વિવાદિત નિવેદન માટે રૂપાલાએ માફી માંગી, જાણો શું કહ્યું ?

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા આપેલા તેના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ આગબબુલા થયો છે. રાજ્યભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલાની ટિકિટ પરત ખેંચવી જોઈએ તેવી માંગ ઉગ્ર બની છે. તેવામાં આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ વિવાદને લઈ ક્ષત્રિય સમાજની જાહેર સભા યોજાઈ હતી જેમાં ફરી એકવાર રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.

ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજે મારૂ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો છે. મને એક વાતનો મોટો રંજ છે. મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. સમાજ સામે બે હાથ જોડીને માફી માગું છું. વધુમાં રૂપાલાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. મારા કારણે પાર્ટીને સાંભળવાનું થયું છે. મારી તરફેણમાં આવેલા લોકોનો આભાર માનું છે. કોઇ અંડર ટેબલ સમાધાનથી નથી આવ્યા, એક ક્ષત્રિયને છાજે તેવી રીતે સંમેલનનું આયોજન કર્યું છે. આજે સભાનો મહોલ છે પણ સંબોધન નહીં કરૂ. મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. આ આયોજન કરવા બદલ હું જયરાજસિંહ જાડેજાનો આભાર માનુ છું.

આ વિવાદ અહીં પૂરો : જયરાજસિંહની જાહેરાત

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય નેતા જયરાજસિંહે જણાવ્યું કે, રૂપાલાએ સમાજની માફી માગી છે. રૂપાલા સાહેબની માફી સાથે મુદ્દો અહીં પુરો થાય છે. હવે સમાજમાં કોઈ રોષ નથી અને આ સાથે જ હવે આ વિવાદ સમાપ્ત થયો છે. આ આખા રાજપૂત સમાજનો નિર્ણય છે. જેને સૌ કોઈ માન્ય રાખે.