સોનાક્ષીએ હાથ પર લગાવી ઝહીરના નામની મહેંદી

મુંબઈ: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીના પિતા અને બૉલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહ સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથેના આંતરધર્મી લગ્ન માટે સંમત થઈ ગયા છે. 7 વર્ષના ડેટિંગ બાદ ઝહીર અને સોનાક્ષી તેમના સંબંધને એક નવું નામ આપવા માટે તૈયાર છે. ગુરુવારે શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે સોનાક્ષીના ભાવિ સાસરે એટલે કે ઝહીર ઈકબાલના ઘરે પહોંચ્યા હતા. શત્રુઘ્ન સિન્હાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે ઝહીર અને તેના પિતા ઈકબાલ રતનસી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. તેના માતા-પિતાની સંમતિ મળ્યા બાદ લાગે છે કે સોનાક્ષીની ખુશી બમણી થઈ ગઈ છે. સોનાક્ષીએ ઝહીર ઈકબાલના નામની મહેંદી પોતાના હાથ પર લગાવી દીધી છે. તો બીજી બાજુ આ લગ્ન માટે શત્રુઘ્ન સિન્હાના ઘર ‘રામાયણ’ને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

સોનાક્ષી-ઝહીરની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીર
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં અભિનેત્રીની તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી તેના આખા પરિવાર સાથે પોઝ આપી રહી છે. જ્યારે સોનાક્ષી અને ઝહીર એક તસવીરમાં સાથે જોવા મળી રહ્યા છે, તો કેટલાક અન્ય ફોટા પણ સામે આવ્યા છે, જેમાં સોનાક્ષી-ઝહીરના માતા-પિતા એટલે કે શત્રુઘ્ન સિંહા-પૂનમ સિન્હા અને ઈકબાલ રતનસી જોવા મળે છે. ફોટામાં સોનાક્ષી સેલ્ફી ક્લિક કરતી જોઈ શકાય છે. અન્ય તસવીરોમાં સોનાક્ષી તેના ભાવિ પતિ સાથે પોઝ આપતી જોવા મળે છે.

સોનાક્ષી-ઝહીરની મહેંદી સેરેમનીનો ફોટો
ઝહીર-સોનાક્ષીના મિત્ર ઝફર અલી મુનશીએ કપલની મહેંદી સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ઝહીર-સોનાક્ષી તેમના નજીકના મિત્રો સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. ફોટામાં ઝહીર-સોનાક્ષીની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. આ દરમિયાન સોનાક્ષી લાલ બ્રાઉન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે ઝહીર ફ્લોરલ પ્રિન્ટના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. કપલના મિત્રએ આ પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું, ‘ખૂબ જ ઉત્સાહિત અને સોનાક્ષી હવે સત્તાવાર રીતે બેન્ડસ્ટેન્ડ બિલ્ડિંગ એ ક્લાનમાં જોડાઈ ગઈ છે.’

સોનાક્ષીના લગ્ન માટે શત્રુઘ્ન સિન્હાએ ઘરને સજાવ્યું
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પૂનમ સિન્હા સાથે સોનાક્ષીના સાસરિયાનો મળવા પહોંચ્યા હતાં.મીટીંગમાંથી પરત ફર્યા બાદ પીઢ અભિનેતાએ પોતાના મુંબઈના રામાયણના બંગલાને પણ સજાવ્યો છે. અભિનેતાનું ઘર તેની એકમાત્ર પુત્રીના લગ્ન માટે સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જ શત્રુઘ્ન સિંહાએ પણ કબૂલાત કરી હતી કે આ સંબંધની શરૂઆતમાં તેમના પરિવારમાં તણાવ હતો, પરંતુ હવે બધું બરાબર છે.