‘માફી નહીં, તો થિયેટરમાં ફિલ્મ નહીં:  મંત્રીની કમલ હાસનને ચેતવણી

બેંગલુરુઃ દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ઠગ લાઈફ’ને લઈને ચર્ચામાં છે, જે જૂન મહિનામાં રિલીઝ થવાની છે. આવા સમયે અભિનેતા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ ફિલ્મના પ્રમોશનમાં તેમણે એવું કંઈક કહી દીધું કે જેને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે.

કમલ હાસનએ કહ્યું હતું કે કન્નડ ભાષાનો જન્મ તમિળમાંથી થયો છે. તેમના આ નિવેદનથી કન્નડ સમર્થકો અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. જોકે શિવા રાજકુમાર સહિત કેટલાક લોકોએ કમલ હાસનનો સમર્થન પણ કર્યું છે.

ફિલ્મોને થિયેટરમાં બતાવવાની ના પાડવામાં આવી

કમલ હાસનના આ નિવેદન બાદ કર્નાટકના મંત્રી શિવરાજ તંગડગીએ તેમને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે જો કમલ હાસન માફી નહીં માગે, તો તેમની ફિલ્મો પર કર્નાટકમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. KFCC (કર્નાટક ફિલ્મ ચેમ્બરની કાઉન્સિલ)ના પ્રમુખ એમ. નરસિંહલુએ જણાવ્યું કે વિતરણકર્તાઓ અને એક્ઝિબીટરોએ નિર્ણય લીધો છે કે જો કમલ હાસન જાહેરમાં માફી નહીં માગે, તો તેમની ફિલ્મ ‘ઠગ લાઈફ’ને થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

KFCCએ 29 મેએ જણાવ્યું હતું કે જો કમલ હાસન 30 મે સુધીમાં તેમના વિવાદાસ્પદ નિવેદન માટે માફી નહીં માગે, તો ફિલ્મને રિલીઝ થવા નહીં દેવામાં આવે.

મંત્રી શિવરાજ તંગડગીએ શું કહ્યું?

તેમણે કહ્યું હતું કે મેં એક પત્ર લખ્યો છે, તેના પછી ફિલ્મ ચેમ્બરે પણ સરાહનીય નિર્ણય લીધો અને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં કહેવામાં આવ્યું કે જો તેઓ બે દિવસમાં માફી નહીં માગે, તો તેમની ફિલ્મ પર પ્રતિબંધ મુકાશે. હું કન્નડ અને સંસ્કૃતિ મંત્રી તરીકે ફિલ્મ ચેમ્બરને શુભેચ્છા આપું છું.