લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. જેમાં હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થઇ છે. PM મોદી 30મીએ ખેરાળુમાં સભા સંબોધશે, 31મીએ કેવડિયા જશે. લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થતા દિવાળી પછી સૌરાષ્ટ્રનો પ્રવાસ નક્કી છે. તેમજ અમિત શાહ અમદાવાદમાં છે. જેમાં આજે માણસા, સાણંદ અને કલોલમાં કાર્યક્રમમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 31 ઓક્ટોબરને સરદાર જંયતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી- SOUના કાર્યક્રમ પૂર્વે વધુ એક દિવસના રોકાણ સાથેનો નવો શિડયુલ તૈયાર થઈ રહ્યો છે. PMOમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્ર મોદી હવે 30મી ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે તેઓ મહેસાણાના ખેરાળુમાં વિશાળ જનસભાને સંબોધશે, સાથે જ વિકાસ કામોના લોકાપર્ણ, ખાતમૂર્હત પણ કરશે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.

એકાદ મહિના ટૂંકા અંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં મુલાકાતનો આ બીજો તબક્કો છે. જેને સરકારી તંત્ર તેમજ ભાજપના જાણકારો લોકસભા ચૂંટણી- 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જોઈ રહ્યા છે. કારણ કે, 26 અને 27 સપ્ટેમ્બર એમ બે દિવસ વડાપ્રધાન ગુજરાતમાં હતા. તે વેળા તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો સાથે જનસભા સંબોધી હતી. હવે દિવાળી પછી તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે તેમ મનાય છે.