લોકડાઉનનો સમય વધારવાનું પ્લાનિંગ નથીઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે કેટલાક સમાચારો એવા પણ આવી રહ્યા છે કે લોકડાઉનનો સમય લંબાઈ શકે છે. ત્યારે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ કહ્યું છે કે લોકડાઉન વધારવાનો કોઈ વિચાર નથી.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ વચ્ચે ઘણા પ્રકારની અફવા સામે આવી રહી છે કે, સરકાર 21 દિવસ બાદ લોકડાઉન ફરીથી આગળ વધારશે.

રાજીવ ગોબાએ લોકડાઉન આગળ વધારતા સમાચારોને ફગાવતા કહ્યું કે, હું આ પ્રકારના રિપોર્ટને જોઈને અચંબિત છું. લોકડાઉનને વધારવાની કોઈ યોજના નથી.

દેશમાં કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન લોકડાઉનના કારણે લોકોને થઈ રહેલી તકલીફ માટે ક્ષમા માંગી છે. આ દરમિયાન વડાપ્રધાને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો સાથે વાત કરી હતી.

લોકડાઉન એક પ્રકારની સંકટ સમયમાં લાગુ કરવામાં આવેલી વ્યવસ્થા છે કે જે કોઈ આપત્તિ અથવા મહામારીનાન સમયમાં સરકારી રીતે લાગૂ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દવા અને અનાજ જેવી જરુરી વસ્તુઓ લેવા માટે બહાર નિકળવાની મંજૂરી હોય છે.