હિમાચલ પ્રદેશઃ પીએમ મોદીએ સુખવિન્દર સિંહ સુખુને પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીએ સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સુખવિંદર સિંહ સુખુએ રવિવારે (11 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે મુકેશ અગ્નિહોત્રીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, “હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ સુખવિંદર સિંહ સુખુને ખૂબ ખૂબ અભિનંદન. હું હિમાચલ પ્રદેશના વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપું છું.

કોંગ્રેસે 40 બેઠકો જીતી છે

તાજેતરમાં પૂર્ણ થયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 68માંથી 40 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. ભાજપે 25 બેઠકો જીતી હતી જ્યારે અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી. રવિવારે હિમાચલના ગવર્નર આરવી આર્લેકરે સુખવિંદર સિંહ સુખુને સીએમ અને મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી સીએમ પદના શપથ લેવડાવ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને વરિષ્ઠ નેતા સચિન પાયલટ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.