિશ્વ કપ માટે સજ્જ છું

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ 327 દિવસ પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે. પીઠની ઇજાને લીધે ક્રિકેટથી દૂર રહ્યા પછી જસપ્રિત બુમરાહ હવે શાંત અને હળવા મૂડમાં છે. હાલ તે આયર્લેન્ડ સામેની ત્રણ T20 ઇન્ટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચમાં તે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.

તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે બધું પૂરું થઈ ગયું છે. હું કોઇ નકારાત્મક વિચારને બદલે એવું જ વિચારતો હતો કે મારી આ સમસ્યાને કેવી રીતે હલ કરવી અને કેવી રીતે ઝડપથી ક્રિકેટમાં પરત ફરવું.તે વધુમાં કહે છે કે  ઇજાની ચિંતા કરવાને બદલે હું મારી સારવાર અને ફિટનેસ પર વધુ ધ્યાન આપતો હતો. કેવી રીતે ઝડપથી સ્વસ્થ અને ફિટ થઇ શકાય એ જ મારી પ્રાથમિકતા હતી. જ્યારે તમે ઇજાગ્રસ્ત થાય ત્યારે કેટલેક અંશે નિરાશા વ્યાપી જાય છે, પરંતુ શંકા રાખવાને બદલે હું વિચારતો રહ્યો કે  હું કેવી રીતે ઝડપથી સ્વસ્થ થઈ શકું અને કેવી રીતે ટીમ ઇન્ડિયાનો ભાગ બનું.

B પોઝિટિવ પર ભાર મૂકતાં તે કહે છે કે રમતથી દૂર થતાં નકારાત્મક થવાને બદલે B પોઝિટિવ રહેવાથી સારી અસર જોવા મળે છે. ઇજાને લીધે હું ઘણી મેચ ચૂકી ગયો, પરંતુ આ સમય દરમિયાન નિરાશ થવાને બદલે હું પોઝિટિવ વિચારતો રહ્યો. શરીરને સાજા થવા માટે સમયની જરૂર હોય ત્યારે એનું સન્માન કરવું જોઈએ. આ સમય દરમિયાન મને પરિવાર સાથે વિતાવવા માટે ઘણો સમય મળ્યો.

પુનરાગમન કરવા ઉતાવળ કરવી યોગ્ય નથી એવું કહેતાં તે જણાવે છે કે ઝડપી બોલરો માટે ઇજામાંથી બહાર આવવા ઉતાવળ કરવી યોગ્ય નથી. ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર એવું તાજું ઉદાહરણ છે. જોફ્રા આર્ચર ઇજામાંથી પૂર્ણ રીતે મુક્ત થયા પહેલા ઉતાવળે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જોડાયો અને આઈપીએલમાં ફરી ઇજાગ્રસ્ત થયો. જેને લીધે વર્લ્ડ કપમાં પણ કદાચ તે રમી નહીં શકે.