મુંબઈમાં ગુજરાતી રંગભૂમિ પર વિવિધ વિષયો સાથે પ્રયોગશીલ નાટકો ભજવાતા રહે છે. ત્યારે તાજેતરમાં જ મુંબઈમાં ભારતીય રાજકારણી અને ભારતીય જનસંઘના નેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન પર આધારિત નાટક ‘ભારતનો લાડકવાયો દીનદયાલ’નું મંચન થયું હતું.

‘ભારતનો લાડકવાયો દીનદયાલ’નાટકમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનના વિવિધ પાસાઓ અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સશક્ત વિચારો અને સમર્પણની ઝાંખી થાય છે. આ નાટકનું નિર્દેશન પ્રિતેશ સોઢા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નાટકના લેખક પ્રયાગ દવે છે. એકાત્મ માનવવાદ, હિન્દુત્વની ઓળખ, રાજનીતિમાં આધ્યાત્મિકતા, ધર્મની સમજણ અને રાષ્ટ્રની ઉન્નતી વગર વ્યક્તિની ઉન્નતી કેવી રીતે શક્ય નથી તે અંગે નાટકમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

રાજકારણ, માનવતા અને આધ્યાત્મિકતા જેવા ત્રણેય પાસાઓને આવરી લેતાં આ નાટકના નિર્માતા જશ વીરા છે. ન માત્ર નાટકપ્રેમીઓ કે કલા રસિકો પરંતુ રાષ્ટ્રભાવના ધરાવતાં દરેક માટે આ નાટકને માણવું અને દિનદયાળના જીવનના વિવિધ તબક્કાઓ વિશે જાણવું એ રસપ્રદ બની શકે છે.

લેખક પ્રયાગ દવેએ અઢળક પુસ્તકોમાંથી સંશોધન કરીને મહત્વની અને જરૂરી માહિતીને સ્ક્રિપ્ટમાં આવરી છે.

નાટકના કલાકારોની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં અભિનેતા પરેશ ભટ્ટે દિનદયાળમાં પાત્રમાં જીવ રેડી દીધો છે. આ સાથે જ તમામ સહકલાકારોની મહેનત પણ સ્ટેજ પર દેખાઈ આવે એવી છે.અત્યાર સુધી મુંબઈમાં આ નાટકના કેટલાક શૉ થઈ ચૂક્યા છે. આગામી સમયમાં ‘ભારતનો લાડકવાયો દીનદયાલ’ના નાટકોનું મુંબઈ અને અન્ય શહેરોમાં મંચન થઈ શકે છે. આ નાટક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં મંચિત કરવામાં આવી રહ્યું છે.




