2024માં PMને પડકાર આપવાની તાકાત કોઈનામાં નથીઃ કુશવાહા

પટનાઃ બિહારમાં JDUને છોડી રાષ્ટ્રીય લોક જનતા દળ પાર્ટી બનાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા ઉપેન્દ્ર કુશવાહાએ ફરી મુખ્ય પ્રધાન નીતીશકુમારની વિપક્ષા એકતાની ચળવળ પર મોટો હુમલો કર્યો છે. મુખ્ય પ્રધાન નીતીશકુમારના વડા પ્રધાનબનવાની વાતો પર તેમણે મોટો દાવો કરતાં કહ્યું હતું કે 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં PM મોદીને ટક્કર આપવા માટે કોઈ નેતા નથી.

તેમણે કહ્યું હતું કે દેશમાં વિપક્ષના ડઝનબંધ નેતાઓ વડા પ્રધાનપદના ઉમેદવાર ફરી રહ્યા છે, પણ કોઈ નેતાનો એકબીજા સાથે તાલમેલ નથી. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પર ફરી સવાલ ઉઠાવ્યા હતા. તેજસ્વી યાદવના નેતૃત્વ પર લલન સિંહના નિવેદન પર તેમણે કહ્યું હતું કે પાર્ટી નિર્ણય કરે કે નીતીશકુમાર અને લલન સિંહમાં કોણ મોટા નેતા છે? JDUમાં અત્યાર સુધી અમે એ જ સાંભળતા હતા કે નીતીશકુમાર સર્વમાન્ય નેતા છે અને તેમણે કહી દીધું એ બધાને માનવું પડશે. નીતીશકુમાર બાદ મેં ટિપ્પણી કરી તો મારે પક્ષમાંથી બહાર થવું પડ્યું. તેમની વાત જે સ્વરૂપમાં આવી છે- તેમણે કોઈ બંધ રૂમમાં નહોતી કરી.

નીતીશકુમારે ઘોષણા કરી હતી કે આગામી નેતૃત્વ હવે તેજસ્વી યાદવના હાથમાં હશે. આ ઘોષણા પછી JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે કે મેં ક્યારે કહ્યું? આવામાં સર્વમાન્ય નેતા નીતીશકુમાર  છે કે લલન સિંહ ? એ નક્કી કરવું પડશે.