પિકઅપ વેનમાં વીજળીનો કરંટ લાગતા 10નાં મરણ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં કરૂણ દુર્ઘટના બની છે. જલ્પેશ મંદિર તરફ જતા કેટલાક લોકોની પિકઅપ વેનમાં વીજળીનો કરંટ લાગતાં એમાંના 10 જણનાં મરણ નિપજ્યા છે. અને બીજાં કેટલાંક દાઝી ગયાં છે. વેનમાં આશરે 27 જણ બેઠાં હતાં. આ ઘટના ગઈ કાલે મોડી રાતે બની હતી. ઘટનાની ખબર મળતાં જ પોલીસ જવાનો ત્યાં દોડી ગયા હતા અને ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. એમાંના 10 જણના મરણ નિપજ્યા હતા. 16 ઈજાગ્રસ્તોને જલપાઈગુડી શહેરની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે ગાડીમાં બેસાડવામાં આવેલી ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગમાંથી વીજળીનો કરંટ લાગ્યો હોવાની શંકા છે. ડીજે સિસ્ટમ વાહનમાં પાછળની બાજુએ બેસાડવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.