નવી દિલ્હીઃ બિહારના ભૂતપૂર્વ CM અને RJDના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડ આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લાલુ યાદવની તે અરજીને નામંજૂર કરી છે, જેમાં તેમણે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી. આ કૌભાંડની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ એ સમયનું છે, જ્યારે લાલુ યાદવ રેલ મંત્રી હતા. આરોપ છે કે તે સમયે ઘણા ઉમેદવારોને જમીનના બદલામાં નોકરી આપવામાં આવી હતી.
કોર્ટે RJDપ્રમુખની અરજીને નામંજૂર કરતી વખતે કહ્યું હતું કે આ કેસ પહેલેથી જ સ્પેશિયલ જજની કોર્ટમાં ચર્ચા માટે સૂચિબદ્ધ છે. અદાલતે કહ્યું હતું કે અરજદારને ટ્રાયલ કોર્ટમાં તેમની દલીલ રજૂ કરવાની સંપૂર્ણ છૂટ છે. અદાલતે કહ્યું હતું કે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની કોઈ મજબૂત વાત દેખાતી નથી અને આને કારણે કોર્ટે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
CBIએ શા આરોપ લગાવ્યા છે?
CBIએ આરોપ મૂક્યો છે કે વર્ષ 2004થી 2009 દરમિયાન રેલવેમાં ગ્રુપ ડીની નોકરીઓને બદલે લાલુ પ્રસાદ યાદવે તેમના પરિવારજનોને નામે જમીન ટ્રાન્સફર કરાવવા બદલ આર્થિક લાભ લીધો હતો. CBIએ આરોપ મૂક્યો છે કે આ જમીનો લાલુ યાદવની પત્ની અને ભૂતપૂર્વ CM રાબડી દેવી અને તેમની બે દીકરીઓ – મિસા ભારતી અને હેમા યાદવને નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
CBIએ કહ્યું હતું કે જેમને નોકરી આપવામાં આવી હતી તેમના દસ્તાવેજોમાં પણ ગેરરીતિ જોવા મળી છે. એજન્સીએ આ મામલામાં 30 સરકારી અધિકારીઓ સહિત કુલ 78 લોકોનાં નામ નોંધ્યાં છે. CBIએ મે, 2022માં લાલુ યાદવ, તેમના પુત્રો, પુત્રીઓ અને રાબડી દેવી સામે કેસ નોંધાવ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
