ગેંગરેપના આરોપીએ સરકાર પાસે રૂ. 10,000 કરોડનું વળતર માગ્યું

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક અનોખો મામલો સામે આવ્યો છે.ગેન્ગરેપના આરોપમાં બે વર્ષ સુધી જેલમાં રહ્યા પછી અને કોર્ટમાંથી છોડી મૂકવામાં આવ્યા પછી એક વ્યક્તિએ રાજ્ય સરકાર પર કેસ કર્યો છે. રતલામનિવાસી આ વ્યક્તિને રાજ્ય સરકારે બે વર્ષ સુધી જેલમાં બંધ કરવા માટે રૂ. 10,062.02 કરોડનું વળતર માગ્યું છે.

કાંતુ ઉર્ફે કાંતિલાલ ભીલ (35)એ 20 ઓક્ટોબર, 2022એ એક સ્થાનિક કોર્ટે ગેન્ગરેપના મામલે છોડી મૂક્યો હતો. તેનું કહેવું હતું કે આ મામલમાં બે વર્ષ સુધી જેલમાં બંધ રહેવાથી તેના પરિવારે ભૂખમરાના શિકાર થવું પડ્યું હતું, જેથી તેને શારીરિક અને માનસિક પીડાથી પસાર થવું પડ્યું છે. તેના વકીલ વિજય સિંહ યાદવના જણાવ્યા મુજબ આ કેસમાં મધ્ય પ્રદેશ સરકારની સાથે વ્યક્તિએ ગેન્ગરેપના તપાસકર્તાઓને પણ પ્રતિવાદી બનાવ્યા છે. જિલ્લા અને સેશન કોર્ટમાં આ મામલે 10 જાન્યુઆરીએ સુનાવણી થશે.

વકીલ વિજય સિંહના જણાવ્યા મુજબ તેમના ક્લાયન્ટે રૂ. 10,006.62 કરોડનું વળતર માગ્યું છે, જેમાં રૂ. 10,000 કરોડ વ્યક્તિની જિંદગીની કિંમતને આધારે માગ્યા છે, જ્યારે રૂ. 6.02 કરોડ તેના પરિવારને થયેલી શારીરિક અને માનસિક પીડા માટે વળતર અને રૂ. બે લાખના કાનૂની ખર્ચ સહિત વિવિધ કારણોથી માગ્યા છે. આ અરજી કાયદા જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.