CAA મામલે રાહુલ, પ્રિયંકા લોકોને રમખાણો કરવા ઉશ્કેરે છેઃ અમિત શાહનો આરોપ

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર એવો આરોપ મૂક્યો છે કે નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને રમખાણો માટે એમને ભડકાવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનું રણશિંગૂ આજે ફૂંક્યું છે. એમણે આઈજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓની એક સભામાં સંબોધન કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું.

શાહે કહ્યું કે CAA કાયદો 3 પડોશી દેશ – પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો શિકાર બનીને ભારતમાં આવેલા લઘુમતી કોમોનાં લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો છે. આ કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી.

દિલ્હીમાં આગામી બે મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. દરેક પક્ષોએ એ માટે પોતપોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે આજથી ભાજપનું ચૂંટણી બ્યુગલ બજાવી દીધું છે.

શાહે કર્યું કે નાગરિકતા સુધારિત કાયદાનો વિરોધ કરનારાઓ દેશની જનતાને એક વાર ગેરમાર્ગે દોરી શકે છે, વારંવાર નહીં.

શાહે કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. ભાજપ ધરખમ બહુમતીથી જીતશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષ ચાલી, હવે લોકોએ એ પાર્ટીને પૂછવું જોઈએ કે એણે પાંચ વર્ષમાં કયા કયા કામો કર્યા. લોકોએ ‘આપ’ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે હિસાબ માગવો જોઈએ કે એમની સરકારે પાંચ વર્ષમાં શું કામ કર્યું.