CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસને ત્રણ જજોવાળી બેન્ચને મોકલી દેવામાં આવ્યો છે.  હવે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે.

CM કેજરીવાલે ED દ્વારા ધરપકડને સુપ્રીમ કોર્ટે અરજી દ્વારા પડકારી હતી. જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કેસને મોટી બેન્ચની પાસે મોકલવાનો આદેશ આપતાં સુનાવણી સુધી કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.

જોકે કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તેઓ CBI કસ્ટડીમાં છે, પરંતુ ED કેસમાં તેમને વચગાળાના જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે. જેથી આપ પાર્ટીએ CBI પર હુમલો કરતાં કહ્યું છે કે CM કેજરીવાલને છૂટતા અટકાવવા માટે જ CBIએ તેમની જેલમાંથી ધરપકડ કરી છે.પાર્ટીએ કહ્યું હતું કે કેજરીવાલને CBIને કારણે જેલમાં બંધ છે.

CM કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં. કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું હતું કે 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં CBI કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જોકે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.

કોર્ટે શું કહ્યું?

કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના CM 90 દિવસથી વધુ સમયથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.

કોર્ટે કહ્યું હતું કે અમે જામીનના સવાલની તપાસ કરી નથી, પરંતુ PMLAની કલમ 19ના માપદંડોની તપાસ કરી છે. દેશમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 EDને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીને કારણ આપવાનું હોય છે.