રાહુલ ગાંધીના ચીન પરના નિવેદન પર એસ જયશંકરનો વળતો પ્રહાર

વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીના ચીન પરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે તેઓ ભારત-ચીન તણાવ અંગે ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે. જયશંકરે ખાનગી ન્યુઝ એજન્સીને કહ્યું, તેઓ એવી વાર્તા ફેલાવી રહ્યા છે કે ભારત સરકાર ડરી ગઈ છે, તો ભારતીય સેનાને LAC પર કોણે મોકલ્યું ? રાહુલ ગાંધીએ તેમને મોકલ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મોકલ્યા છે. કોણ સાચું બોલે છે તે પૂછવું જોઈએ.

જયશંકરે ઈશારામાં કોંગ્રેસને ટોણો માર્યો અને કહ્યું કે તેમને ‘C’ થી શરૂ થતા શબ્દો સમજવામાં થોડી મુશ્કેલી થઈ રહી હશે. તે સાચું નથી. મને લાગે છે કે તેઓ જાણી જોઈને પરિસ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. આ સરકાર બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગંભીર છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચીનને લઈને મોદી સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. રાહુલનું કહેવું છે કે સરકાર ચીનનું નામ લેતા ડરે છે. એસ જયશંકરે આ અંગે જવાબ આપ્યો છે.

‘રાહુલ ગાંધી પાસેથી શીખવા તૈયાર’

જયશંકરે કહ્યું કે હું સૌથી લાંબો સમય ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જ્ઞાન છે, પરંતુ હું એટલું કહીશ કે હું આ વિષય પર ઘણું જાણું છું. જો તેમને ચીન વિશે જાણકારી છે તો હું પણ તેમની પાસેથી શીખવા તૈયાર છું. એ સમજવું કેમ મુશ્કેલ છે કે જે વિચારધારા અને રાજકીય પક્ષો ભારતની બહાર છે, સમાન વિચારધારા અને પક્ષો ભારતની અંદર પણ છે અને બંને સાથે મળીને કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણ અંગે કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. મોદી સરકાર આ બાબતે ગંભીર નથી. આ કારણોસર સરકાર અમારા પ્રશ્નોના જવાબ પણ નથી આપી રહી. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ચર્ચાથી ભાગી રહી છે.