રાષ્ટ્રપતિની ચૂંટણી: આજે મતગણતરી અને પરિણામ

નવી દિલ્હીઃ દેશને આજે નવા, 15મા રાષ્ટ્રપતિ મળશે. આ પદ માટે ગયા સોમવારે થયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાશે. આ પદની ચૂંટણીમાં દેશના સંસદસભ્યો અને વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું. તમામ રાજ્યોની વિધાનસભાઓમાંથી મતપેટીઓને અત્રેના સંસદભવન ખાતે લાવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીઓ આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ કરશે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. સાંજ સુધીમાં પરિણામની જાહેરાત થવાની ધારણા છે.

મતગણતરી કામગીરી સંસદભવનના સ્ટ્રોંગ રૂમ (રૂમ નંબર 63)માં કરાશે. આ મતપેટીઓની સશસ્ત્ર ચોકીદારો દિવસ-રાત સુરક્ષા સંભાળી રહ્યા છે. મતગણતરી કામગીરી પર રાજ્યસભાના મહામંત્રી પી.સી. મોદી દેખરેખ રાખશે જેઓ આ ચૂંટણી માટેના વડા રિટર્નિંગ ઓફિસર છે. ચૂંટણીમાં શાસક ભાજપ-એનડીએ જૂથના ઉમેદવાર છે દ્રૌપદી મુર્મુ અને વિપક્ષી ઉમેદવાર છે યશવંત સિન્હા. વિજેતા બનનાર ઉમેદવાર હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામી બનશે, જેમની મુદત 24 જુલાઈએ પૂરી થાય છે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે.