એન-95 માસ્ક કોરોનાથી બચવા કારગર નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકો છિદ્રવાળા શ્વાસયંત્ર (વોલ્વ્ડ રેસ્પિરેટર) લગાડેલા એન-95 માસ્ક પહેરે એ મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ચેતવણી જાહેર કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી કોરોના વાયરસ ફેલાતા અટકતો નથી અને કોવિડ-19 મહામારી વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાંથી આ વિપરીત છે.સ્વાસ્થ્ય મંત્રાલયમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ રાજીવ ગર્ગે રાજ્યોના હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મામલાઓના અગ્ર સચિવોને પત્ર લખ્યો છે. આ પત્રમાં ડિરેક્ટર જનરલ ગર્ગે કહ્યું છે કે, એ તથ્ય સામે આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. વિશેષ રુપથી આવા એન-95 માસ્ક ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જેમાં વોલ્વ્ડ રેસ્પિરેટર લગાડેલા છે.

રાજીવ ગર્ગે કહ્યું કે, આ પ્રકારના એન-95 માસ્ક કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે લેવામાં આવેલા પગલાંઓથી તદ્દન વિપરિત છે કારણ કે, વાયરસને માસ્કની બહાર આવતા આ રોકતું નથી. આને જોતા હું આપને આગ્રહ કરું છું કે, તમામ સંબંધિત લોકોને નિર્દેશ આપે કે ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકે.સરકારે એપ્રીલમાં આ મામલે એક એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં ફેસ માઉથ કવર માટે ઘરમાં બનેલા પ્રોટેક્ટિવ કવરના ઉપયોગની વાત કહી હતી. સરકારે કહ્યું હતું કે, લોકો જ્યારે ઘરેથી બહાર નીકળે તો આ પ્રકારના કવરનો ઉપયોગ કરે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારના માસ્કને રોજ પાણીથી ધોઈને સાફ કરવું જોઈએ. સુતરાઉ કાપડમાંંથી બનાવેલા ફેસ કવરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ફેસ કવરના કપડાનો રંગ ભલે ગમે તે હોય, પણ એને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ સુધી ધોવું જોઈએ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. ધોવા માટે લેવાયેલા પાણીમાં થોડુંક મીઠું નાખવાની પણ સલાહ આપવામાં આવી છે.