સ્વાતિ માલીવાલ નાર્કો ટેસ્ટ કરાવેઃ ભૂતપૂર્વ પતિ

નવી દિલ્હીઃ દિલ્હી મહિલા પંચ (DCW)નાં પ્રમુખ સ્વાતિ માલીવાલના ભૂતપૂર્વ પતિ નવીન જયહિંદે સ્વાતિ માલિવાલનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. તેમણે સોશિયલ મિડિયા પર એક વિડિયો જારી કરીને સ્વાતિ માલીવાલના નિવેદન પર સવાલો કર્યા હતા. તેમણે સ્વાતિ માલીવાલનું મેન્ટલ હેલ્થ ચેકઅપ પણ કરવાની માગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેડમ ભૂતોથી ભગવાન લડી લેશે અને સજા પણ આપશે. તમે વરુઓથી લડો. તમારી વાત સાચી પણ છે તો કદાચ એ પૂરી સાચી નથી. શોષણ અને યૌન શોષણમાં ફરક હોય છે. ખુદનો નાર્કો ટેસ્ટ કરાવીને જાહેર કરો, કેમ કે પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર આંચ ના આવવી જોઈએ અને ડોક્ટરથી મેન્ટલ હેલ્થ ચેક કરાવી લો.

વાસ્તવમાં  સ્વાતિ માલીવાલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે તેમને પિતાએ નાનપણમાં તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું અને એ આઘાતે તેમને મહિલાઓના અધિકારો વાસ્તે લડવા માટે પ્રેરિત કરી હતી.

ચોથા ધોરણ સુધી તેમણે દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે હું બાળકી હતી, ત્યારે મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું હતું. હું એ સમયે બહુ નાની હતી.  મારા પિતા મને મારતા હતા અને હું બચવા માટે બેડની નીચે છુપાઈ જતી હતી. પોતાની આપવીતી સંભળાવતાં તેમણે કહ્યું હતું કે તેમના પિતા ચોટી પકડીને તેમની મારપીટ કરતા હતા, જેથી તેમને લોહી વહેવા માંડતું હતું. આ બધું ત્યાં સુધી થયું, જ્યાં સુધી હું ચોથા ધોરણમાં હતી.