કર્ણાટકમાં RSS પર પ્રતિબંધની તૈયારી? CM સિદ્ધારમૈયાએ આપ્યા આદેશ

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ RSSના કાર્યક્રમોને લઈને આદેશ આપ્યો છે કે સરકારી તથા સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ, જાહેર મેદાનો અને રાજ્ય સરકારની અન્ય જમીનો પર RSSની શાખાઓનું આયોજન ન કરવામાં આવે. આ નિર્ણય માહિતી તકનિકી/બાયોટેકનોલોજી, ગ્રામ વિકાસ અને પંચાયત રાજ મંત્રી પ્રિયંક ખડગેના વિનંતી પર લેવામાં આવ્યો છે. CM કાર્યાલયે રવિવારે પ્રિયંક ખડગે દ્વારા ચોથી ઓક્ટોબરે લખાયેલા એક પત્ર તેમ જ સિદ્ધારમૈયાનો એક નોંધ પણ શેર કર્યા છે, જેમાં અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

પ્રિયંક ખડગેએ CMને લખેલા પત્રમાં લખ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની એક સંસ્થા સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ તથા જાહેર મેદાનોનો ઉપયોગ શાખાઓ ગોઠવવા માટે કરે છે અને બાળકો તથા યુવાનોના મનમાં દેશની એકતા પ્રતિ નકારાત્મક વિચારો ભરે છે તથા બંધારણના આદર્શો વિરુદ્ધ સૂત્રો લગાવે છે.

RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માગ

મંત્રી ખડગેએ આગળ લખ્યું હતું કે પોલીસની મંજૂરી વિના યોજાતી શાખાઓમાં લાઠી સાથે આક્રમક પ્રદર્શન કરવામાં આવે છે, જેનાથી બાળકો અને યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે. તેમણે લખ્યું હતું કે રાજ્યનાં બાળકો, યુવાનો અને પ્રજાના હિતમાં તથા સમાજના કલ્યાણ માટે- હું આપને વિનંતી કરું છું કે સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ, મેદાનો, પાર્કો, મજરાઇ વિભાગ હેઠળનાં મંદિરો, પુરાતત્ત્વ વિભાગ હેઠળનાં સ્થળો અને અન્ય કોઈ પણ સરકારી જમીન પર શાખા, સંઘ અથવા બેઠકને નામે યોજાતી RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

RSS અંગે પ્રિયંક ખડગે શું બોલ્યા

પ્રિયંક ખડગેએ રવિવારે જણાવ્યું હતું મેં CMને વિનંતી કરી છે કે તમામ સરકારનાં જાહેર સ્થળોએ RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. તેનો હેતુ બંધારણના આદર્શો – એકતા, સમાનતા અને અખંડિતતા જાળવવાનો છે અને બાળકો તથા યુવાનો પર RSSના નકારાત્મક પ્રભાવને રોકવાનો છે.